પાકિસ્તાન વિશ્વાસપાત્ર નથી, અમેરિકાએ તેનો ઉપયોગ કર્યો
મધ્યસ્થતા પર ઈઝરાયલી રાજદૂતનું તડ અને ફડ
(એજન્સી)જેરૂસાલેમ, મધ્ય પૂર્વમાં ૨ અઠવાડિયાના યુદ્ધવિરામ બાદ પણ વિસ્તારમાં તણાવ યથાવત છે. બંને પક્ષો તરફથી હુમલા થવાનો આરોપ લગાવવામાં આવતા હવે યુદ્ધવિરામ ભંગ થશે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ઈરાને અમેરિકા પર યુદ્ધવિરામ કરારની ૩ શરતોનું ઉલ્લંઘન કરવાનો આરોપ પણ લગાવ્યો છે.
તેનું કહેવું છે કે અમેરિકા સાથે યુદ્ધવિરામ અને વાતચીત ખોટી છે. આ દરમિયાન યુદ્ધને ખતમ કરવાને લઈને પાકિસ્તાનમાં બંને પક્ષો વચ્ચે વાતચીત થવાની છે. પરંતુ ઈઝરાયલને પાકિસ્તાનની મધ્યસ્થતાને લઈને શંકા છે.
ભારતમાં ઈઝરાયેલના રાજદૂત, રૂવેન અઝારે અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલી સંઘર્ષ વિરામ વાર્તામાં મધ્યસ્થ તરીકે પાકિસ્તાનની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી છે. અઝારે ખાનગી સમાચાર એજન્સીને કહ્યું, અમે પાકિસ્તાનને એક વિશ્વસનીય ખેલાડી તરીકે જોતા નથી. તેમનું માનવું છે કે પાકિસ્તાનને સામેલ કરવા પાછળ વોશિંગ્ટનના પોતાના કારણો હોઈ શકે છે.
તેમણે કહ્યું, અમેરિકાએ પોતાના કારણોસર પાકિસ્તાનની મધ્યસ્થતાનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. મધ્યસ્થતાને લઈને પહેલાના પ્રયાસોનો ઉલ્લેખ કરતા ઈઝરાયલી દૂત અઝારે કહ્યું કે, અમેરિકાએ પહેલા પણ કરાર કરાવવા માટે કતાર અને તુર્કી જેવા સમસ્યારૂપ દેશો સાથે કામ કર્યું છે, જેમાં હમાસ જેવા સંગઠન સાથે થયેલા કરારો પણ સામેલ છે.
તેમણે કહ્યું, તે અમારા માટે ખૂબ જ જરૂરી છે કે અમે અમેરિકા સાથે તાલમેલ બેસાડીને ચાલીએ, ખાસ કરીને જ્યારે વાત તે પરિણામોના મૂળ તત્વો અને સારની હોય, જે અમે જોવા માંગીએ છીએ. ભારતનો ઉલ્લેખ કરતા અઝારે કહ્યું, મને એ વાતથી પ્રોત્સાહન મળ્યું છે કે ભારત સરકારે નિવેદન જાહેર કર્યું, જેમાં તેમણે માંગ કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટથી જહાજોની અવરજવર કોઈપણ અવરોધ વગર થવી જોઈએ.
મને લાગે છે કે આ એકદમ યોગ્ય વલણ છે, અને ભારત સહિત કોઈપણ દેશ, ઈરાન સરકારની એ અતાર્કિક માંગ સામે ઝૂકવાના નથી કે હોર્મુઝ સ્ટ્રેટ પર પ્રતિબંધો લાદવામાં આવે. અઝારની આ ટિપ્પણી અમેરિકા અને ઈરાન વચ્ચે ૨ અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત બાદ આવી છે. આ સહમતિ હેઠળ, અમેરિકાના ઉપરાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સ આ અઠવાડિયાના અંતમાં એક લાંબા ગાળાની સમજૂતી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી મધ્યસ્થતા વાર્તા માટે પાકિસ્તાન જનારા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.
