Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વડાપ્રધાન સાથે મુલાકાત દરમ્યાન ટિકિટની માંગણી કરવામાં આવી નથીઃ નરેશ પટેલ

ખોડલધામના નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓની મોદી સાથેની મુલાકાતને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે

રાજકોટ,  ખોડલધામના નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓની પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાતને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે. ખોડલધામ ટ્રસ્ટી રમેશ ટીલાળાએ આ અંગે સ્પષ્ટતા કરી છે.

તેમનું કહેવું છે કે, વડાપ્રધાન મોદી સાથે કરેલી મુલાકાત માત્ર ઔપચારિક મુલાકાત હતી. ટિકિટની કોઈપણ પ્રકારની માંગણી કરવામાં આવી નથી. તેમજ પ્રધાનમંત્રી મોદીને ખોડલધામ ધ્વજા ચઢાવવા આમંત્રણ આપ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખોડલધામનું આમંત્રણ સ્વીકાર્યું છે.

ખોડલધામના નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓની પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાત બાદ આજે ખોડલધામની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. ટ્રસ્ટી રમેશ ટીલાળાની પ્રેસ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાતને લઈને સ્પષ્ટતા કરવામાં આવી છે. શનિવારના રોજ નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

આ અંગે તેમણે જણાવ્યું કે, કોઈ રાજકીય ચર્ચા થઈ નથી. ટિકિટની કોઈ માંગણી કરવામાં આવી નથી. અમારા તરફથી નિમંત્રણ આપવામાં આવ્યું છે. ધ્વજાજી ચઢાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રેસ કોન્ફરન્સમાં પ્રવક્તા હસમુખ લુણાગરિયા પણ હાજર હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખોડલધામ સાથે નાતો ખૂબ જૂનો છે. અગાઉ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે પણ ખોડલધામ ખાતે આવ્યા હતા. તે વખતે કૃષિ મેળો યોજવામાં આવ્યો હતો. તે સમયે પણ લાખોની જનમેદની એકઠી થઈ હતી.

નોંધનીય છે કે, દિલ્હીમાં નરેશ પટેલ અને વડાપ્રધાન મોદી વચ્ચે મુલાકાત થઇ હતી. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળના સભ્યોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દિલ્હી ખાતે મુલાકાત લીધી હતી. જે બાદ આજે પ્રધાનમંત્રી મોદી સાથેની મુલાકાતને લઈને સ્પષ્ટતા કરાઇ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers