Western Times News

Gujarati News

ખેડૂતને પુરવણી વિજળી બિલ ભરવાથી હવે મુક્તિ

પ્રતિકાત્મક

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્રેરક નેતૃત્વમાં રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી નિર્ણયો કરેલ છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવેલ છે. આ નિર્ણય વિષે માન. ઊર્જા મંત્રી સૌરભ પટેલે વિગતો આપતાં જણાવ્યું છે કે, હોર્સ પાવર આધારિત કૃષિ વીજ જોડાણો ધરાવતા ખેડૂતોને વધારાનો વીજ ભાર નિયમિત કરાવવા માટે તક મળશે અને ખેડૂતોને પુરવણી વીજ બિલ ભરવામાંથી મુક્તિ મળશે.


ઊર્જા મંત્રી પટેલે આ અંગે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, હયાત ધારાધોરણ મુજબ હોર્સ પાવર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને તેમના ખેતીવાડી વીજ જોડાણની ચકાસણી દરમ્યાન કરારિત વીજ ભાર/મંજુર વીજ ભાર કરતાં ૧૦% કે તે કરતાં વધારે વીજ ભારનો વપરાશ કરતા માલુમ પડે તો પુરવણી વીજ બિલની આકારણી આયોગ દ્વારા નિર્દિષ્ટ પદ્ધતિથી કરવામાં આવે છે.

ખેડૂત આગેવાનો તેમજ પ્રજાના પ્રતિનિધિઓ તરફથી સરકારશ્રીને રજૂઆત મળેલ કે આવા હોર્સ પાવર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને તેમના ખેતીવાડી વીજ જોડાણના કરારિત વીજ ભાર/મંજુર વીજ ભાર કરતાં વધારે વીજ ભારનો વપરાશ કરે તો પુરવણી બિલ આપવાની પ્રક્રિયા કરતા પહેલા વીજ વિતરણ કંપનીઓએ ખેડૂતોને તેમના ખેતીવાડી વીજ જોડાણનો વધારાનો વીજ ભાર નિયમિત કરાવવાની તક આપવી જોઇએ.

ઉપરોક્ત રજૂઆત અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતલક્ષી નિર્ણય લઇ નામદાર વીજ નિયમન આયોગને આ બાબતે હયાત ધારાધોરણમાં સુધારો કરી ખેડૂતલક્ષી નિર્ણય લેવા રજૂઆત કરી હતી. આ રજૂઆત બાબતે નામદાર આયોગ દ્વારા હયાત ધારાધોરણમાં સુધારો કરતું જાહેરનામું તા.૧૭.૧.૨૦૨૦નાં રોજ પ્રસિદ્ધ કર્યું છે.

આ સુધારેલ જાહેરનામાની જોગવાઈ મુજબ હોર્સ પાવર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને તેમના ખેતીવાડી વીજ જોડાણની ચકાસણી દરમ્યાન કરારિત વીજ ભાર/મંજુર વીજ ભાર કરતાં વધારે વીજભારનો વપરાશ કરતા માલુમ પડે તો પુરવણી વીજ બિલ આપતા પહેલા વીજ વિતરણ કંપનીઓએ ખેડૂતોને ૩૦ દિવસની આગોતરી સૂચના આપી વીજ ભાર નિયમિત કરાવવા માટે ખેડૂતને એક તક આપવાની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.