Western Times News

Gujarati News

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર ઝઘડિયા GIDC પોલીસ મથકમાં ફરિયાદો નોંધાઈ

ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટન એક્ઝીકેમ કંપનીમાં સોળ કામદારો દાઝી જવાની ઘટનામાં ન્યાય આપવા માટે ધારાસભ્ય કંપની પર પહોંચ્યા હતા

કંપની સંચાલકો વાતચીત માટે નહીં આવતા ધારાસભ્યએ કંપનીનો ગેટ કુદી પ્રવેશ મેળવ્યો હતો અને ભોગ બનેલા પરિવાર સાથે લાફા વાળી કરી હતી તથા પોલીસ સાથે ઘર્ષણ વિગેરે બાબતોએ ફરિયાદ નોંધાયા હોવાનું સામે આવ્યું છે!

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપોલીટીન એક્ઝિમકેમ કંપનીના એક પ્લાન્ટમાં ગત તા.૨૩.૪.૨૬ ના રોજ બ્લાસ્ટ સાથે ભયંકર આગ ફાટી નીકળી હતી, જેમાં સોળ જેટલા કામદારો ભયંકર રીતે દાજી ગયા હતા જે પૈકી બે કામદારોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ઘટનાને લઈ ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ૨૭ એપ્રિલ સોમવારના રોજ કામદારોને ન્યાય અપાવવા તેમના સમર્થકો સાથે ઝઘડિયા જીઆઇડીસી કંપનીના ગેટ પર પહોંચ્યા હતા, કંપની સંચાલકો દ્વારા વાત ચીત માટે બહાર નહીં આવતા ધારાસભ્ય ગેટ કુદી કંપનીમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાં મૃતક રાકેશ વસાવા ના સંબંધી રોશન વસાવા નાઓ સાથે ઝપાઝપી કરી તેને માર માર્યો હતો, ઉપરાંત પોલીસ સાથે પણ ઘર્ષણ થતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો,

જાણવા મળતી માહિતી મુજબ આ તમામ ઘટનાઓ બાદ કંપની સંચાલક દ્વારા ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં ચૈતર વસાવા વિરુદ્ધ ગેરકાયદેસર કંપનીમાં પ્રવેશ વિગેરે બાબતે પોલીસ ફરિયાદ દાખલ થયાના અહેવાલ મળી રહ્યા છે, ઉપરાંત મૃતક રાકેશ વસાવા ના સંબંધી રોશન વસાવા સાથે ઝપાઝપી કરવાના મામલે પણ રોશન વસાવા એ ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ઝઘડિયા જીઆઇડીસીમાં પોલીસ ફરિયાદ લખાવી હોવાના અહેવાલ મળી રહ્યા છે,

ઉપરાંત પોલીસ સાથે પણ ઘર્ષણ કર્યું હોવાનું બહાર આવતા પોલીસ પણ ફરિયાદી બની હોવાના અહેવાલ મળી રહ્યા છે, આ સંદર્ભે જે ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે તે સેન્સેટિવ હોય તેને ગુપ્ત રાખવામાં આવી હોય પોલીસ દ્વારા આ બાબતે કોઈ વિગત પૂરી પાડવામાં આવી નથી, પરંતુ આજરોજ ચૈતર વસાવા એ એક નિવેદનમાં પોતાની પર ત્રણ જેટલી ખોટી ફરિયાદ કરી હોવાનું જણાવ્યું હતું,

અને જણાવ્યું હતું કે કંપનીમાં બ્લાસ્ટ અને આગની ઘટના બાદ પોલીસે ભોગ બનનાર ની તરફેણમાં કોઈ પ્રોસેસ કરી નથી, પોલીસ લાજવા ને બદલે ગાજી રહી છે અને અમારા પર ત્રણ જેટલી ખોટી એફઆઈઆર કરી છે અને જેલથી ડરવાના નથી, કામદારો માટે લડ્યા છે અને લડતા રહીશું,

હજારો ચૈતર વસાવા જેલમાં બેસવા તૈયાર છે અને કામદારોને ન્યાય અપાવીને રહીશું તેમ જણાવ્યું હતું, આ લખાઈ છે ત્યાં સુધી પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી ધારાસભ્ય ચૈતર વસાવા પર થયેલ ફરિયાદ બાબતે આપી નથી.

મારા માંગ્યા મુજબ મને વળતર મળ્યું છે – મૃતક રાકેશ વસાવા ના પત્ની રેશ્મા વસાવા

ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટી એક્ઝીકેમ કંપનીમાં બ્લાસ્ટ અને આગની ઘટનામાં દાઝી જનાર અને સારવાર દરમિયાન મૃત્યુ પામનાર રાકેશ વસાવા ની પત્ની રેશમા વસાવા એ તેના એક નિવેદનમાં જણાવ્યું છે કે મારા માંગણી મુજબનુ વળતર મને કંપની દ્વારા, પોલીસ દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું છે જેનાથી અમે સંતુષ્ટ છીએ!

બ્લાસ્ટ અને આગની ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણના મોત

ગત સપ્તાહે ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટીન એક્ઝિમકેમ કંપનીમાં બ્લાસ્ટ સાથે આગ લાગી હતી જેના પગલે સોળ જેટલા કામદારો દાઝી ગયા હતા.તેઓ સારવાર હેઠળ હતા તે દરમ્યાન પ્રથમ રાકેશ વસાવા, બીજા હરિ પ્રકાશ મોતીલાલ અને આજરોજ ત્રીજા પ્રવિણસિંહ અશોકસિંહ નામના કામદારનું મરણ થયું છે, અત્યાર સુધીમાં બ્લાસ્ટ અને આગની ઘટના બાદ ત્રણ જેટલા કામદારો મોતને ભેટ્યા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.