Western Times News

Gujarati News

કચરામાં મહિલાનો સળગેલી હાલતમાં મૃતદેહ મળતાં પોલીસની ટીમ દોડતી થઈ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના નોબલનગર ચાર રસ્તા પાસે મંગળવારે (૧૭ માર્ચ, ૨૦૨૬) એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. અહીં રોડ પાસેની ઝાડીઓમાંથી એક અજાણી મહિલાની અર્ધસળગેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસની ટીમ દોડતી થઈ છે.

પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યાનો મામલો હોવાનું જણાય છે, જેમાં આરોપીઓએ અન્ય સ્થળે હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને અહીં લાવી સળગાવી હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, નોબલનગર ચાર રસ્તા નજીક આવેલી ઝાડીઓમાં કોઈ માનવ શરીર સળગતું હોવાનું ધ્યાને આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે લાશ ઘણી ખરી બળી ગયેલી હાલતમાં હતી. મૃતદેહની આસપાસની સ્થિતિ જોતા એવું લાગે છે કે લાશને અહીં ફેંકી દેવામાં આવી હતી અને ત્યારબાદ તેના પર જ્વલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી દેવાઈ હતી. પોલીસને શંકા છે કે મૃતકની ઓળખ ન થાય તે હેતુથી જ લાશને સળગાવવામાં આવી છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા હોવાનું જણાય છે, પરંતુ લાશ અત્યંત ખરાબ રીતે બળી ગઈ હોવાથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ જ વધુ વિગતો સ્પષ્ટ થશે.

ઘટનાની ગંભીરતાને જોતા લોકલ પોલીસની સાથે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમે પણ નમૂના એકત્ર કર્યા છે. પોલીસે નોબલનગર અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.