Western Times News

Gujarati News

ધરમપુરમાં  શ્રીમદ રાજચંદ્ર મિશનનો રજત જયંતિ સમારોહ યોજાયો

ગુજરાત સંતો-મહંતોની વિરાસત ભૂમિ છે, તેમની કૃપાથી ગુજરાતનું ભવિષ્‍ય ઉજજ્‍ળ

શ્રીમદ રાજચંદ્ર મિશને આદિવાસી ક્ષેત્રમાં ધર્મ સાથે સામાજિક ઉત્તરદાયિત્‍વની ભાવનાથી સૌના કલ્‍યાણ માટે કેન્‍દ્રબિંદુ પ્રસ્‍થાપિત કર્યું છે : વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વલસાડ જિલ્લાના  અંતરિયાળ વનબંધુ વિસ્તાર ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર મિશનના રજત જયંતિ સમારોહમાં સહભાગી થયા હતા. શ્રી વિજયભાઇ રૂપાણીએ પુ. ગુરૂદેવ રાકેશભાઇની ઉપસ્‍થિતિમાં શ્રીમદ રાજચંદ્રની દિવ્‍ય પ્રતિમાને પુષ્‍પાજંલિ અર્પી હતી.

શ્રીમદ રાજચંદ્ર મિશનની રજતજયંતિ સમારોહ અવસરે પુ. રાકેશભાઇ  અને બીએપીએસ સંપ્રદાયના પુ.ગુરુજી બ્રહ્મવિહારી સ્‍વામીના ગુજરાત સમૃદ્વ, સુખી, સંપન્નતા સાથે સામાજિક સમરસતાનું કેન્‍દ્ર બને તેવા આશીર્વાદ મુખ્યમંત્રીશ્રીએ મેળવ્‍યા હતા.

વિશ્વ વ્‍યાપી આધ્‍યાત્‍મિક સંસ્‍થા શ્રીમદ રાજચંદ્ર મિશનની ધરમપુર ખાતે સ્‍થાપનાના ૨પ વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ મહોત્‍સવ અવસરે વિશાળ સમિયાણામાં ગુજરાતની વિશ્વભરમાં પ્રતિષ્‍ઠાની ગાથા વર્ણવતા મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, ગુજરાતીઓ માટે અહોભાવ છે. ધર્મપરાયણ, અહિંસક, સંસ્‍કારી, વેપારી અને સૌમ્‍ય એ બધાના મુળમાં ગુજરાતમાં સંતો-મહંતોના આશીર્વાદ સાથે ગુજરાતનું ભવિષ્‍ય ઉજળું બન્‍યું છે. ગુજરાત સંતો-મહંતોની ભૂમિ છે. ગુજરાતને  આ વિરાસત અને વારસો એ પ્રતિષ્‍ઠા અપાવે છે. લોકોની ચિંતા કરીને જીવન લોકસેવામાં સમર્પિત કરીને લોકચેતનાની મિશાલ સંતશકિત એ પુરી પાડી છે.

પુ. ગુરુજીના સાનિધ્‍યમાં અનેક પરિવારો ધર્મ પ્રત્‍યે આસ્‍થા કેળવીને પરમાત્‍માં તરફ આગળ વધ્‍યા છે, તેવો અહોભાવ વ્‍યકત કરી, મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, શ્રીમદ રાજચંદ્ર મિશને આદિવાસી ક્ષેત્રમાં ધર્મ સાથે સામાજિક ઉત્તરદાયિત્‍વની ભાવનાથી સૌના કલ્‍યાણ માટે કેન્‍દ્રબિંદુ પ્રસ્‍થાપિત કર્યું છે. શ્રીમદ રાજચંદ્રને કેન્‍દ્રમાં રાખી નવી પેઢીને વિજ્ઞાન અને જ્ઞાનની સાથે  પુ.ગુરુદેવના અભિગમ સાથે કરૂણાભાવથી જીવ થી શીવ સુધી આસ્‍થાના સંદેશ લઇને આગળ વધે એવી ભાવના તેમણે વ્‍યકત કરી હતી.

સ્‍વામીનારાયણ સંપ્રદાયે પણ સમાજને વ્‍યસનમુકિત સાથે શિક્ષિત-દિક્ષિત કરીને લોકોને ધર્મ તરફ વાળીને ઇશ્વરીય કાર્ય કર્યું છે, તેમ મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.  વ્‍યકિતનું પરમ સુખ બીજાના સુખમાં સમાયેલું છે,એ દિશામાં સંતોએ યુવાનોને શિક્ષા-દિક્ષા આપી છે, જેનાથી અનેકનો ઉદ્વાર થયો છે. રાજસત્તા પર ધર્મસત્તા, અને ધર્મ આધારિત  શાસન વ્‍યવસ્‍થા બને એમા જ સૌનું કલ્‍યાણ રહેલું છે, એવો મત મુખ્‍યમંત્રીશ્રીએ વ્‍યકત કર્યો હતો.

મુખ્‍યમંત્રીશ્રીએ રાજચંદ્ર આશ્રમ ખાતે નુતન જીનમંદિર, આવાસો, નિર્માણાધિન ૨પ૦ બેડની શ્રીમદ રાજચંદ્ર હોસ્‍પિટલના કાર્યને નિહાળી સંતોષ વ્‍યકત કર્યો હતો.   પુ. ગુરૂદેવ રાકેશભાઇએ ઉપસ્‍થિત સેવાભાવીઓને સમાજની સેવા, એ જ પરમો ધર્મનો ઉપદેશ આપ્‍યો હતો.

સ્‍વામીનારાયણ સંપ્રદાયના સંત શ્રી બ્રહ્મવિહારી સ્‍વામીજીએ ધરમપુરના અંતરીયાળ વિસ્‍તારમાં ધર્મ સાથે સર્વ સમાજની સેવાભાવની આસ્‍થાને બિરદાવી હતી.  શ્રીમદ રાજચંદ્ર મિશન રજત જયંતિ મહોત્‍સવ અવસરે રાજય આદિજાતિ મંત્રી શ્રી રમણલાલ પાટકર, ધારાસભ્‍ય શ્રી અરવિંદભાઇ પટેલ, શ્રીભરતભાઇ પટેલ, કલેકટર શ્રી સી.આર.ખરસાણ, શ્રીમદ રાજચંદ્ર આશ્રમના ટ્રસ્‍ટી શ્રી અભય જસાણી સહિત મહાનુભાવો ઉપસ્‍થિત રહયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.