Western Times News

Gujarati News

એર ઈન્ડિયા પછી ઈન્ડિગો-વિસ્તારાની ફ્લાઈટ આજથી ઢાકા માટે શરૂ

નવી દિલ્હી, બાંગ્લાદેશમાં બળવો થયો છે, પરંતુ દેશમાં ઉથલપાથલ શમવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ દરમિયાન તમામ એરલાઈન્સે તેમની ફ્લાઈટ્‌સનું સંચાલન પણ બંધ કરી દીધું હતું, પરંતુ હવે ઘણી ભારતીય એરલાઈન્સ કંપનીઓએ મોટી જાહેરાત કરી છે અને ઢાકા માટે ફરીથી ફ્લાઈટ સર્વિસ શરૂ કરવાની તૈયારી કરી છે અને આજથી આ ફ્લાઈટ્‌સ ઓપરેટ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, એર ઈન્ડિયાએ મંગળવારે ઢાકા માટે તેની સાંજની ફ્લાઈટનું સંચાલન કર્યું હતું, જ્યારે ઈન્ડિગો અને વિસ્તારા આજથી બુધવારથી નિર્ધારિત ફ્લાઈટ્‌સનું સંચાલન કરશે.પીટીઆઈના અહેવાલ મુજબ, એર ઈન્ડિયા બાંગ્લાદેશની રાજધાનીથી લોકોને પરત લાવવા માટે વિશેષ ફ્લાઈટ ચલાવે તેવી પણ શક્યતા છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે એર ઈન્ડિયાએ મંગળવારે ઢાકા માટે તેની સવારની ફ્લાઈટ રદ કરી હતી, પરંતુ તેની સાંજની ફ્લાઈટ ઓપરેટ કરી હતી. આ પછી વિસ્તારા અને ઈન્ડિગોએ પણ ૭ ઓગસ્ટથી બાંગ્લાદેશની રાજધાની માટે નિર્ધારિત સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે.

પાડોશી દેશ બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન વચ્ચે સ્થિતિ અસ્થિર છે. દેશ અનિશ્ચિતતામાં ડૂબી ગયો છે અને અનામત મુદ્દે થયેલા હોબાળા બાદ વડાપ્રધાન શેખ હસીનાને પોતાનું પદ છોડી દેશ છોડીને ભાગી જવાની ફરજ પડી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, એર ઈન્ડિયા બુધવારે દિલ્હીથી ઢાકા સુધી તેની ૨ દૈનિક ફ્લાઈટનું સંચાલન કરશે. મંગળવારે સાંજે, એર ઈન્ડિયાએ કહ્યું કે તે તેની સાંજની ફ્લાઈટ્‌સ એઆઈ૨૩૭-૨૩૮ દિલ્હી-ઢાકા-દિલ્હી સેક્ટર પર ચલાવશે.એરલાઈને એમ પણ જણાવ્યું હતું કે ત્યાંની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે, ૪ થી ૭ ઓગસ્ટની વચ્ચે ઢાકાથી આવતી કોઈપણ ફ્લાઈટમાં કન્ફર્મ બુકિંગ ધરાવતા મુસાફરોને રિશેડ્યુલિંગમાં એક વખતની છૂટ આપવામાં આવી રહી છે.

આ આૅફર ૫ આૅગસ્ટના રોજ અથવા તે પહેલાં બુક કરાયેલી ટિકિટો પર લાગુ થશે.અહેવાલમાં સૂત્રોને ટાંકીને એમ પણ કહેવામાં આવ્યું છે કે એર ઈન્ડિયા સિવાય, ટાટા ગ્‰પની બહુમતી માલિકીની વિસ્તારા એરલાઈન્સ અને ઈન્ડિગો એરલાઈન્સ પણ ઢાકા માટે તેમની નિર્ધારિત ફ્લાઈટ્‌સનું સંચાલન કરશે.

વિસ્તારા મુંબઈથી દૈનિક ફ્લાઈટ્‌સ અને દિલ્હીથી ઢાકાની ૩ સાપ્તાહિક ફ્લાઈટ્‌સનું સંચાલન કરે છે. સામાન્ય રીતે, ઈન્ડિગો દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈથી ઢાકા સુધીની દૈનિક એક ફ્લાઈટ અને કોલકાતાથી બાંગ્લાદેશની રાજધાની માટે બે દૈનિક ફ્લાઈટનું સંચાલન કરે છે. અગાઉ વિસ્તારા અને ઈન્ડિગો બંનેએ બાંગ્લાદેશની રાજધાની માટે તેમની મંગળવારની ફ્લાઈટ રદ કરી હતી.

હવે બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. વિરોધીઓએ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના આ સરકારનું નેતૃત્વ કરવાના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. દેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનની અધ્યક્ષતામાં બંગા ભવન (પ્રેસિડેન્ટ હાઉસ) ખાતે એક બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

બીજી તરફ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગના નેતાઓ પર હુમલાઓ ચાલુ છે. સમગ્ર બાંગ્લાદેશમાંથી અવામી લીગના ૨૦ વધુ નેતાઓના મૃતદેહ મળી આવ્યા છે. અવામી લીગના ઘણા નેતાઓ અને કાર્યકરોના ઘરો અને વ્યવસાયિક સંસ્થાઓમાં પણ તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.