Western Times News

Gujarati News

ફેરિયાઓ, રીક્ષાચાલકોને ૬૦ વર્ષની ઉંમર પછી માસિક રૂ.૩૦૦૦ પેન્‍શન મેળવી શકશે

પ્રતિકાત્મક

અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા શ્રમયોગીઓ જેવા કે, ફેરિયાઓ, રીક્ષાચાલકો, બાંધકામ શ્રમયોગીઓ, કચરો વીણનાર, બીડી કામદારો, ખેત શ્રમિકો, ડ્રાઇવર, દરજી, મોચી, ઘરેલુ કામદારો, સ્‍વરોજગારી મેળવતા શ્રમયોગીઓ વગેરેને વૃદ્ધાવસ્‍થામાં પેન્‍શનનો લાભ મળી રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી માનધન યોજના અમલમાં મૂકવામાં આવી છે. આવા અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા શ્રમયોગીઓ કે જેઓની માસિક આવક રૂા.૧૫ હજાર કે તેથી ઓછી અને ઉમર ૧૮ થી ૪૦ વર્ષ છે, તેવા અસંગઠિત શ્રમયોગીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે.

આ યોજના હેઠળ નોંધાયેલા શ્રમયોગીની ઉંમરના પ્રમાણમાં રૂા.૫૫ થી ૨૦૦ સુધીનો માસિક ફાળો સીધો તેઓના બેંક ખાતામાંથી કપાશે. આ ફાળાની રકમ શ્રમયોગી ૬૦ વર્ષની ઉંમરે પહોંચે ત્‍યાં સુધી દર માસે ભરવાનો રહેશે.

દર માસે લાભાર્થીના ફાળા જેટલો જ ફાળો ભારત સરકાર દ્વારા જે તે શ્રમયોગીના ખાતામાં જમા કરાવવામાં આવશે. ત્‍યારબાદ લાભાર્થી જ્‍યારે ૬૦ વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્‍યારથી દર માસે રૂા. ૩ હજાર નિヘતિ પેન્‍શન તેને મળશે. પેન્‍શન શરૂ થયા બાદ જો શ્રમયોગીનું અવસાન થાય તો તેના પતિ અથવા પત્‍નિને અડધું એટલે કે રૂા.૧૫૦૦/- પેન્‍શન દર માસે મળવાપાત્ર થશે.

આ યોજનાનો લાભ લેવા માટે પાત્રતા ધરાવતા અસંગઠિત શ્રમયોગીઓ ફક્‍ત આધાર કાર્ડ, સેવિંગ્‍સ બેંક અથવા જનધન બેંકની વિગતો, વપરાશમાં હોય તે મોબાઇલ અને પ્રથમ ફાળાની રકમ જ સાથે લઇને નજીકના કોમન સર્વિસ સેન્‍ટર ખાતે જવાનું  રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, એન.પી.એસ., ઇ.પી.એફ. તથા ઇ.એસ.આઇ.સી.નો લાભ લેવા અને આવકવેરો ભરતા શ્રમયોગીઓ આ યોજના હેઠળ જોડાઇ શકશે નહીં.

પ્રધાનમંત્રી માનધન યોજના હેઠળ અત્‍યાર સુધીમાં ગુજરાતમાં ૩.૬૦ લાખ શ્રમયોગીઓ જ્‍યારે સમગ્ર દેશમાં ૩૨.૬૮ લાખ શ્રમયોગીઓ જોડાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.