Western Times News

Gujarati News

ગોંડલ પાસેથી પણ લખેલી ઉત્તરવહીઓ મળી

બે સ્થળોએથી લખેલી ઉત્તરવહીઓ મળતાં તંત્રમાં દોડધામ

(પ્રતિનિધિ) અમદાવાદ: ધો.૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે ઉત્તરવહીઓ ચકાસવાની કામગીરી પણ શરૂ કરવા માટે બોર્ડ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે અને આ માટે લખેલી ઉત્તરવહીઓ જે તે મુલ્યાકન કેન્દ્ર પર મોકલવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવતા જ આજે ચોંકાવનારી ઘટનાઓ બહાર આવી છે.

સૌ પ્રથમ રાજકોટના વીરપુર પાસેથી લખેલી ઉત્તરવહીઓ મળવાની ઘટનામાં હજુ તપાસ શરૂ નથી થઈ ત્યાં જ ગોંડલ પાસેથી પણ રસ્તા પરથી રઝળતી હાલતમાં લખેલી ઉત્તરવહીઓ મળી આવતા બોર્ડના અધિકારીઓ ચોંકી ઉઠયા છે અને તાત્કાલિક આ અંગે તપાસ કરવા માટે સ્થાનિક જિલ્લા શિક્ષણ અધિકારીએ આદેશ આપી દીધો છે.

આ ચોંકાવનારી ઘટનાની વિગત એવી છે કે વિદ્યાર્થીઓનું ભાવિ ઘડનારી બોર્ડની પરીક્ષા હાલમાં અંતિમ તબક્કામાં છે મુખ્ય વિષયોની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે અને શિક્ષણ બોર્ડ દ્વારા હવે ઉત્તરવહીઓની ચકાસણી માટેની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે આ માટે રાજયભરમાં મુલ્યાંકન કેન્દ્ર નકકી કરવામાં આવ્યા છે.

રાજકોટ પાસે આવેલા વીરપુરને પણ મુલ્યાકન કેન્દ્ર માટે નકકી કરવામાં આવ્યું છે જેના પગલે લખેલી ઉત્તરવહીઓ વીરપુર મોકલવા માટે તૈયારીઓ કરવામાં આવી હતી આ દરમિયાનમાં આજે સવારે વીરપુર પાસેથી ઓવરબ્રીજ નજીક લખેલી ઉત્તરવહીઓ રસ્તા પરથી રઝળતી મળતા જ તપાસના આદેશો આપી દેવામાં આવ્યા હતા.

આ દરમિયાનમાં ગોંડલ પાસેથી પણ રસ્તા પરથી રઝળત હાલતમાં લખેલી ઉત્તરવહીઓ મળી આવતા શિક્ષણ અધિકારીઓએ દોડધામ કરી મુકી છે. બોર્ડના વિદ્યાર્થીઓના ભાવિ સાથે ખુલ્લેઆમ ચેંડા થઈ રહયા હોવાની લાગણી વાલીઓ અનુભવી રહયા છે. આજે સવારે એક પછી એક બે સ્થળો પરથી લખેલી ઉત્તરવહીઓ મળી આવતા સનસનાટી મચી ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.