સરપ્રતાપ હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/03/1803-Uttar.H.panchal-2.jpg)
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ઈડરની સરપ્રતાપ હાઈસ્કૂલમાં ૧૯૭૩ ની આસપાસ ભણેલા પૂર્વ વિદ્યાર્થીઓનું ચોથું સ્નેહમિલન ૧૭-૩-૨૪ ને રવિવારના રોજ ઇડર તાલુકાના પોશીના ગામના પ્રસિદ્ધ જૈન દેરાસરમાં ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે યોજાયુ. સવારે ૧૦ઃ૩૦ વાગે શરૂ થયેલા આ કાર્યક્રમમાં ૨૨ ભાઈઓ તથા પાંચ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
૬૫ વર્ષથી વધુ ઉંમરના આ મિત્રોમાં કેટલાક રીટાયર્ડ બેંક અધિકારી, સરકારી કર્મચારી, શિક્ષક તથા નાના મોટા વેપારી તથા પત્રકાર મિત્ર પણ હતા. એક ભાઈ મુંબઈથી આવેલ. તેર ભાઈ બહેનો અમદાવાદથી આવેલ અન્ય ભાઈ બહેનો ઈડર તથા ખેડબ્રહ્મા તાલુકામાંથી ઉપસ્થિત રહ્યા હતા. અગાઉના એક કાર્યક્રમમાં શ્રી ચંદ્રકાન્તભાઈ પટેલ અમેરિકાથી પણ આવી ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત ગુણવંતસિંહે સુંદર ભજનથી કરી હતી. એ પછી શ્રી હસમુખભાઈ પંચાલે આ ગ્રુપની શરૂઆત ક્યારે થઈ અને અગાઉના ત્રણ સંમેલનની માહિતી રજૂ કરી હતી .અને સૌ મિત્રોને વર્ષમાં એકવાર અથવા તો શક્ય હોય તો બે વાર આ કાર્યક્રમ માં આવવું અને મહત્તમ સંખ્યામાં હાજર રહેવા તથા વધુ બહેનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે એ માટે અપીલ કરી હતી.
કંદર્પભાઈ શુક્લે સુંદર જુના ગીત તથા ભજન રજૂ કર્યા હતા. શ્રી સતિષભાઈ શાહ તથા શ્રી અશોકભાઈ દોશીએ સ્થળની પસંદગી કરી વ્યવસ્થા કરાવી હતી. અગાઉના ત્રણ સ્નેહમિલનમાં આવી ન શકનાર મિત્રોએ પ્રોગ્રામ મિસ કર્યાનો વસવસો વ્યકત કર્યો હતો. ભગવાન શ્રી પાર્શ્વનાથ દાદાના આ મંદિરમાં ભક્તિ ભાવ સાથે આખો દિવસ વિતાવ્યો હતો.
પ્રાથમિક, હાઈસ્કૂલ તથા કોલેજના અભ્યાસ દરમિયાન પોતાના અનુભવો તથા પ્રસંગો વર્ણવ્યા હતા અને ત્રણે વિભાગના શિક્ષકો તથા પ્રોફેશરોને યાદ કર્યા હતા. આખાયે દિવસ દરમિયાન આનંદ મજામાં વાતો કરી નજીકના સમયમાં બીજું સ્નેહમિલન યોજાય તેવી અપેક્ષા સહ સૌ છુટા પડ્યા હતા.