Western Times News

Gujarati News

ફલાવર શોમાં આઠ ફૂટના મચ્છરનું સ્કલ્પચર આકર્ષણનું કેન્દ્ર રહેશે

File

મ્યુ.કમિશ્નરે ઉત્તરાયણના તહેવારમાં નાગરીકોને બે વિકલ્પ આપ્યા : હવા હોય તો ધાબે જાવ અને ન હોય તો ફ્લાવર-શોમાં આવો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત નવમાં વર્ષે સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ફલાવર શો નું આયોજન કરવામાં આવ્યું છે. ફાલવર-શો માં વિવિધ આકર્ષણોની સાથે “ગાંધીજીના જીવનચરિત્રની પ્રતિકૃતિઓ” અને સંજીવની જડીબુટ્ટી લઈ આવતા હનુમાનજીના પ્રતિકૃતિઓ બનાવવામાં આવશે. મ્યુનિ. કમીશ્નર ફલાવર શો ના ખર્ચમાં ઘટાડો કરી વધુ નફો (આવક) થાય તે દિશામાં વિચાર કરી રહયા હોવાથી આ વર્ષે ૧૬ દિવસ માટે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તરાયણ જેવા તહેવારના દિવસે પણ ફ્લાવર શો ચાલુ રહેશે.


મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રીવરફ્રન્ટ ફલાવર ગાર્ડન પાસે જાન્યુઆરી મહીનાના પ્રથમ અઠવાડીયામાં ફલાવર- શો નું આયોજન કરવામાં આવશે. વર્ષ ર૦ર૦માં યોજાનાર ફલાવર શો માં ફૂલ છોડના રોપાની પ્રદર્શની ફલાવર ગાર્ડનની ૩૮ હજાર સ્કે.મીટર જમીન પર રાખવામાં આવશે. ગત વર્ષે ઈવેન્ટ સેન્ટરની ૬ હજાર ચો.મી. જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગાંધીજી ની ૧પ૦મી જન્મજયંતિ ઉજવણી અંતર્ગત બાપુના જીવન-ચરીત્ર સાથે સંકળાયેલ ૦૬ જેટલા સ્કલ્પચર બનાવવામાં આવશે. જેમાં વકીલ તરીકે ગાંધીજી, મીઠી લેતા ગાંધીજી, દાંડી કૂચ વગેરેનો સમાવેશ કરવામાં આવશે.

ફ્લાવર શોમાં પ્રથમ વખત જ જનજાગૃતિ માટે આઠ ફૂટના મચ્છરનું પણ સ્કલ્પચર બનાવવામાં આવશે. મેલેરીયા, ડેંગ્યુ અને ચિકન ગુનીયા જેવા રોગનો વ્યાપ અટકાવવા માટે એડીશ મચ્છરનું લાઇફ સાઇકલ અને તેના ઉત્પત્તિ સ્થળોની પ્રતિકૃતિ પણ બનાવવામાં આવશે. શહેરીજનોને ફાયર વિભાગની વિવિધ પ્રવૃત્તિઓ માહિતગાર કરવા માટે જુદા-જુદા સાધનોને ફૂલોથી શણગારીને મૂકવામાં આવશે.

ફ્લાવર શો ૨૦૨૦માં ગ્રીન વોલની સાથે “સેવા વોટર”ના મેસેજ આપતા બે સ્કલ્પચર, રીસાઈકલ ના ૧ર સ્કલ્પચર અને રીયુઝના ૦પ સ્કલ્પચર તૈયાર કરવામાં આવશે. ફલાવર-શો નું મુખ્ય આકર્ષણ વિશ્વ-પ્રસિધ્ધ અને ગુજરાતનું ગૌરવ “ગાંધીજીના જીવનચરિત્રની પ્રતિકૃતિઓ”ની પ્રતિકૃતિ રહેશે. રમત ગમતને પ્રોત્સાહન આપવા માટે તથા બાળકોને યોગ્ય જ્ઞાન મળે તે આશયથી ફૂટબોલ, હોકી, ક્રિકેટ, બેડમીન્ટન, વોલીબોલ, ટેબલ ટેનીસ જેવી વિવિધ રમતોના સાધનોના ર૦ જેટલા સ્કલ્પચર પણ બનાવવામાં આવશે. તદઉપરાંત ફ્લાવર શોમાં પાંચ સ્થળે સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવશે. તેમજ પ્રવેશદ્વાર પર ફૂલોમાંથી બનાવેલ મોરની પ્રતિકૃતિ મુકવામાં આવશે.


