Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

Ahmedabad:હાટકેશ્વર બ્રિજનું બ્યુટિફિકેશન કરી ટૂરિસ્ટ સ્પોટ બનાવાનો અભિપ્રાય

અમદાવાદ, અત્યારે હાટકેશ્વર બ્રિજની સ્થિતિ પણ ઘરમાં રાખેલા વપરાતા ન હોય તેવા ટ્રેડમિલ જેવી થઈ ગઈ છે. આનો કોઈ યોગ્ય ઉપયોગ ન થઈ રહ્યો હોય એમ લાગી રહ્યું છે. Ahmedabad: Opinion of making Hatkeshwar Bridge a tourist spot by beautifying it

હવે આ બ્રિજ સામે વધુ એક રેડ ફ્લેગ આવી ગયું છે, જે જાહેર જીવન અને સલામતીને જાેખમમાં મુકે છે. સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી સુરત, જેને નાગરિક સંસ્થા દ્વારા અભ્યાસ માટે જાેડવામાં આવી હતી, તેણે અભિપ્રાય આપ્યો છે કે ફ્લાયઓવરને પુનઃસ્થાપિત કરવાના કોઈપણ પ્રયાસ માટે નવા બ્રિજના ખર્ચ કરતાં લગભગ સમાન અથવા વધુ ખર્ચ થશે. વળી જૂના પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રિટ બોક્સના આયુષ્યની આગાહી કરી શકાતી નથી.

તેના બદલે, SVNITએ સૂચન કર્યું છે કે અત્યારનાં પુલનું બ્યુટીફિકેશન કરવું જાેઈએ. દુનિયામાં આવા ઘણા બ્રિજ છે જે લોકોના પ્રવાસનું આકર્ષણનું કેન્દ્ર છે જેમ કે કેન્ટીલીવર કેબલ સ્ટેડ બ્રિજ, સન એન્ડ મૂન બ્રિજ, મલેશિયા એર બ્રિજ, સિંગાપોરનો સેફ્ટી લિંક અથવા બ્રાઝિલનો જુસેલિનો કુબિટશેક પુલ.

આ પ્રમાણે બ્યૂટિફિકેશનથી આ બ્રિજ પ્રવાસીઓના આકર્ષણ તરીકે વધારાની સાથે એક આવકનો સ્ત્રોત પણ બની જશે. બ્રિજનું બાંધકામ ૨૦૧૫માં શરૂ થયું હતું અને ૨૦૧૭માં તેને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

SVNITના સિવિલ એન્જિનિયરિંગના પ્રોફેસર અતુલ દેસાઈએ રજૂ કરેલા અહેવાલમાં જણાવાયું છે કે કોંક્રિટની મજબૂતાઈના નુકસાનને કારણે પીએસસીમાં ક્રેકીંગ અને ક્રશિંગ થયું હતું જેના કારણે બ્રિજ નીચે પડી ગયો હતો.

બેરિંગ્સ અને બેરિંગ પેડેસ્ટલ્સમાં વધુ નુકસાન થયું હતું. તિરાડો દેખાય તે પછી ત્યાં ભેજ ફેલાઈ જાય છે અને તે આગળ જતા કાટમાં ફેરવાઈ અંદરના ભાગને નુકસાન પહોંચાડી શકે છે. આ અંગે અહેવાલોમાં પણ ચેતવણી અપાઈ ચૂકી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે ૨૦૧૭ અને ૨૦૨૧ ની વચ્ચે ફ્લાયઓવરને કોઈ નુકસાન થયું નથી.

AMC દ્વારા રોકાયેલા અન્ય કન્સલ્ટન્ટ, ઈ-ક્યુબ કોંક્રીટ કન્સલ્ટન્ટ્‌સે અભિપ્રાય આપ્યો કે હાટકેશ્વર ફ્લાયઓવર કોંક્રીટમાં સ્૪૫ ગ્રેડમાં અપેક્ષિત કરતાં સિમેન્ટનું પ્રમાણ ઘણું ઓછું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે સિમેન્ટ પેસ્ટની ગુણવત્તા નબળી છે, તેનું કારણ સ્વીકાર્ય મર્યાદા કરતાં વધુ પાણીનું પ્રમાણ ઉમેરવામાં આવ્યું હતું. પાણી અને સિમેન્ટના ઉચ્ચ ગુણોત્તરને લીધે, કોંક્રિટમાં ગાબડા પડતા હોય એવું અનુમાન લગાવાઈ રહ્યું છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers