Western Times News

Gujarati News

પુત્રોની કારકીર્દિ ઘડનારી શાળાને માતાએ પેન્શન બચતમાંથી આપ્યું 1 લાખનું દાન

ફતેપુરા તાલુકાના બલૈયા ગામમાં આવેલી શ્રેયસ હાઇસ્કૂલમાં ગં. સ્વ. મસીબેન કટારાએ દાન આપી તેજસ્વી છાત્રોને રોકડ પુરસ્કારની જોગવાઇ કરી
બાળકોના સર્વાંગી વિકાસમાં તેમના વાલી સાથે શાળા-શિક્ષકોની મહત્વની ભૂમિકા રહેલી છે. એક માતા સો શિક્ષકની ગરજ સારે તો શિક્ષક પણ બાળકોને સંસ્કાર-શિક્ષણની કેળવણી આપે છે અને જરૂર પડે ત્યારે બાળકને કડવા ઘુંટડારૂપી દવા પણ આપે છે. શાળાના માધ્યમથી પોતાની ઉજ્જવળ કારકીર્દિ ઘડનારો છાત્ર ક્યારેય પોતાની શાળાને ભૂલી શકતો નથી. પણ, આવા છાત્રાની માતા શાળાના આ ઉપકારને યાદ રાખે ત્યારે વાત વિશેષ બને છે. ફતેપુરા તાલુકાના બલૈયા ગામમાં આવેલી શ્રેયસ હાઇસ્કૂલમાં આજે આવી જ એક પ્રેરણાદાયક ઘટના બની. આ હાઇસ્કૂલમાં ભણીને પોતાની કારકીર્દિ ઘડનારા ઉચ્ચ અધિકારીઓની માતાએ શાળાને રૂ. એક લાખનું દાન અર્પણ કરી ઋણ સ્વીકાર કર્યો હતો.


વાત જાણે એમ છે કે, નાનીરેલ-પૂર્વ ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા સ્વ. પ્રેમચંદભાઇ કટારા એક આદર્શ શિક્ષક હતા. તેઓ સમયના ભારે પાબંદ ! ગામમાં એવું કહેવાતું કે, પ્રેમચંદભાઇના પગ અને ઘડિયાળના કાંગ એક સાથે ચાલે ! આસપાસના ગામોના અનેક છાત્રોની કારકીર્દિ ઘડતર અને ગુણાત્મક પરિવર્તનમાં તેમનો અનન્ય ફાળો રહેલો. તેમના ત્રણ પુત્રને ઉચ્ચત્તમ માધ્યમિક શાળામાં અભ્યાસ માટે બલૈયાની શ્રેયસ હાઇસ્કૂલમાં મૂક્યા. આ હાઇસ્કૂલની સ્થાપના ૧૯૭૧માં થયેલી. શાળા ગરીબ પરિવારના બાળકો માટે આશીર્વાદરૂપ છે.

સ્વ. પ્રેમચંદભાઇના ત્રણ બાળકો શ્રી રમેશચંદ્ર, શ્રી નવીનચંદ્ર અને શ્રી મહેશચંદ્ર શ્રેયસ હાઇસ્કૂલમાં અભ્યાસ કરી આગળ જતાં રાજ્ય સરકારમાં ઉચ્ચ અધિકારી બન્યા. થોડા વર્ષો પૂર્વે શ્રી પ્રેમચંદભાઇનું અવસાન થયું. પરંતુ, તેમના પત્ની ગં. સ્વ. મસીબેને મનમાં ગાંઠ વાળી કે શિક્ષણ માટે કશું કરવું. તેમના આ સંકલ્પની પાશ્ચદભૂમાં પરિવારનું શિક્ષણ અને જ્ઞાનનું વાતાવરણ હતું. તેમને મળતા પેન્શનમાંથી થયેલી બચતને શિક્ષણના સદ્દકાર્યમાં ઉપયોગ કરવાનું નિયત કર્યું. તેમના ત્રણેય પુત્રોએ પણ માતાના આ વિચારને વધાવી લીધો.

અંતે એવુ નક્કી થયું કે, ત્રણેય પુત્રોએ જ્યાં શિક્ષણ લીધું તે શ્રેયસ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા તેજસ્વી છાત્રોને કાયમી રીતે રોકડ પુરસ્કાર મળતો રહે એવી રીતે દાન કરવું. ઉદ્યોત્તેજક કેળવણી મંડળ દ્વારા સંચાલિત આ હાઇસ્કૂલને રૂ. એક લાખનું દાન આપવું. તેના વ્યાજમાંથી આવતી રકમમાંથી પ્રતિ વર્ષ ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમાંકે ઉત્તીર્ણ થનારા છાત્રોને હરિ ઓમ તેજસ્વી છાત્ર પુરસ્કાર આપવો. આ શુભ સંકલ્પ આજે સાકાર થયો. આજ વર્ષથી છાત્રોને પુરસ્કાર આપવામાં આવ્યા.

બલૈયામાં યોજાયેલી એક સભા દરમિયાન શાળા પરિવારને ગં. સ્વ. મસીબેને રૂ. એક લાખનો ચેક અર્પણ કર્યો. સાથે, બાળકોને પારિતોષિક પણ આપ્યા. શાળા પરિવાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું.  પ્રસંગના પ્રતિભાવમાં સંયુક્ત માહિતી નિયામક શ્રી મહેશચંદ્ર કટારાએ કહ્યું કે, ખરા અર્થમાં દાતા તો ઇશ્વર છે, જેમણે માનવજાતને ઘણુ બધુ આપ્યું છે. અમને આ શાળાએ ઘણુ બઘુ શીખવ્યું છે. અમારી કારકીર્દિના ઘડતરમાં શાળાનો મહત્વનો ફાળો છે. અમારા માતૃશ્રીએ ઋણ ઉતારવાનો પ્રયાસ કર્યો છે.

તેમણે શાળાના બાળકોને કારકીર્દિ ઘડતરનું લક્ષ્ય નક્કી કરી, સમયબદ્ધ રીતે અભ્યાસ કરવા માટે શીખ આપી હતી. તેમણે શિક્ષકોને પણ ઉમદા હેતું સાથે શિક્ષણકર્મ કરવા અનુરોધ કર્યો હતો.  આ વેળાએ નાયબ માહિતી નિયામક શ્રી સુરેન્દ્ર બલેવિયા, શાળા પરિવારના શ્રી ભરતભાઇ પંચાલ, શ્રી જેન્તિભાઇ પંચાલ, સરપંચ શ્રી ભરતભાઇ ડિંડોડ, શ્રી અમરસિંહભાઇ લબાના, આચાર્ય શ્રી જે. ડી. લબાના ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.