કોઈ નિવેદન કરતાં પહેલાં અનેક વખત વિચારવું પડે છે: ફરહાન અખ્તર
મુંબઈ, એક્ટર પ્રોડ્યુસર અને ગાયક ફરહાન અખ્તર વર્ષાેથી મહિલાઓની સુરક્ષા મુદ્દે ખુલ્લેઆમ અવાજ ઉઠાવતો રહ્યો છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેણે ભારતમાં મહિલાઓની સુરક્ષા, સામાજિક પરિવર્તન અને સેલિબ્રિટીઝની જવાબદારી વિશે વિગતવાર વાત કરી હતી.
મહિલાઓ માટે સુરક્ષા વ્યવસ્થાઓ પુરતી છે કે નહીં તે અંગે ફરહાન અખ્તરે કહ્યું કે આ મુદ્દે હજુ ઘણું કરવાનું બાકી છે, “તે ક્યારેય પુરતું નથી! મહિલાઓની સુરક્ષા જાળવવા માટે હંમેશા વધુ પગલાં લેવાની જરૂર હોય છે.
દરરોજ ગુનાખોરીનો દર વધતો જાય છે. હું મહિલાઓને અસર કરતા મુદ્દાઓ પર રડવા કરતાં તેના ઉકેલો શોધવા પર ધ્યાન આપવાનું પસંદ કરું છું.”મહિલાઓની સુરક્ષા મુદ્દે આવી રહેલા પરિવર્તનો વિશે તેણે કહ્યું કે “આપણે આગળ વધી રહ્યા છીએ. કદાચ આ નાનાં પગલાં છે. લિંગ આધારીત ગુનાઓની સમસ્યા વધી રહી છે અને આપણે તેની સામે લડવામાં દબાણનો સામનો કરી રહ્યા છીએ. પરંતુ આ મુદ્દાઓ અંગે સમાજમાં જાગૃતિ વધી રહી છે.
વધુ ને વધુ મહિલાઓ હવે પોતાના અનુભવો અને આઘાત વિશે ખુલ્લેઆમ બોલી રહી છે.”પહેલાં મહિલાઓ આવા મુદ્દાઓ પર શા માટે મૌન રહેતી હતી તે અંગે ફરહાન કહે છે, “લાંબા સમય સુધી મહિલાઓ સામે થતા ગંભીર ગુનાઓ બહાર આવતા નહોતા કારણ કે મહિલાઓને પોતાનો અવાજ ઉઠાવવા પૂરતું સશક્તિકરણ નહોતું. પરંતુ હવે આવી ઘટનાઓને દબાવી દેવાની પ્રવૃત્તિ ઘટી રહી છે અને મારા મતે આ ખૂબ સકારાત્મક પરિવર્તન છે.
સદભાગ્યે હવે આપણે એવી સ્થિતિએ પહોંચી ગયા છીએ કે પુરુષોને મહિલાઓ વિશે કોઈ નિવેદન આપતાં પહેલાં અનેક વખત વિચારવું પડે છે.”સેલિબ્રિટીઝને આ મુદ્દે વધુ જવાબદાર બનવાની જરૂર તે સમજાવતા ફરહાને કહ્યું,“હવે તે દિવસો ગયા જ્યારે સેલિબ્રિટીઝ બેફામ અને બેદરકારીપૂર્વક નિવેદનો આપતા હતા.
હવે જાહેર જીવનમાં રહેલા પુરુષો માટે મહિલાઓ વિશે બોલતી વખતે સંયમ, જવાબદારી અને ગૌરવ જાળવવું જરૂરી બની ગયું છે. મારા મતે આ માનસિકતામાં મોટું પરિવર્તન છે. હવે માત્ર એટલું કહેવું કે અમે અહીં માત્ર મનોરંજન માટે છીએ અને સમાજ સુધારવા માટે નથી, તે પૂરતું નથી. તે એક પ્રકારની પલાયનવાદી માનસિકતા છે. સેલિબ્રિટી હોવા સાથે જવાબદારી પણ આવે છે.”SS1MS
