Western Times News

Gujarati News

રાજ્યના સવા લાખથી વધારે યુવાનોને રોજગાર નિમણૂંક પ્રમાણપત્રો એનાયત થશે

માન.મુખ્યમંત્રીશ્રીની આગેવાની હેઠળ રાજ્યની ૭ મહાનગરપાલીકા તેમજ ૩૩ જિલ્લાઓમાં તા.૨૬-૦૯-૨૦૨૨ના રોજ યોજાનાર રાજ્ય વ્યાપી કાર્યક્રમ

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર અંતર્ગત નિયામકશ્રી, રોજગાર અને તાલીમની કચેરી ગાંધીનગર દ્વારા તારીખ ૨૬/૦૯/૨૦૨૨ ના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રાજ્યના સવા લાખથી વધારે યુવાનોને રોજગાર નિમણૂંક પ્રમાણપત્રો / એપ્રેન્ટિસશીપ કરારપત્ર વિતરણ સમારોહનું આયોજન કરેલ છે.

રાજ્યના સવા લાખથી વધારે યુવાનોને ૩૩ જિલ્લામાં અને ૭ મહાનગરપાલિકા વિસ્તારમાં કાર્યક્રમનું આયોજન કરી રોજગાર નિમણૂંક પ્રમાણપત્રો /એપ્રેન્ટિસશીપ કરારપત્ર વિતરણ કરવામાં આવનાર છે.

ચાલુ વર્ષે રાજ્યમાં રોજગાર કચેરીઓના પ્રયત્નોથી અને જોબફેરના માધ્યમથી સવા લાખથી વધારે ઉમેદવારોએ રોજગારી મેળવેલ છે

આ પ્રસંગે માન. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને વિજ્ઞાન ભવન, સાયન્સ સિટી, અમદાવાદ ખાતે રાજ્યકક્ષાનો રોજગાર નિમણુકપત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવશે. ઉપરાંત મહાનગરપાલિકાના વિસ્તારોમાં ૭ કાર્યક્રમ અને જિલ્લા કક્ષાએ ૩૩ કાર્યક્રમ એમ કુલ ૪૦ કાર્યક્રમો અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનાર છે.

રાજ્યકક્ષાના કાર્યક્રમનું અન્ય તમામ કાર્યક્રમમાં જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં પ્રતિકાત્મક રૂપે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ઉમેદવારોને રોજગાર નિમણૂંક પ્રમાણપત્રો /એપ્રેન્ટિસશીપ કરારપત્ર એનાયત કરવામાં આવશે. સાથોસાથ અન્ય કાર્યક્રમમાં પણ હાજર મહાનુભાવોના વરદ હસ્તે ઉમેદવારોને રોજગાર નિમણૂંક પ્રમાણપત્રો /એપ્રેન્ટિસશીપ કરારપત્ર એનાયત કરવામાં આવનાર છે.

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના રોજગાર મહાનિયામક દ્વારા ઓગસ્ટ-૨૦૨૨ માં પ્રસિદ્ધ થયેલ ‘એમ્પ્લોયમેન્ટ એક્ષ્ચેન્જીસ સ્ટેટીસ્ટીકસ-૨૦૨૧’ મુજબ રોજગારી ઉપલબ્ધ કરાવવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે.

Ministry of statistics and programme implementation (MOSPI), ભારત સરકાર દ્વારા થતા Periodic Labour Force Survey માં બેરોજગારીના દર અંગેની ગણના થાય છે. જેનો અધ્યતન વાર્ષિક રિપોર્ટ જુલાઈ-૨૦૨૧ માં પ્રકાશિત થયેલ છે .સર્વેનો સમયગાળો જુલાઈ-૨૦૧૯ થી જુન-૨૦૨૦ છે. જેમાં તમામ વય માટે થયેલ સર્વે અનુસાર ભારતનો બેરોજગારીનો દર ૪.૮ ટકા છે જયારે ગુજરાતમાં માત્ર ૨.૦ ટકા જ છે જે દેશના તમામ રાજ્યો કરતા સૌથી નીચો છે.

