Western Times News

Gujarati News

ગંદા પાણીને શુદ્ધ કરીને ફરી વપરાશમાં લેવાની જરૂર છે

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે શહેરો અને ગામોના વપરાશી મલિન જળના શુદ્ધિકરણ અને પુનઃ વપરાશના કામો વ્યાપક સ્તરે થવા જરૂરી છે. તેમણે જણાવ્યું કે ગંદા પાણીના રીસાયકલ અને રિયુઝના વ્યાપક લાભો છે એટલે એને પરંપરા તરીકે અપનાવવાની જરૂર છે. મુખ્યમંત્રીએ (State CM Vijay Rupani) વડોદરા તાલુકાના નાનકડા ચિખોદરા ગામે વડોદરા જિલ્લા વહીવટી તંત્રે એક નવી પહેલના રૂપમાં સ્થાપિત કરેલા બાયો ફિલ્ટર મલિન (Water filteration plant) જળ શુદ્ધિકરણ પ્લાંટનું લોકાર્પણ કર્યું હતું.
એમણે જણાવ્યું કે, આજે આખો દેશ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજી નો જન્મ દિવસ સુશાસન દિવસના રૂપમાં ઉજવી રહ્યો છે


ત્યારે વડોદરા જિલ્લા વહીવટી તંત્રે ગ્રામીણ એસ.ટી.પી.ની સ્થાપના કરીને ગ્રામસ્તરે સુશાસનનો ઉજ્જવળ દાખલો બેસાડ્‌યો છે. એમણે ગુજરાતના ગામો ચિખોદરા ની પહેલનુ અનુકરણ કરે અને ગ્રામીણ મલિન જળ શુદ્ધિકરણ એકમોની સ્થાપનાનો વિચાર કરે અને અમલમાં મૂકે એવો ખાસ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ રંજનબહેન ભટ્ટ અને ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી મુખ્યમંત્રી સાથે લોકાર્પણમાં જોડાયા હતા.

આ નવી પહેલમાં સહભાગી ગુજરાત રિફાઈનરી/આઇ.ઓ.સી.એલના કાર્યપાલક નિયામક સુધીર કુમાર, ગ્રામ વિકાસના ક્ષેત્રમાં સરકાર સહયોગી શ્રોફ ફાઉન્ડેશનના શ્રુતિબહેન શ્રોફ, અતુલભાઈ શ્રોફ અને ગ્રામ સરપંચે મુખ્યમંત્રીને આવકાર્યા હતા.

ચિખોદરાના ગ્રામજનો એ ગામ તળાવમાં ઉગતા કમળો દ્વારા મુખ્યમંત્રીનું અનોખું અને ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી એમના આ ઉમળકાને બિરદાવીને જણાવ્યું કે, ચિખોદરાના લોકોના હૃદયમાં પણ કમળ છે. ગુજરાત સહિત દેશના ૭ રાજ્યો માં આજે સુશાસન દિવસથી ભારત સરકારે શરૂ કરેલી અટલ જળ યોજનામાં ગુજરાતને જોડવાનો એમણે આનંદ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં રસ્તા, પાણી, ગટર વ્યવસ્થા સહિતના પાયાના માળખાકીય વિકાસ કામોને રાજ્યના વિકાસમાં અગ્રતા આપી હતી. વિકાસનું એ મોડેલ આજે દેશના વિકાસનું અને સુશાસનનુ મોડેલ બન્યું છે. તેમણે જણાવ્યું કે, ચિખોદરામાં આખા ગુજરાત માટે દિશાદર્શક કામ થયું છે.

વપરાયેલા પાણીને શુદ્ધ કરીને ઉપયોગમાં લેવાથી શુદ્ધ પાણીની બચત થશે અને આ પાણી પોષક તત્વો થી સભર હોવાથી સિંચાઇની સુવિધા સાથે ખેતી સુધરશે. એમણે આ પ્રયોગના પ્રણેતા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ સહિત સંકળાયેલી તમામ સંસ્થાઓને અભિનંદન આપ્યા હતા.

ગામડાના ઘરવપરાશ અને વ્યાપારિક વપરાશના ગંદા પાણીના શુદ્ધિકરણ માટે વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સ્થાપવામાં આવેલો આ પહેલરૂપ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટની સ્થાપના જાહેર ક્ષેત્રના એકમ આઈઓસીએલ દ્વારા સી.એસ.આર. પ્રવૃત્તિ હેઠળ પૂરા પાડવામાં આવેલા ૩૨ લાખના ભંડોળમાંથી કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.