Western Times News

Gujarati News

રિલીઝના થોડા દિવસ પહેલા ‘ધુરંધર ૨’ને મળી લીગલ નોટિસ

મુંબઈ, રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર ૨’ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના પહેલા ભાગને ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. ધુરંધર ૨ ફિલ્મને લઈને અત્યારસુધીમાં કોઈ નકારાત્મક અહેવાલો સામે આવ્યા ન હતા.

જો કે, ફિલ્મ રિલીઝ થવાને માત્ર ચાર દિવસ બાકી છે, ત્યારે હવે ફિલ્મને કાનૂની નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં શીખ સમુદાય ધુરંધર ૨ ફિલ્મના કેટલાક દ્રશ્યોથી અસંતુષ્ટ છે અને આ જ કારણે ફિલ્મ હાલમાં વિરોધનો સામનો કરી રહી છે.વિકી થોમસ સિંહ નામના એક સામાજિક કાર્યકર્તાએ મહારાષ્ટ્ર તરફથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન અને માહિતી અને પ્રસારણ મંત્રાલયને કાનૂની નોટિસ ફટકારી છે.

આ નોટિસ ધુરંધર ૨ના દિગ્દર્શક-નિર્માતા અને ફિલ્મના અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ જારી કરવામાં આવી છે. નોટિસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ‘આ ફિલ્મથી શીખ સમુદાયની છબી ખરડાય છે.’નોટિસ મુજબ, શીખ સમુદાયમાં તમાકુ અને ધૂમ્રપાનનું સેવન સખત પ્રતિબંધિત છે. કારણ કે આ કૃત્યો તેમની ધાર્મિક લાગણીઓની વિરુદ્ધ છે.

પરિણામે ફિલ્મમાં આવા દ્રશ્યો દર્શાવવા એ માત્ર ધાર્મિક રીતે અસંવેદનશીલ જ નથી પણ સમગ્ર શીખ સમુદાયની લાગણીઓને પણ ઠેસ પહોંચાડે છે. જેને ધ્યાનમાં રાખીને ફરિયાદી વિકી થોમસ સિંહે ફિલ્મમાંથી એવા તમામ દ્રશ્યો દૂર કરવાની માંગ કરી છે, જેમાં શીખ રોલને ધૂમ્રપાન કરતા દર્શાવવામાં આવ્યા છે.

આ મામલે ફિલ્મ મેકર્સ શીખ સમુદાયની માફી માંગે તેવું નોટિસમાં જણાવવામાં આવ્યું છે. હવે જોવાનું એ છે કે, ફિલ્મ મેકર્સ આ બાબતે કેવી પ્રતિક્રિયા આપશે.ધુરંધર ૨ ફિલ્મની સત્તાવાર રિલીઝ પહેલા જ પેઇડ પ્રીવ્યૂ અને એડવાન્સ બુકિંગથી સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે.

એવુ અનુમાન છે કે, ફિલ્મ રિલીઝના પહેલા દિવસથી નોંધપાત્ર કમાણી કરશે. આ ફિલ્મ ૧૯ માર્ચ, ૨૦૨૬ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. આ વખતે ચાહકોને અક્ષય ખન્નાના શાનદાર એક્ટિંગ જોવા નહીં મળે, પરંતુ બધાની નજર ફિલ્મમાં રણવીર સિંહના ડબલ રોલ પર ટકેલી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.