સુરક્ષા બળોની સતર્કતાથી હુમલો ટળ્યો, પુલવામામાં ૩૦ કિલો IED જપ્ત કર્યું
શ્રીનગર, સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ કાશ્મીર પોલીસ અને સુરક્ષા બળોની સતર્કતાથી એક મોટો આતંકવાદી હુમલો ટળી ગયો છે. જમ્મુ કાશ્મીર પોલીસ અને સુરક્ષા બળોએ પુલવામામાં સર્કુલર રોડ પર તહબ ક્રોસિંગ પાસે લગભગ ૨૫થી ૩૦ કિલો IED જપ્ત કર્યું છે.
IED જપ્ત કર્યા પછી ઉધમપુર-કટરા રેલવે લિંક અને ઉધમપુર રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. સ્વતંત્રતા દિવસ પહેલા સુરક્ષા બળો એલર્ટ પર છે. બીજી તરફ જમ્મુ કાશ્મીરના બડગામમાં સુરક્ષા બળોએ મોટી કાર્યવાહી શરુ કરી છે. જાણકારી પ્રમાણે બડગામમાં એક મોટું એન્કાઉન્ટર શરુ થયું છે.
આ એન્કાઉન્ટરમાં ત્રણ ખુંખાર આતંકવાદીઓને ઘેરી લીધા છે. પોલીસના મતે આ એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાનો ખુંખાર આતંકી લતીફ રાઠર પણ ઘેરાયો છે. કાશ્મીરના એડીજીપી વિજય કુમારે જણાવ્યું કે લતીફ રાઠર રાહુલ ભટ્ટ અને આમરીન ભટ્ટ સહિત ઘણા નિર્દોષ નાગરિકોની હત્યામાં સામેલ હતો. પોલીસના એક પ્રવક્તાએ બુધવારે સવારે કહ્યું કે સુરક્ષા બળોએ જિલ્લામાં ખાનસાહિબ વિસ્તારના વાટરહેલમાં આતંકવાદીઓની હાજરીની સૂચના મળી હતી. આ પછી તેમને ઘેરાબંધી કરી હતી.
તલાશી અભિયાન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાબળો પર ગોળીઓ ચલાવવાની શરૂઆત કરી હતી. સુરક્ષાબળોએ વળતો પ્રહાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા બળોનું ઓલઆઉટ ઓપરેશન યથાવત છે જેમાં આતંકીઓને શોધી-શોધીને ઠાર કરવામાં આવી રહ્યા છે.
આઈજીપી કાશ્મીરના મતે છેલ્લા ૬ મહિના દરમિયાન સુરક્ષા બળોએ ૧૧૧ આતંકીઓને ઠાર કર્યા છે. જેમાં ૭૭ આતંકી પાકિસ્તાન પ્રાયોજિત લશ્કર-એ-તૈયબાના સદસ્ય હતા.SS1MS