Western Times News

Gujarati News

EDII: સસ્ટેનેબિલિટી હેકાથોન ચેલેન્જ – ગ્રાન્ડ ફિનાલેમાં 170 આઈડિયા રજૂ થયા

ઈડીઆઈઆઈ ખાતે સસ્ટેનેબિલિટી હેકાથોન ચેલેન્જ-ગ્રાન્ડ ફિનાલેમાં ભારતભરના 31 ઈન્સ્ટિટ્યૂટ્સના વિદ્યાર્થીઓએ 170 આઈડિયાઝ રજૂ કર્યા

ગાંધીનગર, અમદાવાદમાં આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (ઈડીઆઈઆઈ) કેમ્પસ ખાતે શુક્રવારે બે દિવસીય સસ્ટેનેબિલિટી હેકાથોન ચેલેન્જ – ગ્રાન્ડ ફિનાલેનો પ્રારંભ થયો હતો. સમગ્ર ભારતના લગભગ 350 વિદ્યાર્થીઓ આ ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. Students from 31 institutes across India present 170 ideas at Sustainability Hackathon Challenge – Grand Finale at EDII’.

દેશભરના 31 ઈન્સ્ટિટ્યૂટ્સના વિદ્યાર્થીઓએ 170 આઈડિયાઝ રજૂ કર્યા છે. ટકાઉ વિકાસ લક્ષ્યાંકોનું જતન કરવા તથા વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતાના જુસ્સાને પ્રોત્સાહન આપવા માટે આ હેકાથોનનું આયોજન થયું હતું જેથી દેશની ઉદ્યોગસાહસિકતાની ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપી શકાય.

ઈડીઆઈઆઈએ વિદ્યાર્થીઓને ટકાઉ વિકાસ લક્ષ્યાંકો (SDGs) પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સંવેદનશીલ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ફેબ્રુઆરી 2023માં આ રાષ્ટ્રીય સ્તરની હેકાથોન શરૂ કરી હતી. આ હેકાથોનના બેનર હેઠળ પ્રાદેશિક ભાગીદારો અને સંસ્થાઓ સાથે દેશભરમાં બૂટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

75-દિવસીય મેગા નેશનલ લેવલ હેકાથોન બૂટ કેમ્પમાં સમગ્ર ભારતમાં 20 સ્થળોએથી 31 સંસ્થાઓના 40,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 15,000 વિચારો પર ચર્ચા કરવામાં કરવામાં આવી હતી, જેમાંથી 170 વિચારોને ઈડીઆઈઆઈ કેમ્પસમાં આ બે-દિવસીય ગ્રાન્ડ ફિનાલે ઇવેન્ટમાં પ્રસ્તુતિ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.

75 દિવસમાં બૂટ કેમ્પે વિદ્યાર્થીઓને સમાજ, ઉદ્યોગ, ઉદ્યોગ ક્ષેત્રો અને સરકારી કર્મચારીઓને નડતી વાસ્તવિક જીવનની સમસ્યાઓના ઉકેલ શોધવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. આનાથી વિદ્યાર્થીઓ અને સંસ્થાઓને આત્મનિર્ભર ભારત અને સ્ટાર્ટઅપ ઈન્ડિયા જેવી પહેલને પડકારો હાથ ધરીને અને તકોને બિઝનેસ એન્ટરપ્રાઈઝમાં રૂપાંતરિત કરવા માટે વિશ્વસનીય તકો મળી.

સસ્ટેનેબિલિટી હેકાથોન ચેલેન્જની ગ્રાન્ડ ફિનાલેનું ઉદ્ઘાટન શ્રી એસ બી ડાંગાયચ, ફાઉન્ડર ટ્રસ્ટી, ઈનોવેટિવ થોટ ફોરમ, સીએ શ્રી બિશન આર શાહ, ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર, બિશન આર શાહ એન્ડ કંપની તથા આઈસીએઆઈના વેસ્ટર્ન ઈન્ડિયા રિજનલ કાઉન્સિલની અમદાવાદ બ્રાન્ચના તત્કાલિન ભૂતપૂર્વ ચેરમેન (2022-23) તથા ડો. સુનીલ શુક્લા, ડિરેક્ટર જનરલ, ઈડીઆઈઆઈની ઉપસ્થિતિમાં ઈડીઆઈઆઈ કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું.

ઉપસ્થિત શ્રોતાગણને સંબોધતા શ્રી એસ બી ડાંગાયચે અભિપ્રાય આપ્યો હતો કે “ભારતને વિશ્વના ટોચના સ્ટાર્ટ-અપ હબ પૈકીના એક તરીકે ગણવામાં આવે છે અને ઉદ્યોગસાહસિકતાના માહોલને મજબૂત કરવા માટે સરકાર અન્ય સંસ્થાનો અને સંસ્થાઓની સાથે મળીને સ્ટાર્ટઅપ્સમાં રોકાણો વધારી રહી છે.

આનાથી આપણા વિકાસના માર્ગે આગળ વધી રહેલા યુવાનો પર મહત્વની હકારાત્મક અસરો થાય છે. ભારત મજબૂત વ્યાપારી મૂલ્યો ધરાવે છે એટલે હું યુવાનોને તેમની ઉદ્યોગસાહસિક તરીકેની સફરમાં પહેલા લોકો વિશે વિચારવા તથા સમાજના કલ્યાણ માટે યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરું છું.

યુવા વિદ્યાર્થીઓ નિઃશંકપણે તેમની આસપાસની સમસ્યાઓના અભૂતપૂર્વ નિરાકરણો સાથે આવશે અને મને વિશ્વાસ છે કે તેઓ અદ્ભુત રીતે સારું પ્રદર્શન કરશે. સર્જનાત્મક વિચારસરણીને પ્રોત્સાહિત કરવા, બાળકોને શિક્ષિત કરવા અને તેમને નવા યુગના સાહસિકો તરીકે સફળ થવા માટે જરૂરી સંસાધનો પૂરા પાડવાની બાબતે ઈડીઆઈઆઈ અવિશ્વસનીય કાર્ય કરી રહી છે.”

આ પ્રસંગે ડો. સુનીલ શુક્લાએ જણાવ્યું હતું કે, “રાષ્ટ્રમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપતી અગ્રણી સંસ્થા તરીકે ઈડીઆઈઆઈ વધુને વધુ યુવાનોને તેમની આસપાસના પ્રશ્નોના અનોખા ઉકેલો સાથે આગળ આવવા પ્રોત્સાહિત કરવા માંગે છે.

જ્યારે ઈડીઆઈઆઈ તેની 40મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે ત્યારે સંસ્થાએ નવા વ્યવસાયોના વિકાસ અને સંચાલન સાથે આગળ વધવા માટે જરૂરી જ્ઞાન અને ક્ષમતાઓ સાથે સંભવિત ઉદ્યોગસાહસિકોનું સશક્તિકરણ કરીને સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગસાહસિકતાની દેશની સંસ્કૃતિને આગળ વધારવા માટે કામ કર્યું છે.”

શ્રી બિશન આર. શાહે ચાર દાયકાઓ સુધી ઉદ્યોગસાહસિકતાનું જતન કરવા અને લોકોને સતત સમર્થન અને માર્ગદર્શન આપવા તથા તેમના ક્ષેત્રમાં અગ્રણી બનવા માટે સક્ષમ બનાવવા માટે ઈડીઆઈઆઈનો આભાર માન્યો હતો. તેમણે યુવાનોને સતત કામ કરવા અને સફળતા તરફ પ્રયત્ન કરવા તથા તેમના માર્ગમાં આવતા પડકારોને સ્વીકારવા પ્રોત્સાહિત કર્યા હતા.

પ્રાપ્ત થયેલા 175 આઈડિયામાંથી છેલ્લે 24ને પસંદ કરવામાં આવશે. આ ઈન્ક્યુબેટર્સ અને અન્ય ઈકોસિસ્ટમ સક્ષમ કરનારાઓ સાથે જોડાણ મેળવવા માટે માર્ગદર્શન અને મેન્ટરશિપના તબક્કામાંથી પસાર થશે તેમજ ભંડોળ અને એન્જલ ઈન્વેસ્ટમેન્ટ જેવા સપોર્ટ અને સંસાધનો પ્રાપ્ત કરશે.

આ ઈવેન્ટે વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ્સમાં કામ કરવાના વિવિધ પાસાંથી પરિચિત કરાવ્યા હતા અને શિક્ષણવિદોને વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા કેળવવાની વિવિધ રીતોનો પણ ખ્યાલ આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.