Western Times News

Gujarati News

PM મોદી મતદાન કરવા અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવે તેવી શક્યતા?

File Photo

નવી દિલ્‍હી: ગુજરાતમાં યોજાનારી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણી વચ્‍ચે રાજ્‍યમાં રાજકીય માહોલ ગરમાયો છે ત્‍યારે ૨૬મી એપ્રિલે યોજાનાર મતદાન પ્રક્રિયામાં દેશના ટોચના દિગ્‍ગજ નેતાઓ પણ સક્રિય રીતે ભાગ લેતા જોવા મળશે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી, કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિવિધ કેન્‍દ્રીય મંત્રીઓ અને રાજ્‍યપાલો સહિતના અગ્રણીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ગુજરાત આવશે, જે ચૂંટણીને વધુ પ્રેરણાદાયક બનાવે છે.

આગામી ૨૬મી તારીખે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અમદાવાદના રાણીપ વિસ્‍તારના મતદાતા છે. તેઓ હંમેશા મતદાનને લોકશાહીનો પર્વ ગણાવતા આવ્‍યા છે. જેથી દેશના ઘણા બધા મહત્‍વના મુદ્દાઓમાં વ્‍યસ્‍ત હોવા છતાં તેઓ પોતાના મતનો ઉપયોગ કરવા માટે સમય કાઢે છે.

આ વખતે પણ તેઓ મતદાનમાં ભાગ લેશે તેવી શક્‍યતા છે, જે સામાન્‍ય મતદારો માટે એક મજબૂત સંદેશરૂપ છે. આવી જ રીતે કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તેઓ અમદાવાદના નારણપુરા વિસ્‍તારના મતદાતા છે અને ચૂંટણી સમયે મતદાન માટે ખાસ હાજરી આપતા રહે છે. રાજકીય રીતે તેમનું મતદાન મહત્‍વ ધરાવે છે અને કાર્યકરોમાં ઉત્‍સાહ વધારે છે.

ઉત્તર પ્રદેશના રાજ્‍યપાલ આનંદીબેન પટેલ પણ મતદાન માટે ગુજરાત આવશે. તેઓએ હંમેશા લોકશાહી પ્રત્‍યેની જાગૃતિ માટે ભાર મૂક્‍યો છે. તેમ જ મધ્‍ય પ્રદેશના રાજ્‍યપાલ મંગુભાઈ પટેલ નવસારી ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

રાજ્‍યપાલ તરીકેની જવાબદારીઓ વચ્‍ચે પણ તેઓ મતદાનને પ્રાથમિકતા આપે છે, જે લોકશાહી પ્રત્‍યેની તેમની પ્રતિબધ્‍ધતા દર્શાવે છે. સાથે જ કેન્‍દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ઉપરાંત કેન્‍દ્રીય મંત્રી નીમૂબેન બાંભણિયા પણ દિલ્‍હીથી ખાસ ગુજરાત આવી મતદાન કરશે.

આમ, સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં દિગ્‍ગજ નેતાઓની હાજરી માત્ર પ્રતિકાત્‍મક નથી, પરંતુ તે મતદારો માટે પ્રેરણારૂપ બની રહે છે. ખાસ કરીને યુવા મતદારો અને પ્રથમવાર મતદાન કરનારાઓ માટે આ એક મહત્‍વપૂર્ણ સંદેશ છે કે મતદાન દરેક નાગરિકની ફરજ છે.

આ વખતની ચૂંટણીમાં કાળઝાળ ગરમી પણ મોટો પડકાર છે. મતદારોને મતદાન મથક સુધી લાવવું મુશ્‍કેલ બની શકે છે. ત્‍યારે દિગ્‍ગજ નેતાઓનું મતદાન લોકોને પ્રેરણા આપશે અને મતદાન ટકાવારી વધારવામાં મદદરૂપ બની શકે છે. ચૂંટણીમાં દિગ્‍ગજોની હાજરી લોકશાહી પ્રક્રિયાને વધુ સશક્‍ત બનાવે છે. હવે જોવાનું એ રહેશે કે આ પ્રેરણાથી મતદારો કેટલા પ્રમાણમાં મતદાનમાં ભાગ લે છે અને આ લોકશાહી પર્વ કેટલું સફળ બને છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.