Western Times News

Gujarati News

પિયર પક્ષેથી મળેલી મિલકત પર પતિનો કોઈ અધિકાર નથી

નિઃસંતાન સ્ત્રીની મિલકત અંગે આંધ્ર હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

હિન્દુ મહિલાને તેના પિતા કે માતા તરફથી વારસામાં મિલકત મળી હોય અને તેનું મૃત્યુ વસિયત કર્યા વિના (અવસાન) થાય, તો તે મિલકત પર તેના પતિ કે સાસરી પક્ષનો કોઈ હક રહેશે નહીં.

અમરાવતી, આંધ્રપ્રદેશ હાઈકોર્ટે પત્નીની મિલકતને લઈને એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે પોતાના આદેશમાં કહ્યું છે કે જો કોઈ હિન્દુ મહિલાને તેના પિતા કે માતા તરફથી વારસામાં મિલકત મળી હોય અને તેનું મૃત્યુ વસિયત કર્યા વિના (અવસાન) થાય, તો તે મિલકત પર તેના પતિ કે સાસરી પક્ષનો કોઈ હક રહેશે નહીં.

સામાન્ય રીતે એવી માન્યતા પ્રવર્તે છે કે, પત્નીના નામે રહેલી મિલકત પર પતિનો અધિકાર હોય છે, પરંતુ કોર્ટે આ કાયદાકીય ગૂંચ ઉકેલી દીધી છે.જસ્ટિસ તરલાડા રાજશેખર રાવે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, ૧૯૫૬ની કલમ ૧૫(૨)(ક)નો હવાલો આપતા જણાવ્યું હતું કે, જો કોઈ મહિલાને તેના પિતા કે માતા તરફથી મિલકત મળી હોય અને જો તેનું મૃત્યુ નિઃસંતાન અવસ્થામાં થાય, તો આવી મિલકત તેના પિતાના વારસદારોને પરત જશે, પતિને નહીં.

અદાલતે આ કાયદાકીય જોગવાઈને આધારે પિયરની મિલકત પિયર પક્ષને જ સોંપવાનો આદેશ આપ્યો હતો. આ વિવાદ એક મિલકતની વહેંચણીથી શરૂ થયો હતો. વર્ષ ૨૦૦૨માં એક વૃદ્ધ મહિલાએ તેની પૌત્રીને ભેટ (ગિફ્ટ ડીડ) સ્વરૂપે એક મિલકત આપી હતી. જોકે, વર્ષ ૨૦૦૫માં તે પૌત્રીનું નિઃસંતાન અવસ્થામાં મૃત્યુ થયું હતું. ત્યારબાદ તે મહિલાએ તે મિલકત પોતાની બીજી પૌત્રીના નામે કરી દીધી હતી.

મૂળ માલિકના મૃત્યુ બાદ, બીજી પૌત્રીએ જ્યારે મિલકત પોતાના નામે કરાવવાનો પ્રયાસ કર્યાે, ત્યારે મૃત પૌત્રીના પતિએ આ પ્રક્રિયાને પડકારી હતી અને પોતાની પત્નીની મિલકત હોવાના નાતે તેના પર દાવો કર્યાે હતો.

આ કેસ હાઈકોર્ટમાં પહોંચતા અરજદાર (બીજી પૌત્રી)એ દલીલ કરી હતી કે કાયદા મુજબ મૃત પૌત્રીના પતિનો મિલકત પર કોઈ હક બનતો નથી, કારણ કે તે મિલકત તેના પિયર પક્ષ તરફથી મળી હતી અને તેને કોઈ સંતાન નહોતું. હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે પતિને આ મિલકત પર કોઈ કાનૂની અધિકાર પ્રાપ્ત થતો નથી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.