દિલ્હીના મહેમાન બનેલા ઈરાનના અરાઘચીએ ભારત માટે શું કહ્યુ?
ભારત મધ્યસ્થતાની કોઈ સકારાત્મક ભૂમિકા ભજવે તો ઈરાન તેનું સ્વાગત કરશે
(એજન્સી) નવી દિલ્હી, દિલ્હીમાં મ્ઇૈંઝ્રજી સમિટમાં ભાગ લેવા પહોંચેલા ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ભારત અને ઈરાનના સંબંધોને વધુ મહત્વના ગણાવ્યા, કહ્યું,- બંને દેશો વચ્ચે ઊંડી મિત્રતા અને મજબૂત રણનૈતિક સહયોગ છે. તેમણે ભારત સરકાર અને વિદેશ મંત્રી એસ. જયશંકરની ઉષ્માભરી મહેમાનગતિ માટે ખુલ્લીને વખાણ કર્યા હતા.
અરાઘચીએ કહ્યું કે પાછલા બે મહિના દરમિયાન તેમના દેશ પર આક્રમક કાર્યવાહી થઈ રહી છે. ત્યારે પણ ભારત સાથે સતત સંપર્ક રાખ્યો હતો. ભારતે ન માત્ર કૂટનૈતિક સમર્થન આપ્યું પરંતુ માનવીય સહાયતા મોકલીને ઈરાની લોકો સાથે એકજૂથતા દર્શાવી, અમે ભારત સાથેના અમારા સંબંધોને ઘણું મહત્વ આપીએ છીએ. ભારત હંમેશા આ ક્ષેત્રમાં સંતુલિત અને સન્માનજનક ભૂમિકા ભજવતું આવ્યું છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અંગે અરાઘચીએ અમેરિકા અને ઈઝરાયલ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીત ચાલી રહી હતી, તે જ સમયે અમેરિકા અને ઈઝરાયલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું, અમે કૂટનૈતિક રસ્તાની વચ્ચે હતા, પરંતુ તે જ સમયે અમારા પર હુમલો થયો. આ સંપૂર્ણપણે ઉશ્કેરણીજનક કાર્યવાહી હતી. આ સમગ્ર ઘટનાક્રમે ઈરાન અને અમેરિકા વચ્ચેના વિશ્વાસને વધુ નબળો પાડ્યો છે. તેમના મતે, આજે અમેરિકા તરફથી એક સંદેશ આવે છે અને બીજા દિવસે બીજો. આ અવિશ્વાસનું સૌથી મોટું કારણ છે.
ઈરાની વિદેશ મંત્રીએ કહ્યું કે હાલમાં યુદ્ધવિરામ લાગુ છે, પરંતુ સ્થિતિ હજુ પણ અત્યંત નાજુક બનેલી છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ઈરાન કોઈ પણ દબાણ કે પ્રતિબંધો સામે ઝૂકવાનું નથી. ઈરાની જનતા માત્ર સન્માનની ભાષા સમજે છે. અમે દરેક વખતે દબાણનો સામનો કર્યો છે અને આગળ પણ કરીશું.
તેમણે એમ પણ કહ્યું કે ઈરાન કોઈ સૈન્ય ઉકેલમાં માનતું નથી અને પ્રાદેશિક શાંતિ માટે વાતચીત જ શ્રેષ્ઠ માર્ગ છે. પાકિસ્તાનના મધ્યસ્થતાના પ્રયાસો હજુ નિષ્ફળ ગયા નથી અને વાતચીતના રસ્તાઓ હજુ પણ ખુલ્લા છે. અરાઘચીએ સ્પષ્ટ કર્યું હતું કે ઈરાને ક્્યારેય પરમાણુ હથિયાર બનાવવાની ઈચ્છા રાખી નથી. તેમના મતે, ઈરાનનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ હેતુઓ માટે છે અને તેને લઈને ઘણી ખોટી ધારણાઓ ફેલાવવામાં આવી રહી છે.
અરાઘચીએ પશ્ચિમ એશિયાના સંકટમાં ભારતની ભૂમિકાને અત્યંત મહત્વની ગણાવી હતી. તેમણે કહ્યું કે ભારતની છબી તમામ દેશોમાં સકારાત્મક છે અને તે શાંતિ સ્થાપવામાં રચનાત્મક ભૂમિકા ભજવી શકે છે. તેમણે કહ્યું, ભારત પર્સિયન ગલ્ફના તમામ દેશોનું મિત્ર છે. અમે ઈચ્છીએ છીએ કે ભારત આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવામાં આગળ આવે. ઈરાની વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું હતું કે જો ભારત મધ્યસ્થતાની કોઈ સકારાત્મક ભૂમિકા ભજવે તો ઈરાન તેનું સ્વાગત કરશે.
