Western Times News

Gujarati News

ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: રાજ્યમાં ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરાશે

પ્રતિકાત્મક

આગામી તા.૨૧ જૂલાઇથી ખરીદીનો પ્રારંભ કરાશે :- કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ

પ્રતિ ક્વિન્ટલ રૂ.૭૨૭૫ના ટેકાના ભાવે મગની ખરીદી કરાશે

  • આગામી તા.૧૧ જૂલાઇ થી ૨૦ જૂલાઇ સુધી ખેડૂતોએ ગ્રામ્યકક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો પર નોંધણી કરાવવાની રહેશે
  • ખેડૂતોએ નોંધણી માટે કોઇ ચાર્જ ચૂકવવાનો રહેશે નહી
  • ખેડૂતે નોંધણી માટે મોબાઇલ નંબર ફરજિયાત આપવાનો રહેશે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ૨૦૨૧-૨૨માં મગ પાક માટે ટેકાનો ભાવ રૂ.૭,૨૭૫ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. આ ભાવે ગુજરાતમાં ખેડૂતો પાસેથી આગામી તા.૨૧ જૂલાઇ-૨૦૨૨થી ટેકાના ભાવે મગની ખરીદી શરૂ કરવામાં આવશે તેમ કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું. Gujarat Government’s farmer oriented decision: Summer mugs will be procured in the state at support price

કૃષિ મંત્રીશ્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતુ કે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી નાફેડ થકી રાજ્ય સરકાર નિયુક્ત રાજ્ય નોડલ એજન્સી ઇન્ડીએગ્રો કોન્સોર્ટીયમ પ્રોડ્યુસર કં.લિ. (FPO) મારફત કરવામાં આવનાર છે. ઉનાળુ મગ પાકની ટેકાના ભાવે ખરીદી માટે આગામી તા.૧૧ થી ૨૦ જૂલાઇ-૨૦૨૨ દરમ્યાન ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે ત્યારબાદ તા.૨૧ જૂલાઇ ૨૦૨૨થી કેન્દ્ર સરકાર દ્વારા મળેલી મંજૂરીને આધિન ગુજરાતમાં વિવિધ કેન્દ્રો ઉપરથી મગની ખરીદી શરૂ કરવામાં આવશે.

કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે હાલ વિવિધ એ.પી.એમ.સી. ખાતે મગ પાકનો સરેરાશ બજાર ભાવ નિયત થયેલ ટેકાનો ભાવ રૂ.૭૨૭૫ પ્રતિ ક્વિન્ટલ કરતા ઓછો હોઇ રાજ્યના ખેડૂતોને આર્થિક નુકશાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો ખેડૂતોના હિતમાં નિર્ણય કરાયો છે.

મંત્રીશ્રીએ નોંધણી અંગેની વિગતો આપતાં કહ્યું હતું કે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની નોંધણી ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો પરથી VLE મારફતે કરવામાં આવશે. નોધણી માટે ખેડૂતોએ કોઇ ચાર્જ-રકમ ચુકવવાની રહેશે નહીં. નોંધણી માટે ખેડૂતે જરૂરી દસ્તાવેજો જેવાકે આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂના-૭ ની નકલ,

ઉનાળુ ૨૦૨૧-૨૨માં મગના વાવેતર અંગે ગામ નમૂના-૧૨માં પાકની નોંધ અથવા પાકની વાવણી અંગેનો તલાટીનો દાખલો, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેકની નકલ ખેડૂતે આ સાથે આપવાની રહેશે. આ ઉપરાંત નોંધણી OTP આધારીત હોવાથી નોંધણી માટે મોબાઇલ ફોન નંબર ફરજીયાત આપવાનો રહેશે. કોઇ પણ સંજોગોમાં ઓફ લાઇન નોધણી કરવામાં આવશે નહી તેમ કૃષિ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.