Western Times News

Gujarati News

તમે જે વરિયાળી આરોગો છે તે લીલો કલર કરેલી નથી ને ? ઊંઝામાં કલર કરેલી ૩,૫૪૮ કિલો વરિયાળી જપ્ત

ઊંઝામાં કલર ભેળવેલી ૩,૫૪૮ કિ.ગ્રા વરિયાળી અને ૧૪૦ કિ.ગ્રા લીલા કલરનો રૂ.૩.૩૦ લાખનો જથ્થો જપ્ત

ઊંઝામાં ખોરાક – ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી:  નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા ભેળસેળિયા તત્વો સામે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની ઝીરો ટોલરન્સની નીતિ

નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અને ખોરાકમાં ભેળસેળ કરનારા તત્વો સામે રાજ્ય સરકાર ઝીરો ટોલરન્સ‘ નીતિ અપનાવી રહી છે. આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની કડક સૂચના અને સતત માર્ગદર્શન હેઠળ ખોરાક – ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યમાં ભેળસેળિયા તત્વોની સામે એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

આ ઝુંબેશના ભાગરૂપે આજે ગાંધીનગરની ફ્લાઈંગ સ્કોડ દ્વારા મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે વરિયાળીમાં પ્રતિબંધિત કલરની ભેળસેળ કરતા એક મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા સ્થળ પરથી કાયદેસરની કાર્યવાહી કરીને અંદાજિત રૂ. ૩.૩૦ લાખની કિંમતનો ૩,૫૪૮ કિલોગ્રામ વરિયાળીનો છૂટક -લુઝ જથ્થો તેમજ ભેળસેળ કરવા માટે વપરાતો લીલો એડલ્ટ્રન્ટ કલરનો  ૧૪૦ કિલોગ્રામ પણ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આજે ફ્લાઈંગ સ્કોડ દ્વારા ઊંઝામાં આવેલી “મે. ગણપતિ ક્લિનીંગ ફેક્ટરી” ખાતે અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન આ ફેક્ટરીમાં વરિયાળીને આકર્ષક લીલો રંગ આપવા માટે પ્રતિબંધિત કલરની ભેળસેળ કરવામાં આવતી હોવાનું ષડયંત્ર રંગેહાથ ઝડપાયું હતું.

આ ઉપરાંતફેક્ટરીના સંચાલકો આ જગ્યા પર ખાદ્ય પદાર્થોના ઉત્પાદન માટે જરૂરી એવું સક્ષમ સત્તાધિકારીનું કોઈપણ પ્રકારનું ફૂડ લાઈસન્સ પણ ધરાવતા ન હતા. આમજનઆરોગ્યને નુકસાન પહોંચાડવાની સાથે-સાથે કાયદાના નિયમોનું પણ સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું હતું.

અધિકારીઓ દ્વારા આ સમગ્ર જથ્થો સીઝ કરીવરિયાળી તથા એડલ્ટ્રન્ટ તરીકે વાપરવામાં આવતા લીલા કલરના નમૂનાઓ વિશ્લેષણ અને પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. લેબોરેટરીમાંથી પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ આ ફેક્ટરીના માલિકો સામે કાયદાની કડક કલમો હેઠળ આગળની કાનૂની કાર્યવાહી કરવા આરોગ્ય રાજ્ય મંત્રીશ્રીએ કડક પગલા લેવાના આદેશ આપ્યા હતા.  

રાજ્ય સરકાર જનઆરોગ્યના હિતમાં પ્રતિબદ્ધ રહીને સતત ચકાસણી અને દેખરેખની કામગીરી કરી રહી છે. આગામી સમયમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ભેળસેળિયા તત્વો સામે તંત્ર દ્વારા આવી જ કડક અને શિક્ષાત્મક કાર્યવાહી યથાવત ચાલુ રાખવામાં આવશેતેમ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.