Western Times News

Gujarati News

ગુજરાત ભાજપમાં હાલ એક સાંધો ત્યાં 13 તૂટે એવી સ્થિતિ સર્જાઈ

અમરેલીનું BJP ચૂંટણી કાર્યાલય બંધ કરી દેવાતાં સ્થાનિક રાજકારણ ગરમાયુ છે. ગુજરાતમાં એક સાથે ૨૯ લોકસભા મધ્યસ્થ કાર્યાલય શરૂ કરાયા હતાં.

જે સાંસદોની ટિકિટ કપાઈ તેમની નારાજગી સામે આવી

(એજન્સી)અમદાવાદ, ગુજરાત ભાજપમાં હાલ એક સાંધો ત્યાં ૧૩ તૂટે એવી સ્થિતિ સર્જાઈ છે. લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં ટિકિટોની ફાળવણીની સાથે જ ભાજપમાં વિરોધનો સૂર ઉઠવાનો શરૂ થઈ ગયો. એક બાદ એક જે જે વિસ્તારના સાંસદોની ટિકિટ આ વખતે કપાઈ તેમની નારાજગી સામે આવી રહી છે.

ગુજરાતમાં સાતમી મેએ લોકસભાની ૨૬ સાથે વિધાનસભાની પેટાચૂંટણી માટે ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે ભાજપે ગુજરાતમાં તમામ બેઠકો પરના ઉમેદવાર જાહેર કરી દીધા છે ત્યારે કેટલાક નેતાઓની ટિકિટ કપાઈ છે તેમની નારાજગી એક બાદ એક સામે આવી રહી છે.

મોટા નામોની વાત કરીએ તો, બબ્બે ટર્મથી સાંસદ એવા અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો.કિરીટ સોલંકી, રાજકોટના સાંસદ મોહન કુંડારિયાનું પત્તું કપાયા બાદ કોઈકને કોઈ રીતે તેમની નારાજગી બહાર આવી હતી. એક પ્રકારે ગુજરાતમાં સાબરકાંઠાથી માંડીને પોરબંદર સુધી આંતરિક વિખવાદ ચરમસિમાએ પહોંચ્યો છે. હવે આ યાદીમાં અમરેલીના સાંસદ નારણ કાછડિયાનું નામ પણ સામેલ થયું છે.

ભાજપ હાઈકમાન્ડે નારણ કાછડિયાનું પત્તુ કાપીને અમરેલીમાં ભરત સુતરિયાને ટિકિટ આપી છે. કાછડિયાની પોસ્ટ કોના તરફ ઈશારો કર્યો છે તે સવાલ ઉઠયો છે. ઉલ્લેખનયી છે કે અમરેલીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું મંડપ સંકેલી દેવાયુ છે જેથી તર્ક વિતર્ક વહેતાં થયા છે. ભાજપના ચૂંટણી કાર્યાલયના ઉચાળા ભરાયા છે. બે મહિના પહેલાં ગુજરાતમાં એક સાથે ૨૯ લોકસભા મધ્યસ્થ કાર્યાલય શરૂ કરાયા હતાં તે પૈકીનુ આ ચૂંટણી કાર્યાલય બંધ કરી દેવાતાં સ્થાનિક રાજકારણ ગરમાયુ છે.

પત્તું કપાયા બાદ તેમની સોશિયલ મીડિયા પરની પોસ્ટને લીધે કાછડિયા ચર્ચામાં આવ્યાં છે. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામોની જાહેરાત થયા બાદ ગુજરાતમાં ભાજપમાં આંતરિક વિખવાદ સખત હવે સપાટી પર આવી ગયો છે. સાબરકાંઠામાં તો ઉમેદવાર બદલાયા બાદ સ્થિતી વધુ વણસી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. ભીખાજી ઠાકોરના સમર્થકોએ અરવલ્લી-સાબરકાંઠા માથે લીધુ છે ત્યારે અમરેલીના સાંસદનું દર્દ છલકાયું છે.

તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને આડકતરી રીતે દુઃખ વ્યક્ત કર્યું છે. ભાજપના નારાજ નેતાઓની યાદીમાં હવે અમરેલીના સાંસદ નારણ કાછડિયાનું નામ પણ સામેલ થયું છે. આ વખતે ટિકિટ ન મળવાને કારણે કાછડિયા નારાજ જણાઈ રહ્યાં છે. અને તેમની નારાજગી તેમની સોÂશ્યલ મીડિયા પોસ્ટમાં છલકી રહી છે. તેમની ટિકિટ કપાતા સોશિયલ મીડિયા પર એક ગીત લખેલી પોસ્ટ શેર કરી છે.

આ ઉપરાંત તેમની બીજી પણ એક પોસ્ટ ચર્ચામાં છે. નારણ કાછડિયાની સોÂશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું છેકે, જયારે સત્ય અને અસત્યની લડાઈ થશે ત્યારે સત્ય એકલુ ઉભુ હશે જયારે અસત્યની ફોજ મોટી હશે. અસત્ય પાછળ મૂર્ખાઓનું ટોળુ હશે. આખરે તો વિજય સત્યનો થશે. આ ઉપરાંત તેમની અન્ય એક પોસ્ટમાં કથાકાર મોરારી બાપુનો એક વીડિયો શેર કર્યો છે, જે વીડિયોના ટાઈટલમાં લખેલું છે કે, જો તમારી સાથે કોઈ કપટ કરે તો પણ હસતા રહેજો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.