Western Times News

Gujarati News

ગુજરાતના આ જિલ્લામાં મતદાન કેન્દ્ર પર પ્રાથમિક સારવારની સુવિધા

દાહોદ જિલ્લામાં મતદારો સુખેથી મતદાન કરી શકે તે માટે પ્રાથમિક સારવાર સહિતની તમામ વ્યવસ્થાઓ- વૃદ્ધ, દિવ્યાંગ, અશક્ત મતદાતાઓ માટે વ્હીલચેર સહિતની સુવિધાઓ

(માહિતી) દાહોદ, દાહોદ જિલ્લામાં આગામી તા. ૫ ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે ત્યારે જિલ્લાના ૧૫.૮૩ લાખથી વધુ મતદારો માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકે વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેથી તેઓ સરળતાથી મતદાન કરી શકે.

જિલ્લાના કોઇ પણ લાયક મતદાર તે વૃદ્ધ હોય, દિવ્યાંગ હોય તમામ મતદારો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક મતદાન મથકે પ્રાથમિક સારવાર સહિતની તમામ વ્યવસ્થાઓ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીના માર્ગદર્શનમાં ઉભી કરાઇ છે.

જિલ્લામાં કુલ ૧૬૬૨ મતદાન મથકો છે અને ૧૧૫૫ મતદાન મથક લોકેશન છે. જે પૈકી ૧૨૪ મતદાન મથક શહેરી વિસ્તારના છે. જેના ૫૫ લોકેશન છે. જયારે ૧૫૩૮ મતદાન મથકો ગ્રામ્ય વિસ્તારના છે. જેના ૧૧૦૨ લોકેશન છે. આ તમામ મતદાન મથકોએ મતદારો સરળતાથી મતદાન કરી શકે એ માટેની વ્યવસ્થાઓ કરાઇ છે.

આ ઉપરાંત દરેક વિધાનસભા મતવિસ્તારમાં આદર્શ મતદાન મથક, સખી મતદાન મથક, ઇકો ફ્રેન્ડલી મતદાન મથક, પીડબલ્યુડી પોલીગ સ્ટેશન પણ ઉભા કરાયા છે. દેવગઢ બારીયા ખાતે યુવા મતદાન મથક પણ ઉભું કરાયું છે જયાં ૨૫ વર્ષથી નીચેના યુવાઓ દ્વારા સંચાલન કરાશે.

તમામ મતદાન મથકે પીવાના પાણી, શૌચાલય સહિતની પાયાની સુવિધાઓ ઉભી કરાઇ છે. તેમજ હેલ્પડેસ્ક ઉપરથી મતદારને તમામ માહિતી પણ મળી રહેશે. કોઇ દિવ્યાંગ મતદાર હોય તો તેના માટે વ્હીલચેર સહિતની વ્યવસ્થા કરાઇ છે. તેમજ મોબાઈલ એપની પણ દિવ્યાંગો મતદાર મદદ લઇ શકે છે. દિવ્યાંગ મતદારોને આ એપ્લિકેશનના માધ્યમથી ઘરે બેઠા ઉપયોગી માહિતી મળી શકશે. દિવ્યાંગ મતદારો પોતાના ઉપયોગ માટે વ્હિલચેરની વિનંતી કરી શકશે.

દરેક મતદાન મથકે મતદાર માટે જરૂરી સાઇનેઝની વ્યવસ્થા કરાઇ છે. જેથી તેઓ ઝડપથી મતદાન કરી શકે. મતદાન મથકે કોઇ મતદારને આકસ્મિક સારવારની જરૂર પડે તો પ્રાથમિક સારવારની કીટ પણ તૈયાર રખાઇ છે. તેમજ હેલ્પડેસ્ક ઉપરથી મતદાર મુંઝવણમાં હોય તો માર્ગદર્શન પણ મેળવી શકે છે.

મતદારોએ મતદાન વખતે ચૂંટણી કમિશન દ્વારા નક્કી કરાયેલા ૧૨ પૂરાવા પૈકીનો કોઇ એક અસલ પુરાવો સાથે રાખવાનો રહેશે. મતદારે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે મતદાન વખતે તેઓ પોતાની સાથે મોબાઇલ રાખી શકશે નહી જેથી આ અંગે અગાઉથી જ યોગ્ય વ્યવસ્થા કરી લે.

મતદાન કરતી વખતે મતદાનની ગુપ્તતાની જાળવવી પણ ખૂબ જરૂરી છે. પોતે જેને મત આપ્યો હોય તે જાહેર કરવું એ ગુનાહિત કૃત્ય છે. તેમજ મતદાન કર્યા પછી શક્ય એટલી ઝડપથી મતદાન મથક છોડી દેવાનું રહેશે. સીઆરપીસી ૧૪૪ નું જાહેરનામું લાગું થયું હોવાથી મતદાન મથકના ૨૦૦ મીટરના વિસ્તારમાં ભીડ એકઠી ના થાય એ માટે એે જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.