Western Times News

Gujarati News

સુપ્રીમે આસામના કચરમાં એરપોર્ટ બનાવવા પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે સોમવારે આસામના કચર જિલ્લામાં ડોલુ ટી એસ્ટેટમાં કોઈપણ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂક્યો છે, જ્યાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાની દરખાસ્ત છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જ્યાં સુધી આ પ્રોજેક્ટ અંગે પર્યાવરણ વિભાગનો ક્લિયરન્સ રિપોર્ટ અમારા સુધી પહોંચે નહીં ત્યાં સુધી યથાસ્થિતિ રહેશે.

એટલે કે એરપોર્ટના નિર્માણને લગતા તમામ કામ સ્થગિત રહેશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચ સમક્ષ વિચારણા માટે આવેલી પીઆઈએલ અનુસાર, પર્યાવરણીય મંજૂરી લીધા વિના ડોલુ ટી એસ્ટેટમાં એરપોર્ટ બનાવવા માટે લાખો ચાની ઝાડીઓ અને વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટ માટે ડોલુ ટી એસ્ટેટમાં ૪૧ લાખથી વધુ ચાની ઝાડીઓ ઉખડી ગઈ છે. તેની નોંધ લેતા મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું હતું કે હાલના કેસમાં સત્તાવાળાઓએ કોઈપણ પર્યાવરણીય મંજૂરી વિના પ્રોજેક્ટ સાઇટ પર વ્યાપક બાંધકામને મંજૂરી આપીને પર્યાવરણ અસર મૂલ્યાંકન સૂચના, ૨૦૦૬નું ઉલ્લંઘન કર્યું છે.

સર્વોચ્ચ અદાલતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની ‘તેની ફરજની સંપૂર્ણ અવગણના’ માટે પણ ટીકા કરી હતી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે અરજદારોની અરજીને ફગાવી દેતા પહેલા તેમની ફરિયાદની સત્યતા ચકાસવી એ એનજીટીની પ્રથમ અને મુખ્ય ફરજ છે.

સર્વોચ્ચ અદાલતે કહ્યું કે એરપોર્ટ ક્યાં હોવું જોઈએ તે અંગેનો નિર્ણય નીતિનો વિષય છે, પરંતુ જ્યારે કાયદો પર્યાવરણીય મંજૂરીની આવશ્યકતા ધરાવતી પ્રવૃત્તિઓ માટે ચોક્કસ માપદંડો મૂકે છે, ત્યારે તેનું પાલન કરવું પડશે. કચર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ દ્વારા દાખલ કરાયેલા અહેવાલને ધ્યાનમાં લીધા પછી, બેન્ચે કહ્યું, ‘અમે નિર્દેશ આપીએ છીએ કે નોટિફિકેશન, ૨૦૦૬નું ઉલ્લંઘન કરતી કોઈપણ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે નહીં.’

આસામ સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અરજદારોના અધિકારક્ષેત્રનો વિરોધ કર્યાે અને કહ્યું કે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.સુપ્રિમ કોર્ટ તાપસ ગુહા અને અન્ય દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ના આદેશ સામે દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી કરી રહી હતી, જેમાં ‘ખાસ આધારો’ પર પ્રસ્તાવિત એરપોર્ટના નિર્માણ સામેની તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી.

અરજીમાં, જ્યાં સુધી પ્રોજેક્ટની પર્યાવરણીય અસરનું મૂલ્યાંકન ન થાય ત્યાં સુધી એરપોર્ટના નિર્માણને લગતી આગળની કાર્યવાહી રોકવા માટે નિર્દેશની માંગ કરવામાં આવી હતી. ૮ એપ્રિલે છેલ્લી સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે આસામ સરકારને ડોલુ ચાના બગીચામાં યથાસ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ પણ આપ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.