નાગરિકત્વનું નિર્ધારણ તટસ્થ અને કાનૂની પ્રક્રિયા અન્વયે થવું જોઈએઃ સુપ્રીમ કોર્ટ
ગુવાહાટી હાઈકોર્ટે આપેલા ચુકાદા પર પુનઃવિચારણાના નિર્દેશ
નાગરિકત્વ મેળવવાના હકદાર ન હોય તેવા લોકો પ્રક્રિયાનો ગેરલાભ ન ઊઠાવે તે જોવાની જવાબદારી રાજ્યોની છે
નવી દિલ્હી,ગુવાહાટી હાઈકોર્ટે કેટલાક વ્યક્તિઓની નાગરિકત્વ મેળવવાની અરજીને ફગાવી તેમને વિદેશી જાહેર કર્યા હતા. હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઠરાવ્યુ હતું કે, નાગરિકત્વનો દરજ્જો નિર્ધારિત કરવાની પ્રક્રિયા તટસ્થ-સ્વચ્છ, કાનૂની પ્રક્રિયા અંતર્ગત થવું જોઈએ અને સમગ્ર પ્રક્રિયા તર્કસંગત હોવી જોઈએ. ગુવાહાટી હાઈકોર્ટે આપેલા ચુકાદા પર પુનઃવિચારણાના નિર્દેશ આપતા સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, કાયદા સમક્ષ સમાનતા, સમાન રક્ષણ, જીવન અને અંગત સ્વતંત્રતા દેશમાં દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ છે.
અરજદારોએ નાગરિકતા મેળવવા કરેલી અરજીના મેરિટની ચકાસણી ન કરી હોવાનું જણાવી સુપ્રીમ કોર્ટે સંબંધિત ટ્રિબ્યુનલને નવેસરથી વિચારણા હાથ ધરવા અને હાઈકોર્ટના ચુકાદાથી પ્રભાવિત ન થવા નિર્દેશ આપ્યા હતા. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મેહતાની બેન્ચે નોંધ્યું હતું કે, નાગરિકત્વ મેળવવાના હકદાર ન હોય તેવા લોકો પ્રક્રિયાનો ગેરલાભ ન ઊઠાવે તે જોવાની જવાબદારી રાજ્યોની છે. નિર્ધારણની પ્રક્રિયાને સ્વચ્છ-તટસ્થ, પારદર્શી અને તર્કબદ્ધ પદ્ધતિથી હાથ ધરવી જોઈએ. હાઈકોર્ટના ચુકાદાને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે આસાસા સ્થિત સંબંધિત ફોરેન ટ્રિબ્યુનલ સમક્ષ સુનાવણી હાથ ધરવા નિર્દેશ આપ્યા હતા.
કેટલાક કિસ્સામાં તત્કાલીન ઈલ-લીગલ માઈગ્રન્ટ ટ્રિબ્યુનલ્સ સમક્ષ સુનાવણી હાથ ધરાઈ હતી અને નાગરિકત્વની અરજી ફગાવી દેવાઈ હતી. બાદમાં હાઈકોર્ટે પણ ટ્રિબ્યુનલના આદેશને ગ્રાહ્ય રાખ્યા હતા. સુપ્રીમ કોર્ટે નોંધ્યુ હતું કે, બંધારણની કલમ ૧૧ અન્વયે નાગરિકત્વ પ્રાપ્ત કરવા અને છીનવી લેવા માટે નવી જોગવાઈ બનાવવાની સત્તા સંસદ પાસે છે. કાયદાની જોગવાઈ અન્વયે પોતાની નાગરિકતા સ્થાપિત કરવામાં સક્ષમ ન હોય તેવા વ્યક્તની તરફેણમાં કોઈ ચુકાદો આપવાનો ઈરાદો નહીં હોવાની સ્પષ્ટતા પણ સુપ્રીમ કોર્ટે કરી હતી.SS1
