Western Times News

Gujarati News

‘ગુજકોક’ કાયદાને ૧૬ વર્ષે મંજૂરી મળી

અમદાવાદ : ભાજપના માનીતા અને પ્રતિષ્ઠાસમાન એવા ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (ગુજકોક)ને આખરે રાષ્ટ્રપતિ દ્વારા ૧૬ વર્ષે મંજૂરી આપવામાં આવી છે. સને ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં ગુજરાત વિધાનસભામાં ગુજકોકનો કાયદો પસાર કરીને કેન્દ્રને મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો.

જે કાયદાને ૧૬ વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં રાષ્ટ્રપતિ દ્વારા આખરે બહાલી આપવામાં આવી છે. નોંધનીય છે કે, આ કાયદો ગુનેગારો અને આંતકવાદી તત્વો માટે બહુ ખતરનાક અને ઘાતક રહેશે કારણ કે, ગુજકોકનો કાયદો પોટા કરતાં પણ વધુ આકરી અને સખત જાગવાઇઓ ધરાવે છે.

આ નવા કાયદા વિશે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત જેવા સરહદી રાજ્યમાં આતંકવાદ સહિત સંગઠિત ગુનાખોરીનું નિયંત્રણ થાય તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્રઢ રાજકીય ઇચ્છા શક્તિથી સપનું જોયું હતું એ આજે સાકાર થયું છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ કાયદા વિધેયકને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે, જેના કારણે રાજ્યની સુરક્ષામાં નોંધપાત્ર
વધારો થશે અને પોલીસ અધિકારીઓને પુરતું બળ પણ મળશે.

ગૃહ મંત્રીએ ઉમેર્યુ હતું કે, ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (ગુજકોક)ને મંજૂરી મળતાં રાજ્યના પોલીસ અધિકારીઓને વધુ સત્તાઓ મળશે તથા ગુના નિયંત્રણ માટે વિશ્વાસ દ્રઢ બનશે. આ કાયદાની વિવિધ કલમોમાં આતંકવાદી કૃત્યો અને સંગઠિત ગુના માટે આકરી શિક્ષાની જોગવાઇ કરાઇ છે.

સાથે સાથે સંગઠિત ગુના સિન્ડીકેટના સભ્યો વતી બિન હિસાબી મિલકતનો કબજો ધરાવવા બદલ શિક્ષાની જોગવાઇ કરાઇ છે. ઉપરાંત ગુનાની ઇન્સાફી કાર્યવાહી માટે વિશેષ કોર્ટની રચના અને વિશેષ કોર્ટની હકુમત માટેની જોગવાઇ કરાઇ છે.

રાજ્ય આંતકવાદી પ્રવૃત્તિઓ તથા સંગઠીત ગુનાઓના નિયંત્રણ માટે સતત ચિંતિત છે. સંગઠીત ગુનાખોરી કે જેને કોઇ રાષ્ટ્રીય સીમાઓ લાગુ પડતી નથી તેને નિવારવા માટે ગુજરાતને આગવો કાયદો મળી રહે તે માટે ગુજરાત સરકારે વિધાનસભામાં કાયદો પસાર કર્યો હતો, જેને આજે મંજૂરી મળી છે.

આ કાયદાના અમલથી સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલીંગ), ધાક ધમકીથી પૈસા પડાવવા, પ્રતિબંધિત માલની દાણચોરી કરવી, ગેરકાયદે કેફી દ્રવ્યોનો વેપાર કરવો, ખંડણી માટે અપહરણ કરવા, રક્ષણ માટે નાણાં વસુલવા, નાણાંકીય લાભો મેળવવા માટે લોકોને છેતરવાના આશયથી પોન્ઝી સ્કીમ (કપટયુક્ત યોજના) અથવા મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ ચલાવવા જેવા ગુનાઓ નિયંત્રિત થશે.

કોઇપણ સ્વરૂપે થતાં સાયબર ગુનાઓ પ્રત્યે નિયંત્રણની સાથે સાથે સરહદની પેલે પાર ત્રાસવાદી સંગઠનો દ્વારા નાર્કો ત્રાસવાદને જે ઉત્તેજન આપવામાં આવે છે તેનું પણ નિયંત્રણ થશે. સંગઠિત ગુનાખોર સિન્ડીકેટ તેમની ગુનાહિત પ્રવૃત્તિઓમાં ટેક્નોલોજીનો જે ઉપયોગ કરીને સંદેશાવ્યવહારનો ઉપયોગ કરે છે તે સંદર્ભેની તપાસમાં તથા પુરાવો એકત્રિત કરવામાં પણ કાયદાનું પીઠબળ મળવાથી સફળતા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.