Western Times News

Gujarati News

રણુજા ખાતે દર્શન કરીને પાછા ફરી રહેલા યાત્રાળુઓની સ્કોર્પિયોને અકસ્માત: 3 યુવાનોના મોત

ભારતમાલા રોડ પર નીલગાય આડી આવતાં સ્કોર્પિયો પલટીઃ ત્રણનાં મોત

(એજન્સી)પાલનપુર, બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના લોકો માટે રાજસ્થાનનો પ્રવાસ ગોઝારો સાબિત થયો છે. રણુજા (રામદેવરા) ખાતે દર્શન કરીને પાછા ફરી રહેલા યાત્રાળુઓની કાર રાજસ્થાનના ભારતમાલા રોડ પર અચાનક નીલગાય સામે આવી જતાં પલટી ખાઈ ગઈ હતી.

આ ભયાનક અકસ્માતમાં થાવર ગામના ૩ આશાસ્પદ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય ૩ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ધાનેરાના થાવર ગામના આ યાત્રાળુઓ પોતાની સ્કોર્પિયો કારમાં રણુજા દર્શન માટે ગયા હતા.

દર્શન કરીને પરત ફરતી વખતે બાલોતરા જિલ્લાના આસોતરા નજીક ભારતમાલા રોડ પરથી તેઓ પસાર થઈ રહ્યા હતા. આ સમયે અચાનક જ એક નીલગાય રસ્તા પર દોડી આવી હતી. નીલગાયને બચાવવા જતાં કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. સ્પીડમાં રહેલી સ્કોર્પિયો કાર રસ્તા પર જ ગોથા ખાઈને પલટી ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ રાજસ્થાન પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સ્થાનિકોની મદદથી રાહત બચાવ કામગીરી શરૂ કરીને તમામ ૬ લોકોને કારમાંથી બહાર કાઢ્યા હતા. જોકે, કમનસીબે તેમાંથી ૩ યુવાનોએ ત્યાં જ જીવ ગુમાવી દીધો હતો.

બાકીના ૩ ઘાયલોને શરૂઆતમાં બાલોતરાની નાહટા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે જોધપુરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં અજમલભાઈ ગણેશભાઈ ચૌધરી , હિતેશભાઈ દેવરણભાઈ ચૌધરી , યોગેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરીનું મોત થયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.