ભરૂચ જીલ્લાની પાંચ બેઠકો માટે ભાજપે યાદી જાહેર કરતા સમર્થકોમાં ખુશી
અંકલેશ્વરમાં પાંચમી વખત ઈશ્વર પટેલ,વાગરામાં ત્રીજી વખત અરૂણસિંહ રાણા રીપીટ: જંબુસરમાં સંત દેવકિશોર ની એન્ટ્રી તો ઝઘડિયા આદિવાસી બેઠક પર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રીતેશ વસાવા ઉમેદવાર
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે ભાજપે જારી કરેલી યાદીમાં ભરૂચ બેઠક ઉપર ૨૦૦૭ નું રિવિઝન કરી ધારાસભ્ય દુષ્યંત પટેલનું પત્તુ કાપી પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને ટિકિટ પરત અપાઈ છે.જ્યારે અંકલેશ્વરના ચાર ટર્મથી ધારાસભ્ય અને વાગરાના બે ટર્મથી ધારાસભ્ય એવા અરૂણસિંહ રણાને રીપીટ કરાયા છે.
ભાજપની ભરૂચ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે ફાઈનલ ટિકિટની જાહેરાતને લઈ ભૂકંપના આંચકા સમર્થકોમાં અને દાવેદારોમાં અનુભવાયા છે.વર્તમાન ત્રણ ધારાસભ્યો રિપીટ કે નો રિપીટની ચાલતી અટકળો વચ્ચે બે ધારાસભ્યોને ભાજપે રિપીટ કર્યા છે.
જ્યારે ભરૂચના ત્રણ ટર્મથી ધારાસભ્ય અને વિધાનસભાના ઉપદંડક દુષ્યંત પટેલની ટિકિટ કાપી છે.જેમાં વર્ષ ૨૦૦૭ માં ભાજપે ભરૂચના વર્તમાન ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ટિકિટ કાપી દુષ્યંત પટેલને ટિકિટ આપી હતી.જેનાથી નારાજ થઈ રમેશ મિસ્ત્રીએ બળવો પણ કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી હતી.જાેકે બાદમાં તેઓએ ફોર્મ પરત ખેંચી ભાજપના ઉમેદવારના પ્રચાર પ્રસરમાં જાેડાઈ ગયા હતા.
હવે વર્ષ ૨૦૦૭ નું ભાજપે ભરૂચ બેઠક ઉપર ફરી પુનરાવર્તન કર્યું છે.પર્વતમાન ધારાસભ્યની ટિકિટ કાપી પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને ત્રણ ટર્મ બાદ પરત કરી છે.હાલ રમેશ મિસ્ત્રી ભાજપ બક્ષીપંચ મોરચામાં પ્રદેશ કક્ષાએ જવાબદારી સંભાળી રહ્યા છે.
અંકલેશ્વરમાં ઈશ્વર પટેલને પાંચમી વખત ટિકિટ અપાઈ છે.વાગરા બેઠક ઉપર પણ ત્રીજી વખત અરૂણસિંહ રણાને રિપીટ કરી દેવાયા છે.જંબુસર બેઠક ઉપર કાર્યકર અને નાહીયેર ગુરુકુળના સંત દેવ કિશોર ડી.કે.સ્વામીને ઉમેદવાર જાહેર કરાયા છે.તેઓ ગત ટર્મથી જંબુસર બેઠક માટે ભાજપની ટિકિટ મેળવવાની કતારમાં હતા.તો આદિવાસી ઝઘડિયા બેઠક માટે ભાજપે ઝઘડિયા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રીતેશ વસાવાને ટિકિટ ફાળવી છે.
આમોદમાં ૧૫૦ થી વધુ આદિવાસી પરિવારોનું ધર્માંતરણ વચ્ચે જંબુસરમાં પૂર્વ ધારાસભ્ય છત્રસિંહ મોરી સામે લોકોમાં ભારે નારાજગી હતી. તેમને અને તેમના પુત્ર બન્નેએ ટિકિટ માંગી હતી. જાેકે ૨૦૧૭ થી ટિકિટ માટે પ્રયાસો કરતા સક્રિય કાર્યકર ડી.કે.સ્વામીને આ વખતે ટિકિટ મળી ગઈ છે.તેઓ આમોદના નાહીયેર ગુરુકુળના સંત સાથે ભરૂચમાં સ્વામી નારાયણ ગુડવીલ સ્કૂલના સંચાલક છે.સાથે જ પંડિત દીનદયાલ ભોજનલયના સંચાલક પણ છે અને યોગી આદિત્યનાથના પણ નજદીકી છે.
અંકલેશ્વર તેમજ વાગરા મત વિસ્તારની પ્રજામાં પ્રવર્તમાન બન્ને ધારાસભ્યો સામે નારાજગી હતી. ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો પણ ઉમેદવાર બદલવા અને નવા ચહેરાને તક આપવાની અંદર ખાને તરફેણમાં હતા કોળી પટેલનું પ્રભુત્વ ધરાવતી અંકલેશ્વર હાંસોટ બેઠક ઉપર કોંગ્રેસમાંથી ધારાસભ્યના ભાઈ વલ્લભ પટેલની ટિકિટ પાકી હોવાનું લઈ ભાજપે રિપીટ થિયરી અપનાવી હોવી જાેઈએ.
જ્યારે વાગરા બેઠક ઉપર દરબારો અને લઘુમતીઓના વધુ મતો વચ્ચે વર્ચસ્વ વાળી આ બેઠક પર ખમતીધર ગણાતા અને અમિત શાહના પણ નજીકના મનાતા અરૂણસિંહ રણાને રિપીટ કરી દેવાયા છે.