ગત વર્ષના ફલાવર શો માં વર્ટીકલ દસ પ્રકારની વર્ટીકલ ગાર્ડન વોલ બનાવવામાં આવી હતી. આગામી ફલાવર શો માં ઓલ્ટરનેન્થ્રાની જાતો દ્વારા વર્ટીકલ વોલ બનાવવામાં આવશે. સહેલાણીઓ માટે બટર ફલાય ડીઝાઈન બેઠક, હાથી સ્કલ્પચર, ટોકગટ્રી, લોટસ ફાઉન્ટેઈન, અશોક સ્તંભ સ્કલ્પચર તથા સંજીવની પર્વત સાથેના હનુમાનજીની પ્રતિકૃતિ આકર્ષણ ના કેન્દ્ર બની રહેશે.

જાન્યુઆરી-ર૦ર૦માં યોજાનાર ફલાવર શોમાં પ૦૦ થી વધુ જાતોના ૧ર૦૦થી વધુ તથા પેટા જાતિના ૧૦ લાખથી વધુ રોપાનું પ્રદર્શન રાખવામાં આવશે. ફુલ છોડ રોપાઓના વેચાણ માટે ખાનગી નર્સરીના આઠ સ્ટોલ તથા જંતુનાશક દવા બિયારણ ખાતર અને ગાર્ડનના ઓજારોના વેચાણ માટે ૪ર સ્ટોલ રહેશે. ગત ફલાવર શો ની માફક આગામી ફલાવર શોમાં ૩૮ ફેડ કોર્ટ રહેશે.

ફ્લાવર શોનું ૧૬ દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના તહેવારોમાં પણ ફ્લાવર શો ચાલુ રાખવામાં આવશે તથા કર્મચારીઓને ફરજિયાત હાજરી આપવાની રહેશે તેવા ફરમાન બાદ કર્મચારીઓમાં નારાજગી પણ જાવા મળી રહી છે. મ્યુ.કમિશ્નરે ઉત્તરાયણના તહેવારમાં નાગરીકોને બે વિકલ્પ આપ્યા છે. હવા હોય તો ધાબે જાવ અને ન હોય તો ફ્લાવર શોમાં આવો તેવા કટાક્ષ પણ થઇ રહ્યા છે. પ્રવેશ ફી માં રૂ.દસનો વધારો કરવામાં આવ્યો છે.

જેનું મુખ્ય કારણ મ્યુનિ. કમીશ્નર “ફલાવર-શો” નું માર્કેટીગ કરવા માંગે છે. તે ફલાવર-શો ની આવકમાં વધારો થાય અને ખર્ચમાં ઘટાડો થાય તે દિશામાં કમીશ્નર વિચારણા કરી રહયા છે. ફલાવર શો માં દર વર્ષે રૂ. બેથી ત્રણ કરોડનો ખર્ચ થઈ રહયો છે. જેની સામે આવક માં કોઈ જ નોધપાત્ર વધારો થયો નથી. ર૦૧૭માં યોજાયેલ ફલાવર શો માં રૂ.૧.૭૦ કરોડના ખર્ચે સામે રૂ.૬૦ લાખની આવક થઈ હતી. ર૦૧૮માં રૂ.ર.૧૦ કરોડનો ખર્ચ અને રૂ.૬પ લાખની આવક તથા ર૦૧૯ માં રૂ.ર.૬૪ કરોડના ખર્ચ સામે રૂ.૯પ લાખની આવક મનપાને થઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.