ઈડીએ જપ્ત કરેલા રૂ.૧૧ કરોડ છોડાવવાની લાલચ આપી ઠગ ટોળકીએ વેપારી પાસેથી 3.18 કરોડ પડાવ્યા
પ્રતિકાત્મક
આંગડિયા પેઢી પર ઈડીના દરોડા બાદ ખેલાયો ખેલ
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં આંગડિયા પેઢી ચલાવતા એક વેપારી સાથે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના નામે કરોડો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ઈડી દ્વારા જપ્ત કરવામાં આવેલા ૧૧.૧૦ કરોડ રૂપિયા, મોબાઇલ અને ડી.વી.આર. પરત છોડાવી આપવાના બહાને પાંચ શખસોએ કાવતરું રચીને વેપારી પાસેથી ૩.૧૮ કરોડ રૂપિયા પડાવી લીધા હતા.
આરોપીઓએ ઈ.ડી., સી.બી.આઈ. અને એ.ટી.એસ. જેવા ઉચ્ચ વિભાગોમાં પોતાની મોટી ઓળખાણ અને સેટિંગ હોવાનો દાવો કર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ એક બોગસ નોટરાઇઝડ કરાર ઊભો કરી ઊલટાનું ફરિયાદી પાસે ૧૩.૨૦ કરોડ રૂપિયાની ઉઘરાણી કરતી કાનૂની નોટિસ પણ ફટકારી દીધી હતી.
મળતી માહિતી અનુસાર, શાહીબાગ વિસ્તારમાં રહેતા અને ‘વિષ્ણુ કાંતીલાલ’ની કંપનીના નામે આંગડિયા પેઢી ચલાવતા ૫૯ વર્ષીય સાંકળચંદ પટેલ આ કેસના ફરિયાદી છે. ગત છઠ્ઠી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ તેમની નવરંગપુરા સ્થિત ઓફિસ પર ઈડીએ દરોડા પાડી ગ્રાહકોના ૧૧.૧૦ કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા.
આ ઘટના બાદ ચાંદલોડિયાના વિજય પટેલ, નવા વાડજના દર્શન વેદ, ગોતાના એડવોકેટ સુધાંશુ ઝા, તેમજ મુંબઈના પ્રવિણ ભાનુશાળી અને વિરાટ સિંગ નામના પાંચ શખસોએ ફરિયાદીનો સંપર્ક કર્યો હતો અને ઈડીમાંથી નાણાં પાછા અપાવવાની ખાતરી આપી હતી.
વિજય મુખી અને એડવોકેટ સુધાંશુ ઝાએ ફરિયાદીને જણાવ્યું હતું કે, ઈ.ડી.નો આ કેસ પૂરો કરવા માટે કુલ રકમના ૪૦ ટકા જેટલો ખર્ચ થશે. આ માટે તેણે મુંબઈના પ્રવિણ અને વિરાટ સાથે વેપારીની ઓળખાણ કરાવી હતી. ત્યારબાદ આ ટોળકીએ ઈ.ડી. મુંબઈ, દિલ્હી સી.બી.આઈ. અને પુણે એ.ટી.એસ.ના નામે જુદા-જુદા વ્યક્તિઓના ટોકન મોકલાવ્યા હતા. આરોપીઓએ આંગડિયા મારફતે તેમજ રોકડા મળીને કુલ ૩,૧૮,૬૫,૯૦૦ રૂપિયા પડાવી લીધા હતા.
ફેબ્રુઆરી ૨૦૨૫માં વિજય મુખીએ ઈ.ડી.માં રજૂ કરવાના બહાને દર્શન વેદની ‘અર્થ જ્વેલર્સ’ નામની કંપનીનું ફરિયાદીની પેઢીમાં ૧૩.૨૦ કરોડ રૂપિયાનું રોકાણ હોવાનો એક ખોટો નોટરાઇઝડ કરાર બનાવી સહીઓ કરાવી લીધી હતી અને સાથે કોરા ચેક પણ પડાવી લીધા હતા. દર્શન સાથે ફરિયાદીનો કોઈ જ નાણાકીય વ્યવહાર ન હોવા છતાં, ૧૦મી જાન્યુઆરી ૨૦૨૬ના રોજ દર્શને આ જ બોગસ કરારના આધારે ૯ ટકા વ્યાજ સાથે પૈસા માંગતી કાનૂની નોટિસ ફરિયાદીને મોકલાવી દીધી હતી.
