શિક્ષણ મંત્રીએ ડ્રોપઆઉટ વિદ્યાર્થીનીના ઘરે મુલાકાત લઈ ફરી અભ્યાસ શરૂ કરવા પ્રેરિત કરી
ગાંધીનગર, રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં એક અત્યંત પ્રેરણાદાયી અને સંવેદનશીલ કિસ્સો સામે આવ્યો છે.
શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ ડ્રોપઆઉટ (અભ્યાસ અધવચ્ચે છોડી દીધેલ) વિદ્યાર્થીઓના પુનઃ નામાંકન માટે આદરેલી ઝુંબેશના ભાગરૂપે રૂબરૂ મુલાકાત લઈને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.
### શિક્ષણ મંત્રીએ ડ્રોપઆઉટ વિદ્યાર્થીનીના ઘરે લીધી મુલાકાત
અભ્યાસ છોડી ચૂકેલા બાળકોને ફરીથી શાળાના પગથિયાં ચડાવવાના ઉદ્દેશ્ય સાથે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ સુરેન્દ્રનગર ખાતે એક ડ્રોપઆઉટ વિદ્યાર્થીનીના ઘરે વ્યક્તિગત મુલાકાત લીધી હતી.
મંત્રીશ્રીએ દીકરી અને તેના પરિવારજનો સાથે ખૂબ જ આત્મીયતાપૂર્વક વાતચીત કરી હતી અને દીકરીને તેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે ફરીથી અભ્યાસ શરૂ કરવા પ્રેરિત કરી હતી.
### પાઠ્યપુસ્તકોનું વિતરણ અને ઉચ્ચ શિક્ષણની ગેરંટી
મુલાકાત દરમિયાન શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીનીને પ્રોત્સાહિત કરવા માટે ધોરણ-9ના નવા પાઠ્યપુસ્તકો અર્પણ કર્યા હતા. એટલું જ નહીં, મંત્રીશ્રીએ પરિવારને મોટી આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે, > “આ દીકરીના કોલેજ સુધીના સમગ્ર ઉચ્ચ અભ્યાસની જવાબદારી રાજ્ય સરકાર સુનિશ્ચિત કરશે.”
સરકારની આ સંવેદનશીલ પહેલના કારણે અધવચ્ચે અભ્યાસ છોડવા મજબૂર બનેલી દીકરીના સપનાઓને નવી પાંખો મળી છે. શિક્ષણ મંત્રીની આ સરાહનીય કામગીરીથી સ્થાનિક સ્તરે ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને એક નવો વેગ મળ્યો છે.
