Western Times News

Gujarati News

સુરતના બારડોલીમાં નદીમાં ન્હાવા પડેલા બે યુવકોનાં ડૂબી જવાથી મોત

સુરત, સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉતારા ગામે આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મીંઢોળા નદીમાં નાહવા ગયેલા પાંચ મિત્રો પૈકી બે યુવકો નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેમના અકાળે મોત નીપજ્યા છે.

નદીમાં નાહવાની મજા પળભરમાં સજામાં ફેરવાઈ ગઈ હતી. મળતી વિગતો અનુસાર, પાંચ મિત્રોનું એક ટોળું ઉતારા ગામ પાસેથી પસાર થતી મીંઢોળા નદીમાં નાહવા માટે ગયું હતું. નદીમાં નાહતી વખતે પાંચ પૈકીના બે યુવકો અચાનક પાણીના જોરદાર પ્રવાહમાં ખેંચાઈ ગયા હતા અને જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા.

સાથે રહેલા અન્ય મિત્રોએ બૂમાબૂમ કરતા સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આ અંગેની જાણ બારડોલી ફાયર વિભાગને કરાઇ હતી.ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરોનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને નદીમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

કલાકોની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે નદીના ઊંડા પાણીમાંથી બંને યુવકોના મૃતદેહ શોધી કાઢ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ લેખીરામ પ્રજાપતિ અને હર્ષ પરમાર તરીકે થઈ છે. આ બંને આશાસ્પદ યુવાનોના અકાળે અવસાનના સમાચાર મળતા જ રામેશ્વર નગર અને તેગામ વિસ્તારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવારોમાં કાળો કૈરાપ વર્તાયો છે.

પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, વહીવટી તંત્ર દ્વારા અવારનવાર લોકોને અજાણ્યા જળાશયો, નદી કે નાળામાં પાણીના પ્રવાહની જાણકારી વગર ન ઉતરવા માટે અપીલ કરવામાં આવે છે, તેમ છતાં આવી જોખમી સાહસવૃત્તિને કારણે નિર્દાેષ જીવ ગુમાવવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.