Western Times News

Gujarati News

40 સ્લીપર કોચ અને 111 લક્ઝરી કોચ એમ કુલ 151 GSRTC બસોનું લોકાર્પણ

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઓટોમેટીક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો પ્રારંભ કરાવ્યો

એસ.ટી. નિગમ દ્વારા નવી બસનું નિર્માણ ઇન હાઉસ કરવામાં આવ્યું છે-૪૦ સ્લીપર કોચ અને ૧૧૧ લક્ઝરી કોચ મળી સુવિધાયુકત ૧પ૧ બસ સેવામાં મુકાઇ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાત એસ.ટી. દ્વારા મુસાફર લક્ષી વધુ  બે સુવિધાઓનો શુભારંભ થયો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે કુલ ૫૩ કરોડ રૂપિયાના ખર્ચે નવી ૧૫૧ બસ મુસાફર જનતાની સેવામાં કાર્યરત કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ ૪૦ સ્લીપર કોચ અને ૧૧૧ લક્ઝરી કોચ એમ કુલ ૧૫૧ બસીસનું ગાંધીનગરમાં બે ડ્રાઇવર ભાઈઓને  બસ ની ચાવી પ્રતીક રૂપે આપીને લોકાર્પણ કર્યું હતું.

આ નવી બસ સેવાઓ રાજ્યમાં મુસાફરોની સફર વધુ આરામદાયક તેમજ સગવડ્યુક્ત બનાવશે. વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીએ એસ.ટી. નિગમની અન્ય એક વધુ મુસાફર સુવિધા સેવા ઓટોમેટીક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો પણ પ્રારંભ કરાવ્યો હતો.

આ સિસ્ટમ કાર્યરત થવાથી મુસાફરોને પૂછપરછ બારીનો ઉપયોગ કર્યા વિના ઓડિયો સિસ્ટમ મારફતે બસનો રૂટ, બસ નંબર, સ્ટોપેજીસ અને બસ ક્યા પ્લેટફોર્મ પર આવશે તેની સંપૂર્ણ વિગતો મળતી થઈ જશે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, ગુજરાત એસ.ટી નિગમે નાગરિક મુસાફરોની સુવિધામાં સતત વૃદ્ધિના અભિગમ સાથે રૂપિયા ૩૧૦ કરોડની નાણાકીય જોગવાઈ સાથે એક હજાર નવી બસ સંચાલનમાં મૂકવા કાર્ય આયોજન કર્યું છે.

આ ૧૦૦૦ બસમાંથી ૫૦૦ સુપર એક્સપ્રેસ, ૩૦૦ લક્ઝરી અને ૨૦૦ સ્લીપર કોચ ક્રમશઃ  મુસાફરોની સેવામાં મૂકવામાં આવી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ નવી બસ પૈકી  વધુ ૧૫૧ બસ આજથી પેસેન્જર સર્વિસમાં મૂકવામાં આવી છે. આ બસનું નિર્માણ એસ. ટી નિગમ દ્વારા ઈન હાઉસ કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગ્રીન ક્લિન એનર્જીને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતામાં સૂર પુરાવતા એસ.ટી નિગમે ઝીરો એર પોલ્યુશન ધરાવતી ૫૦ ઇલેક્ટ્રીક બસ સંચાલનમાં મૂકી છે અને હજુ વધારે ૫૦ ઇ-બસ નાગરિકોની સેવામાં આવનારા દિવસોમાં શરૂ કરાશે.

એટલું જ નહિ, ૨૦૨૦ માં દેશમાં જાહેર પરિવહન સેવા માટે કાર્યરત નિગમ દ્વારા પર્યાવરણ પ્રિય BS06 નોર્મ્સ ધરાવતી ૧૦૦૦ બસ દેશ ભરમાં પ્રથમ સંચાલનમાં મુકનારા નિગમનું ગૌરવ પણ  ગુજરાત એસ.ટી નિગમને આ અગાઉ મળેલું છે.

ગુજરાત એસટી ૨૭૪ સ્લીપર કોચ, ૧૧૯૩ સેમી લક્ઝરી અને ૫૨૯૬ સુપર ડિલક્સ સુપર  અને ૧૨૦૩ મીની બસ સહીત ૭૯૬૬ ના કાફલા સાથે રાજ્યની જનતા જનાર્દનની પરિવહન સુવિધા માટે કર્તવ્યરત છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત એસ.ટી નિગમને કાર્યદક્ષ, સમયસર અને પર્યાવરણ પ્રિય યાતાયાત સુવિધા લોકોને પૂરી પાડવા અંગે અભિનંદન પાઠવ્યા હતા.

વાહન વ્યવહારના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, એસ.ટી નિગમના એમ.ડી શ્રી ગાંધી, જોઇન્ટ એમ.ડી શ્રી પ્રજાપતિ, ગાંધીનગર શહેરના મેયર શ્રી હિતેશ મકવાણા, તેમજ ગાંધીનગર ઉત્તર, દહેગામ, કલોલ અને માણસા ના ધારાસભ્યો અને આમંત્રિતો, અધિકારીઓ આ અવસરના સાક્ષી બન્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.