Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

બાવળાના આ ગામે પીવાના પાણીની સુવિધા ન મળવાથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો પરિવાર

બાવળા તાલુકાના સાલજડા ગામના વતની નિકેશભાઈ ગોસ્વામીની સમસ્યાનું ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ દ્વારા થયું ત્વરિત નિવારણ

તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીની અધ્યક્ષતામાં નિકેશભાઈ ગોસ્વામીનો પ્રશ્ન હલ થતા સરકારનો માન્યો આભાર

અમદાવાદના બાવળા તાલુકાના સાલજડા ગામના ગોસ્વામી નિકેશભાઈ કોઈ કારણોસર છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સુવિધાથી વંચિત હતા. રાજ્ય સરકારના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પીવાના પાણી બાબતની સમસ્યા લઈને આવ્યા હતા. આ સમસ્યા હલ કરવા બાબતે તેમણે ‘તાલુકા સ્વાગત’ કાર્યક્રમમાં અરજી કરી હતી.

પ્રધાનમંત્રી શ્રી તથા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં નાગરિકોના પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે વર્ષ 2003 થી શરૂ કરવામાં આવેલ સ્વાગત કાર્યક્રમને એપ્રિલ 2030 માં વીસ વર્ષ પૂર્ણ થયા ત્યારે રાજ્ય સરકારના આ 20 વર્ષના સુશાસનની ઉજવણી અન્વયે સમગ્ર રાજ્યમાં ‘સ્વાગત સપ્તાહ’નું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકામાં ‘સ્વાગત કાર્યક્રમ’ ચાલી રહ્યો છે.

નિકેશભાઈના કહેવા પ્રમાણે, તેઓ ઘણા સમયથી સમયસર પીવાનું પાણી મેળવી શકતા નહોતા. પાણીની પાઇપલાઇનમાં ભંગાણ તથા દૂષિત પાણી આવવા જેવી સમસ્યાઓ પણ તેમના વિસ્તારમાં સામાન્ય હતી. જેથી તેમનો પરિવાર પીવાના સ્વચ્છ પીવાના પાણીથી વંચિત હતો. રોજબરોજના વપરાશ માટે તો તેઓને પાણી મળી રહેતું પરંતુ ચોખ્ખું પીવાનું પાણી ન મળવાથી સ્ત્રીઓએ રસોઈ માટે પાણી લેવા પણ દૂર સુધી જવું પડતું હતું.

નિકેશભાઈને જ્યારે તાલુકા સ્વાગત કાર્યક્રમની જાણ થઈ ત્યારે તેમણે તાત્કાલિક ધોરણે અરજી કરી હતી. અરજી દાખલ કર્યા બાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં નિકેશભાઈની પીવાની પાણીની સમસ્યાનો નિકાલ કરવામાં આવ્યો છે.

નિકેશભાઈના કહેવા પ્રમાણે હાલમાં તેમને સમયસર પીવાનું પાણી મળી રહે છે તથા તેમના વિસ્તારમાં હાલમાં કોઈ પણ જાતની પાણીની સમસ્યા નથી. સ્વાગત કાર્યક્રમને વરદાન ગણાવતા તેમણે રાજ્ય સરકારનો આભાર માન્યો છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers