Western Times News

Gujarati News

ચોમાસાની સીઝનમાં રર૦ સ્થળે ભુવા-બ્રેકડાઉન થવાની શક્યતા

File

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, સ્માર્ટ સીટી અમદાવાદમાં ચોમાસાની સીઝન દરમિયાન રોડ સેટલમેન્ટ અર્થાત્‌ ભુવા પડવા સામાન્ય બાબત બની ગઈ છે. શહેરમાં સરેરાશ એકથી દોઢ ઈંચ વરસાદે એક ભૂવો પડે છે મ્યુનિ. કમિશ્નર દ્વારા દર વરસે ૩૧મી મે બાદ ખાડા ન ખોદવા માટે પરિપત્ર કરવામાં આવે છે પરંતુ સદર પરિપત્ર માત્ર પેપર પર જ રહે છે.

આ ઉપરાંત વર્ષ દરમિયાન થતાં ભારે ખોદકામ બાદ યોગ્ય રીતે વોટરીગ ન થવાના કારણે રોડ સેટલમેન્ટ થાય છે જેના ફળસ્વરૂપ દર વર્ષે ચોમાસાની સીઝન દરમિયાન ૭૦ થી ૮૦ જેટલા ભુવા પડે છે તેમજ ચોમાસા સિવાય પણ નાના મોટા બ્રેક ડાઉન થતાં રહે છે.

ર૦ર૩ના ચોમાસા દરમિયાન રર૦ જેટલા સ્થળોએ બ્રેક ડાઉન એટલે કે ભુવા પડી શકે છે તેવો તંત્ર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. મ્યુનિ. કોર્પો. દ્વારા દર વરસે ચોમાસા અગાઉ એકશન પ્લાન તૈયાર કરવામાં આવે છે જેમાં પ૦ હજાર કરતા વધુ કેચપીટોની સફાઈ થાય છે જેના પરિણામે વરસાદી પાણી ભરાવવાની સમસ્યા થોડી હળવી બને છે

અમદાવાદ શહેરમાં ભાગીદારીના ભુવાઃ ૮ વર્ષમાં ૫૦૦ ભુવા પડયા

પરંતુ વર્ષ દરમિયાન મ્યુનિ. કોર્પોરેશન તેમજ અન્ય કંપનીઓ દ્વારા થતા ખોદકામના કારણે ચોમાસા દરમિયાન રોડ સેટલમેન્ટ થાય છે. ચાલુ વર્ષ દરમિયાન પણ રર૦ જેટલા સ્થળોએ આવા રોડ સેટલમેન્ટ થશે તેવું નકકર વચન તંત્ર દ્વારા આપવામાં આવ્યું છે.

સુત્રોએ જણાવ્યા મુજબ શહેરના ખોખરા વિસ્તારમાં ઘોડાસર કેનાલથી એવલોનકોટ યાર્ડ, દક્ષિણ સોસાયટીમાં ગણપતિ ગલી, દાણીલીમડામાં તીનબત્તી સર્કલથી પિરકમલ ચાર કરતા, ઢોર બજાર ચાર રસ્તા, મણિનગર વોર્ડમાં જવાહરચોકથી કષ્ણબાગ, હીરાભાઈ ટાવરથી જવાહર ચોક રોડ, લાંભા વોર્ડમાં રંગોલી નગરની આસપાસવાળો વિસ્તાર, નવા વાડજ રોડમાં

વલ્લભીસ્કુલથી મ્યુનિ. શાળા ૩-૪ સુધી, રાણીપ વોર્ડમાં પીપળેશ્વર મેઈન રોડ, ઠકકર વોર્ડમાં શીલ્પ બંગ્લોઝથી જનસેવા કેન્દ્ર, સરદારનગર વોર્ડમાં નાના ચિલોડા એરિયા, વેજલપુર વોર્ડમાં મલાવ તળાવથી પવનસુત સોસાયટી સુધીનો રોડ, સરખેજમાં કલબઓ-૭ રોડ, ખાડીયામાં ચુનારા વાસ, કાંતોડીયાવાસ, કાચવાડો,

ન્યુ કલોથ માર્કેટ, રાણીનો હજીરો, શાહીબાગ વોર્ડમાં મહાકાળી સર્કલ, દરિયાપુરમાં કમુમીંયાની ચાલી, લીમડાના ઝાડથી બાકરઅલીની ચાલી સુધી, અસારવામાં ખારા કુવા વાસ, ભાઈપુરામાં ધીરજ હાઉસીંગ, નિકોલમાં ગલીનગર ગામ તળાવ સુધી, પ્રગતિ પાર્કથી ડાયાલાલ કેનાલ સુધી, વસ્ત્રાલમાં માધવ ફાર્મથી વેદાંત-ર સુધી,

ગોતામાં એસ.જી.હાઈવેથી આઈસીબી ફલોરા રોડ, ચાંદલોડિયામાં કીર્તિ ટેનામેન્ટથી રોહીદાસ મહોલ્લા સુધી, થલતેજમાં શાંતિ નિકેતન સોસાયટી પાસે, મહાત્મા ગાંધી વસાહતથી સાલ હોસ્પિટલ, પ્રજાપતિ છાત્રાલયથી મેટ્રો, તેમજ બોડકદેવમાં બાલેશ્વર પાર્ટી પ્લોટથી રાજપથ કલબ રોડ, બીલોરીવાળો, લેગસીવાળો ખાંચો વગેરે રોડ મુખ્ય છે.

આ તમામ રોડ પર ચોમાસાની સીઝન દરમિયાન રોડ સેટલમેન્ટ થવાની શકયતા છે. મ્યુનિ. ઈજનેર વિભાગ દ્વારા આગામી સપ્તાહ દરમિયાન આ તમામ રોડ પર નાગરિકો માટે સાવચેતીના પગલાંરૂપે નોટીસ બોર્ડ પણ મુકવામાં આવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.