ડાકોર પગપાળા જતા યાત્રાળુઓની સુરક્ષા માટે અમદાવાદમાં ટ્રાફિક નિયંત્રણો અને વૈકલ્પિક માર્ગોની જાહેરાત અંગેની જાહેરનામું
File
અમદાવાદ, આગામી દિવસોમાં યોજાનારા ડાકોર ફાગણ સુદ પૂનમના મેળા (તા. ૨૭/૨/૨૦૨૬ થી તા. ૪/૩/૨૦૨૬) દરમિયાન અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ડાકોર જતા હોય છે. આ યાત્રાળુઓની સલામતી જળવાઈ રહે અને માર્ગ અકસ્માતો નિવારી શકાય તે હેતુથી પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની પેટા કલમ-૩૩ (૧) (બી) (સી) હેઠળ મળેલ સત્તાની રૂએ નીચે મુજબના ટ્રાફિક પ્રતિબંધો અને વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે.
ટ્રાફિક પ્રતિબંધિત માર્ગો અને વૈકલ્પિક માર્ગની વિગતો: જશોદાનગર ચાર રસ્તાથી વિંઝોલ ચાર રસ્તા (લાલગેબી સર્કલ) સુધી જતો એક તરફનો રોડ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ રહેશે. આ પ્રતિબંધિત માર્ગના બદલે વાહનો માટે વૈકલ્પિક માર્ગ તરીકે (અ) વિંઝોલ ચાર રસ્તાથી જશોદાનગર ચાર રસ્તા તરફ તથા (બ) જશોદાનગર ચાર રસ્તાથી વિંઝોલ ચાર રસ્તા તરફ અવર-જવર કરી શકાશે.
વધુમાં, રામોલ ચાર રસ્તાથી વટવા નવા રેલવે બ્રીજ સુધીનો માર્ગ તમામ પ્રકારના ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. જોકે, આ માર્ગ ઉપર ટુ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની અવર-જવર ચાલુ રહી શકશે. આ ઉપરાંત, જશોદાનગર ચાર રસ્તા ઉપરના ઓવરબ્રિજના છેડે ગોરના કુવા તરફથી પારસી ડુંગરવાડી ઉતરતા સુધીનો માર્ગ વાહનોની અવર-જવર માટે બંધ રહેશે.
આમુખ-1 અને 2 થી પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે તેવા ભારે વાહનો માટેનો વૈકલ્પિક માર્ગ નીચે મુજબ છે :
– અમદાવાદ વિંઝોલ ચાર રસ્તાથી જશોદાનગર ચાર રસ્તા તરફ જતા તમામ વાહનો રીંગ રોડ પર બન્ને તરફ ડાયવર્ટ થઈ એક્સપ્રેસ હાઇવે તરફ તથા નારોલ સર્કલ તરફ અવર-જવર કરી શકશે
મહત્વની સૂચનાઓ: – અપવાદ: આ જાહેરનામું ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ સેવાઓ તથા સરકારી વાહનોને તેમજ ડાકોર જતા પદયાત્રીઓ માટે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને તેને લગતા સાધન-સામગ્રી લઈ જતા વાહનોને લાગુ પડશે નહીં.
– અમલીકરણનો સમય: આ જાહેરનામું તા. ૨૭/૨/૨૦૨૬ થી તા. ૪/૩/૨૦૨૬ ના કલાક ૨૪:૦૦ સુધી અમલમાં રહેશે.
– કાયદાકીય કાર્યવાહી: આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
શ્રદ્ધાળુઓની સુરક્ષા અને ટ્રાફિકની સુગમતા જાળવવા માટે પોલીસ તંત્ર દ્વારા આ આદેશોનું ચુસ્તપણે પાલન કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