લશ્કરી ભરતી મેળા  તથા નિવાસી તાલીમ

લશ્કર/અર્ધલશ્કરી દળોમાં ભરતી પૂર્વેની નિવાસી તાલીમ યોજના અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં  રાજયવ્યાપી ર૭૧ તાલીમવર્ગોના આયોજનથી ૭,૪પ૪ ઉમેદવારોને શારીરિક તથા લેખિત કસોટી અંગેની સધન તાલીમ આપવામાં આવેલ છે.

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલા સંરક્ષણ ભરતી મેળામાં રાજ્યની રોજગાર કચેરીઓના પ્રયત્નોને કારણે ૩,૮૩૪ ઉમેદવારો પસંદગી પામેલ છે.

 

રોજગારી તથા રોજગાર ભરતી મેળા

રોજગાર કચેરીઓ દ્વારા રાજયમાં છેલ્લા પ વર્ષમાં ગુજરાતમાં ૧પ,૭૭,૦૬૮ યુવાનોને રોજગારી આપવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન રોજગાર કચેરીએ ૯૩૦ ભરતીમેળા યોજેલ છે.

 

 

“અનુબંધમ” વેબપોર્ટલ તથા મોબાઇલ એપ્લિકેશન

ગુજરાતના યુવાનોને રોજગારી આપવા તથા નોકરીદાતાઓને તેમની જરૂરીયાત મુજબનું માનવબળ ઓનલાઈન વ્યવસ્થાથી પુરી પાડવાના શુભ આશયથી “અનુબંધમ” વેબપોર્ટલ તથા મોબાઇલ એપ વિકસાવવામાં આવેલ છે. આ વેબપોર્ટલ થકી રોજગારવાંચ્છુ ઉમેદવારો ઓનલાઈન નામ નોંધણી કરી શકે છે. ઉપલબ્ધ રોજગારીની તકો શોધી શકે છે. ખાલી જગ્યાઓ સામે ઉમેદવારી નોંધાવી રોજગારી મેળવી શકે છે.  શૈક્ષણિક લાયકાત તથા સ્કીલ પ્રમાણે નોકરી શોધી શકે છે. તેમજ ઓનલાઇન એકનોલેજમેન્ટ લેટર મેળવી શકે છે. વધુમાં નોકરીદાતાઓ પણ તેમની સંસ્થાનું ઓનલાઈન નોંધણી કરી શકે છે. તેમની સંસ્થામાં રહેલી ખાલી જગ્યાની નોંધણી કરી જરૂરીયાતની લાયકાત મુજબના યુવાનોને શોધીને મેચમેકીંગ કરી શકે છે. અને યુવાનોનું ઇન્ટવ્‍યુ ગોઠવી રોજગારી માટે પસંદગી કરી શકે છે.

“અનુબંધમ” વેબ પોર્ટલ માં હાલની સ્થિતિએ ૨,૬૯,૩૮૧ ઉમેદવારોની તથા ૪૦,૯૧૯ નોકરીદાતાઓની નોંધણી થયેલ છે અને બે લાખથી વધુ ઉમેદવારોને આ પોર્ટલનાં માધ્યમથી નોકરી મળેલ છે.

“રોજગાર સેતુ” પ્રોજેકટ

રાજ્યના યુવાનોને કોલ સેન્ટરના માધ્યમથી કોઈપણ જિલ્લાની અભ્યાસલક્ષી, રોજગારલક્ષી તથા સરકારી યોજનાની માહિતી ટેલિફોનીક માધ્યમથી મેળવી શકે તે માટે દેશમાં સૌપ્રથમ વખત “રોજગાર સેતુ” પ્રોજેકટ જાન્યુઆરી-૨૧ માં અમલમાં મુકેલ છે. આ સેવાનો આજ દિન સુધી એક લાખથી પણ વધારે યુવાનોએ લાભ લીધેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.