Western Times News

Gujarati News

રાજ્યમાં ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓની સંખ્યા ૧ લાખથી ઉપર પહોંચી

અમદાવાદ, ગુજરાતમાં શિક્ષણની શું દશા છે તેની વાત કરીએ તો ૩૨ હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. જ્યારે ૧૪,૬૫૨ શાળામાં માત્ર એક જ વર્ગ છે. આ સિવાય સરકારી શાળાઓમાં ૩૮ હજાર વર્ગખંડોની ઘટ છે. તો ૫૬૧૨ સરકારી શાળાઓને મર્જ કરી દેવાઈ છે અથવા તો તાળાં મારી દેવામાં આવ્યા છે. The number of dropout students in the state has crossed 1 lakh

મહત્વનું છેકે રાજ્ય સરકાર ભણશે ગુજરાત, તો આગળ વધશે ગુજરાત, સાક્ષરતા અભિયાન જેવા મિશન ચલાવી રહી છે. જેના માટે કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે. પરંતુ બીજીબાજુ ગુજરાતમાં વિદ્યાર્થીઓ શાળાઓ છોડી રહ્યા છે.

ત્યારે શું આવી રીતે રાજ્યનું શિક્ષણનું સ્તર ઉંચું આવશે? રાજ્યમાં ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓની સંખ્યા ૧ લાખથી વધારે પર પહોંચી ગયો છે. એકલા અમદાવાદમાં ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓએ શિક્ષણ છોડ્યું છે. તો હવે ઘોડા છૂટ્યા પછી સરકાર તબેલાને તાળા મારવા નીકળી છે. દીકરા-દીકરીઓને શાળામાં પરત લાવવા સરકારે કવાયત હાથ ધરી છે. શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ આપ્યો છે.

ભણે ગુજરાત, વાંચે ગુજરાતનો દાવો પોકળ સાબિત થયો છે. ત્યારે ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓનો આંક વધતા જ ગુજરાત સરકાર દોડતી થઈ છે. ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા શિક્ષણ વિભાગે કામગીરી હાથ ધરી છે, શિક્ષણ છોડી ગયેલા વિદ્યાર્થીઓને ટ્રેક કરી માહિતી એકત્ર કરવા શિક્ષણાધિકારીઓને સૂચના અપાઈ છે.

અમદાવાદ જિલ્લાના ૧૦ હજાર ડ્રોપઆઉટ વિધાર્થીઓને પાછા લાવવા આદેશ છુટ્યો છે. આ માટે ઓડિયો ક્લીપ જાહેર કરી શિક્ષણાધિકારીઓને સૂચના અપાઈ. શિક્ષણ સચિવ વિનોદ રાવે શિક્ષણાધિકારીઓને માહિતગાર કર્યા અને એક ઓડિયો ક્લીપ જાહેર કરી શિક્ષણાધિકારીઓને સૂચના આપી છે.

ધોરણ ૮ માંથી ૯માં ગયેલા વિદ્યાર્થીઓનો ચિંતાજનક ડ્રોપ આઉટ રેશિયો સામે આવ્યો છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩ – ૨૪ માં ૧૮ ટકા જેટલો ડ્રોપ આઉટ રેશિયો સામે આવતા શિક્ષણ વિભાગની ચિંતા વધી છે.

ધોરણ ૮માંથી ધોરણ ૯માં પહોંચેલા ૧,૮૪,૨૪૪ વિદ્યાર્થીઓને ટ્રેક કરવામાં હાલના તબક્કે શિક્ષણ વિભાગ નિષ્ફળ ગયું છે. ગત શૈક્ષણિક સત્રમાં ધોરણ ૮માં ૧૦ લાખ ૨૧ હજાર ૫૩૭ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. આ વર્ષે ધોરણ ૯માં ૮ લાખ ૨૪ હજાર ૫૦૮ વિદ્યાર્થીઓને જ ટ્રેક કરી શકાયા, ૧૨,૭૮૫ રિપીટર વિદ્યાર્થીઓને પણ શિક્ષણ વિભાગે ટ્રેક કર્યા છે.

રાજ્યમાં સૌથી વધુ ડ્રોપ આઉટ રેશિયો કચ્છમાં ૨૬ ટકા, દ્વારકામાં ૨૫ ટકા, બનાસકાંઠામાં ૨૪ ટકા, છોટાઉદેપુર અને ડાંગમાં ૨૩ ટકા હોવાનું સામે આવ્યું છે. તો દાહોદમાં ૨૨ ટકા, રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ, મોરબી અને બોટાદમાં ૨૧ ટકા, તો ભાવનગર, જામનગર, અમરેલીમાં ૨૦ ટકા ડ્રોપ આઉટ રેશિયો છે.

ડ્રોપ આઉટ રેશિયો વધતા ધોરણ ૮ બાદ ધોરણ ૯માં ટ્રેક ના થઇ શકેલા ૧૮ ટકા એટલે કે ૧,૮૪,૨૪૪ બાળકોને ઝડપથી ટ્રેક કરવા આદેશ અપાયો છે. ટ્રેક ના થયેલા તમામ ૧,૮૪,૨૪૪ વિદ્યાર્થીઓની વિગતો CTS [Child Tracking System] માં જિલ્લાના login માં (Std 9 updation pending/untracked Students) ઉપલબ્ધ કરાવાઈ છે.

CTS ના આધારે ટ્રેક ના થઇ શકેલા બાળકોને ટ્રેક કરી તેમના અપડેશનની કામગીરી સત્વરે પૂર્ણ કરવા આદેશ કરાયો. ધોરણ ૮ બાદ ધોરણ ૯માં રાજ્યના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો ડ્રોપ આઉટનો સૌથી ઓછો દર નવસારીમાં ૮ ટકા એ સિવાય અન્ય તમામ જિલ્લાનો ડ્રોપ આઉટ રેશિયો ૧૦ ટકાથી લઈ ૨૦ ટકા વચ્ચે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.