Western Times News

Gujarati News

ઈન્ટરસિટી ટ્રેન ધનતેરસ પર ભાવનગર-અમદાવાદ વચ્ચે દોડતી થશે

અમદાવાદ, ધનતેરસના પર્વથી અમદાવાદ-ભાવનગર વચ્ચે ઈન્ટરસિટી ટ્રેન દોડતી થઈ જશે, આ અંગેની જાહેરાત બુધવારે સાંસદ ડૉ. ભારતીબેન શિયાળે કરી હતી. આ ટ્રેન એક પ્રકારે ભાવનગર અને બોટાદના લોકો માટે દિવાળીની ભેટ સમાન છે.

શનિવારે એટલે કે ૨૨ ઓક્ટોબરના રોજ સવારે ૧૦ કલાકે ભાવનગર રેલવે સ્ટેશન પરથી આ ઈન્ટરસિટી ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે. આ અંગે માહિતી આપતા ડૉ. ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે, ‘અમદાવાદથી ભાવનગર જવાના માર્ગ પર ઘણીવાર જબરદસ્ત ટ્રાફિક જામ જાેવા મળે છે.

આટલું જ નહીં આ રોડ પર જીવલેણ અકસ્માત થયો હોવાના કિસ્સા પણ આપણે જાેયા છે’. તેથી, આ ટ્રેન ન માત્ર મુસાફરોના સમયની બચત કરશે પરંતુ અકસ્માતની સંખ્યામાં પણ ઘટાડો થશે. અમદાવાદ અને બોટાદ વચ્ચે જે ગેજ કન્વર્ઝનનું કામ ચાલી રહ્યું હતું તે હવે પૂરું થઈ ગયું છે.

અમદાવાદ-ભાવનગર ઈન્ટરસિટી ટ્રેન તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટેની માગણી કરવા માટે બુધવારે ડૉ. ભારતીબેને કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને દર્શનાબેન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમની વિનંતી સ્વીકારવામાં આવી હતી અને ધનતેરસથી જ ટ્રેન શરૂ થઈ જશે તેમ કહેવામાં આવ્યું હતું.

અમદાવાદ-ભાવનગર ઈન્ટરસિટી ટ્રેન રવિવારે એટલે કે ૨૩ ઓક્ટોબરથી મુસાફરો માટે શરૂ થઈ જશે. ટ્રેન વહેલી સવારે ૬.૧૦ કલાકે ભાવનગરથી ઉપડશે અને ૧૦ કલાકે અમદાવાદના સાબરમતી સ્ટેશને પહોંચશે. આ ટ્રેન ફરી સાંજે ૪ કલાકે ત્યાંથી ઉપડશે અને ૮ કલાકે ભાવનગર પહોંચાડશે.

આ સિવાય, ઢસા-જેતલસર લાઈનમાં લુણધરા સુધીનું ઈન્સપેક્શનનું કામ પૂરું થઈ ગયું છે. બાકીનું કામ પૂરું થતાં ટૂંક સમયમાં ઢસા-જેતલસર બ્રોડગેજ લાઈન પણ શરૂ થશે. ભાવનગરમાં હવે એકપણ નેરોગેજ કે મીટરગેજ ટ્રેન નથી. તમામ ટ્રેન બ્રોડગેજ લાઈન થઈ ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.