ઈબોલા એલર્ટઃ યુગાન્ડાથી અમદાવાદ આવેલા 11 લોકો હોમ આઇસોલેશનમાં
પ્રતિકાત્મક
ગુજરાતમાં ઈબોલાનો પહેલો શંકાસ્પદ કેસ નોંધાયો-મુંબઈથી વડોદરા આવેલા એક વેપારીમાં ઈબોલાના શંકાસ્પદ લક્ષણો
અમદાવાદઃ આફ્રિકન દેશ કોંગોમાં ફેલાયેલા ઈબોલા વાયરસથી વિશ્વભરના દેશોમાં ભારે ફફડાટ ફેલાયો અને સાવચેતીના તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. ભારતમાં પણ સાવચેતી રાખવામાં આવી રહી છે.
આ દરમિયાનમાં આફ્રિકન દેશમાંથી ગુજરાત આવી રહેલા લોકોને હોમ આઈસોલેશન રાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે મુંબઈથી વડોદરા આવેલા એક વેપારીમાં ઈબોલાના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગ સતર્ક બની રહ્યું છે અને તાત્કાલિક તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ વેપારીના તમામ રિપોર્ટો ચકાસવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ વેપારી થોડા દિવસ પહેલાં કોંગોથી બોમ્બે આવ્યો હતો અને ત્યાંથી વડોદરા આવ્યો હતો અને અહીંયા તેને તાવ આવવા લાગતા તેને તાત્કાલિક તેના ટેસ્ટ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આ અંગેની જાણ થતાં જ રાજ્યના આરોગ્ય વિભાગે તુરંત જ આ વેપારીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવેલા અલાયદા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ વ્યક્તિની સાથે બીજી ત્રણ વ્યક્તિઓને પણ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ વેપારીના સંપર્કમાં આવેલા તબીબ અને અન્ય બે વ્યક્તિઓને એસવીપી હોસ્પિટલમાં બનાયેલા અલાયદા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. કેન્દ્રના આરોગ્ય વિભાગની સૂચનાથી મોટી હોસ્પિટલોમાં અલાયદા વોર્ડ બનાવવામાં આવ્યા છે. એસવીપીમાં ૬૦ બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
ઈબોલા વાયરસના પગલે હવે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ખાસ કરીને આફ્રિકા દેશોમાંથી આવતા નાગરિકોની ફરજિયાત ચકાસણી શરૂ કરવામાં આવી છે.
વિશ્વના કેટલાક દેશોમાં પગપેસારો કરી રહેલા અત્યંત ખતરનાક ઇબોલા વાયરસના સંક્રમણને ભારતમાં ફેલાતો અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર અત્યારથી જ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે.
આ જીવલેણ વાયરસ સામે શહેરીજનો સુરક્ષિત રહે તે માટે મ્યુનિસિપલ કમિશનર અને આરોગ્ય વિભાગ દ્વારા આગોતરા પગલાંરૂપે તમામ જરૂરી મેડિકલ તૈયારીઓ અને પ્રોટોકોલ શરૂ કરી દેવામાં આવ્યા છે.
આ અંગે માહિતી આપતા એએમસીના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે, વૈશ્વિક સ્તરે ઇબોલા વાયરસથી પ્રભાવિત મુખ્ય ત્રણ આફ્રિકન દેશોમાંથી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોનું સખત મેડિકલ સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે.
એરપોર્ટ પરથી કોઈપણ સંક્રમણ શહેરમાં ન પ્રવેશે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન, એરપોર્ટ ઓથોરિટી અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના આરોગ્ય તંત્ર સાથે સતત ૨૪ કલાક સંકલનમાં રહીને કામ કરી રહ્યું છે.
તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર રિપોર્ટ મુજબ, તાજેતરમાં ઇબોલા પ્રભાવિત દેશ યુગાન્ડાથી મુસાફરી કરીને કુલ ૧૧ લોકો અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. આ તમામ પેસેન્જરોની તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ ૧૧ મુસાફરો પૈકી ૯ ભારતીય નાગરિકો છે અને ૨ યુગાન્ડાના નાગરિકો છે. રાહતની સૌથી મોટી વાત એ છે કે સ્ક્રીનીંગ દરમિયાન આ તમામ ૧૧ લોકોમાંથી કોઈ પણ વ્યક્તિમાં ઇબોલા વાયરસના કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા મળ્યા નથી.
જો કે, મેડિકલ પ્રોટોકોલ અને સાવચેતીના ભાગરૂપે આ તમામ મુસાફરોને હાલ તેમના ઘરે જ ‘હોમ આઇસોલેશન’માં રાખવામાં આવ્યા છે અને કોર્પોરેશનની સ્પેશિયલ તબીબી ટીમ દરરોજ તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે.
બીજી તરફ, ભવિષ્યની કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક ધોરણે ૬૦ બેડનો અત્યાધુનિક ક્વોરન્ટાઈન વોર્ડ સજ્જ કરી દેવામાં આવ્યો છે. આ વોર્ડમાં ઇબોલાના દર્દીઓની સારવાર માટે જરૂરી તમામ આધુનિક તબીબી સાધનો અને વિશેષ દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
તંત્રના જણાવ્યા અનુસાર, જો એરપોર્ટ પર થતા સ્ક્રીનીંગ દરમિયાન કોઈ પણ પેસેન્જરમાં ઇબોલાના શંકાસ્પદ લક્ષણો જણાશે, તો તેમને એરપોર્ટથી જ વિશેષ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સત્તાવાર યાદી જાહેર કરીને નગરજનોને આ મામલે સહેજ પણ ન ગભરાવા અને માત્ર જરૂરી તકેદારી રાખવા ખાસ અપીલ કરી છે.
