એસ.ટી.ને ઓવરટેક બાબત બસના ડ્રાઈવર પર હુમલો કરનારા ૩ શખ્સો ઝડપાયા
પ્રતિકાત્મક
બસના કાચ તોડી સરકારી મિલકતને નુકસાન પહોંચાડયું હતું તેમજ બસના ડ્રાઈવરને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી
જામનગર, જામનગરમાં દિગ્જામ ઓવરબ્રિજ નજીક ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે એસ.ટી. બસના ડ્રાઇવર પર હુમલો કરનાર ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે, જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ છે.
બનાવ મુજબ એસ.ટી. બસ અને એક કાર વચ્ચે ઓવરટેક મુદ્દે બોલાચાલી સર્જાતા કારમાં આવેલા શખ્સોએ બસ અટકાવી હતી. ત્યારબાદ બસના કાચ તોડી સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું તેમજ બસના ડ્રાઈવરને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.
બનાવને પગલે પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાઓના આધારે જામનગરમાં અંધ આશ્રમ વિસ્તારમાં રહેતા દીપક મનસુખભાઈ ગોહિલ (ઉંમર વર્ષ ૨૨), શંકર ટેકરી શાસ્ત્રીનગરમાં રહેતા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે લાલભા વિરેન્દ્ર સિંહ સોઢા (ઉંમર વર્ષ ૨૩) તેમજ સિદ્ધનાથ સોસાયટીમાં રહેતા રાહુલ શામજીભાઈ ચાવડા (ઉંમર વર્ષ ૨૬) નામના ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે ઘટનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. બનાવે જાહેર પરિવહનના કર્મચારીઓની સુરક્ષા અંગે ફરી એકવાર પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપવા માટે વધુ તપાસ શરૂ કરી છે.
