અમદાવાદ-વડોદરા વચ્ચે મુસાફરી કરતા લોકો માટે અગત્યના સમાચાર: બે ઇન્ટરસિટી ટ્રેનો રદ
અમદાવાદ – દાદર ગુજરાત મેલ મણિનગર સ્ટેશન પર ઉભી રહેશે નહિં
અમદાવાદ: અમદાવાદ અને વડોદરા વચ્ચે નિયમિત મુસાફરી કરતા મુસાફરો માટે રેલવે દ્વારા મહત્વના સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એટલે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને કારણે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં બ્લોક લેવામાં આવનાર છે, જેના પગલે આગામી એક મહિના સુધી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
કેમ લેવામાં આવ્યો છે બ્લોક?
પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, અમદાવાદ મંડળ હેઠળ આવતા કાંકરિયા અને વટવા રેલખંડ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ‘પ્રીકાસ્ટ પોર્ટલ બીમ’ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ જટિલ કામગીરી દરમિયાન રેલવે લાઈન પર ટ્રેનોની અવરજવર બંધ રાખવી અનિવાર્ય હોવાથી 04 એપ્રિલ, 2026 થી 08 મે, 2026 સુધી રેલવે બ્લોક જાહેર કરવામાં આવ્યો છે.
રદ થયેલી ટ્રેનોની વિગત
આ બ્લોકને કારણે અમદાવાદ-વડોદરા વચ્ચે ચાલતી લોકપ્રિય ઇન્ટરસિટી ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે:
-
ટ્રેન નંબર 19036 (મણિનગર – વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ): આ ટ્રેન 4 એપ્રિલથી 8 મે સુધી સંપૂર્ણપણે રદ રહેશે.
-
ટ્રેન નંબર 19035 (વડોદરા – વટવા ઇન્ટરસિટી એક્સપ્રેસ): આ ટ્રેન પણ નિર્ધારિત સમયગાળા દરમિયાન દોડશે નહીં.
ગુજરાત મેલના સ્ટોપેજમાં ફેરફાર
માત્ર ટ્રેનો રદ જ નથી થઈ, પરંતુ જાણીતી ટ્રેન ‘ગુજરાત મેલ’ના સ્ટોપેજમાં પણ હંગામી ફેરફાર કરવામાં આવ્યો છે:
-
ટ્રેન નંબર 12902 (અમદાવાદ – દાદર ગુજરાત મેલ): આ ટ્રેનનો મણિનગર સ્ટેશન પરનો સ્ટોપેજ (ઠેરાવ) 04 એપ્રિલ થી 08 મે, 2026 સુધી રદ કરવામાં આવ્યો છે. એટલે કે આ સમયગાળા દરમિયાન ગુજરાત મેલ મણિનગર સ્ટેશન પર ઉભી રહેશે નહીં.
