Western Times News

Gujarati News

CA ફાઉન્ડેશનની પરીક્ષામાં અમદાવાદના 2360 વિદ્યાર્થીઓમાંથી 704 પાસ થયા

આઈસીએઆઈ (ICAI) દ્વારા જૂન 2022માં યોજાયેલી સીએ ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર

અમદાવાદ કેન્દ્રનું 29.83 ટકા પરિણામ-સમગ્ર ભારતમાં 25.28 ટકા પરિણામ

અમદાવાદ, ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા જૂન, 2022માં લેવાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતાં.

આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બિશન શાહે સીએ ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામોમાં અમદાવાદ કેન્દ્ર અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જૂન 2022માં યોજાયેલી ફાઉન્ડેશન પરીક્ષામાં અમદાવાદમાંથી કુલ 2360 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

જેમાંથી 704 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે 29.83ની ટકાવારી સુચવે છે. ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાની અમદાવાદ બ્રાન્ચમાંથી કોચિંગ મેળવેલા કુલ 27 વિદ્યાર્થિઓએ પરીક્ષા આપી હતી

જેમાંથી 8 વિદ્યાર્થિઓ પાસ થયા છે. જે 29.62 ટકાવારી સુચવે છે. સમગ્ર ભારતમાં 93729 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 23693 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે 25.28ની ટકાવારી સુચવે છે.

ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાની અમદાવાદ બ્રાન્ચે સ્વામિનારાયણ વિદ્યામંદિર રાયસણ કન્યા શાળા સાથે ઓગસ્ટ 2021માં એમઓયુ કર્યા હતાં.

જે મુજબ અમદાવાદ બ્રાન્ચ દ્વારા કન્યા શાળાની કુલ 12 વિદ્યાર્થિનીઓને વર્ચ્યુલ કોચિંગ આપવામાં આવ્યું હતું. આ કન્યા શાળાની કુલ 4 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 1 વિદ્યાર્થિની પાસ થઈ છે.

સીએ બિશન શાહે સીએ ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામો અંગે વધુમા જણાવ્યુ હતું કે, ડિસેમ્બર 2021માં યોજાયેલી ફાઉન્ડેશન પરીક્ષામાં અમદાવાદમાંથી કુલ 3152 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

જેમાંથી 1059 વિદ્યાર્થીઓ પાસ થયા હતાં, જે 33.60ની ટકાવારી સુચવે છે. સમગ્ર ભારતમાં 1,10,662 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 33510 વિદ્યાર્થીઓ પાસ થયા હતાં, જે 30.28ની ટકાવારી સુચવે છે.

સીએ બિશન શાહે સીએ ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામો અંગે વધુમા જણાવ્યુ હતું કે, જુલાઈ 2021માં યોજાયેલી ફાઉન્ડેશન પરીક્ષામાં અમદાવાદમાંથી કુલ 1520 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 350 વિદ્યાર્થીઓ પાસ થયા હતાં, જે 23.03ની ટકાવારી સુચવે છે. સમગ્ર ભારતમાં 71967 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 19,158 વિદ્યાર્થીઓ પાસ થયા હતાં, જે 26.62ની ટકાવારી સુચવે છે.

આ પ્રસંગે આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં વાઈસ ચેરપર્સન સીએ ડો. અંજલી ચોક્સી, સેક્રેટરી સીએ નીરવ અગ્રવાલ, ટ્રેઝરર સીએ સમીર ચૌધરીનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.