ભાવનગરના રામભક્ત વેપારીની અનોખી જાહેરાત
ગ્રાહકોના મોબાઈલ પર ફ્રી માં લગાવી આપશે શ્રી રામ મંદિરના સ્ટીકર
ભાવનગર, ભાવનગર શહેરના બિઝનેસ સેન્ટરમાં આવેલી પ્રેમ મોબાઈલ એસેસરીઝ નામની દુકાન ધરાવતા રામ ભક્ત વેપારીએ એક અનોખી જાહેરાત કરી છે. તેઓ પોતાની દુકાને લોકોના મોબાઈલમાં શ્રીરામ મંદિર ચિત્ર સાથેના સ્ટીકર મફત લગાવી આપશે. શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના દિવસ સુધી દુકાને આવનાર દરેક લોકોને મોબાઈલ પાછળ મફત સ્ટીકર લગાવી આપશે. મફત સ્ટીકર લગાવવાની જાહેરાત થતાં જ શ્રીરામ પ્રત્યે આસ્થા ધરાવતા લોકોના ટોળા ઉમટી રહ્યા છે.
અયોધ્યામાં શ્રીરામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌ કોઈ પોતપોતાની રીતે ઉજવણીમાં મગ્ન બની રહ્યા છે. ત્યારે ભાવેણાવાસીઓ પણ એ ઉત્સાહમાં પોતાનો સુર પુરાવી રહ્યા છે. જેમાં ભાવનગરના એક વેપારીએ અનોખી જાહેરાત કરતા તેની દુકાન પર લોકોના ટોળેટોળાં ઉમટી રહ્યા છે.
હાલ નાના મોટા સૌ કોઈ પાસે મોબાઈલ જોવા મળી જાય છે. લોકો મોબાઇલને આકર્ષક બનાવવા મોબાઈલની પાછળ અલગ અલગ પ્રકારના અને રૂપિયા ૧૦૦ થી ૫૦૦ સુધીનો ખર્ચ કરી લોકો મનગમતા સ્ટીકરો ચીપકાવતા હોય છે , ત્યારે હાલ શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે શહેરના બિઝનેસ સેન્ટરમાં મોબાઈલ એસેસરીઝની દુકાન ધરાવતા વેપારી પ્રેમભાઈએ પ્રભુ રામ પ્રત્યેની પોતાની આસ્થા વ્યક્ત કરવા પોતાની દુકાને મોબાઈલમાં સ્ટીકર લગાવવા આવતા લોકોને મોબાઈલ દીઠ શ્રીરામના મંદિર સાથેના ચિત્રવાળું સ્ટીકર મફત લગાવી આપવાની અનોખી જાહેરાત કરી છે. જાહેરાત કરતાની સાથે ભગવાન રામ પ્રત્યે આસ્થા ધરાવતા લોકો મોબાઈલમાં સ્ટીકર લગાવવા ઉમટી રહ્યા છે.SS1MS