Western Times News

Gujarati News

ટુ વ્હિલર વાહન પર એકથી વધુ અને ફોર વ્હિલર વાહન પર બેથી વધુ મુસાફરો મુસાફરી કરી શકશે નહીં

આવશ્યક સેવાઓ પ્રદાન કરતાં વેપારી તથા સેવા પુરી પાડતા એકમો તથા ગ્રાહકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું રહેશે

માહિતી બ્યુરો, પાટણ કેટલાક લોકો આવશ્યક સેવાઓ માટે ઘરની બહાર નીકળતા હોઈ તે દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સિંગના અભાવે કોરોના વાયરસ સંક્રમણનું જોખમ હોય છે ત્યારે પાટણના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.ડી.પરમાર દ્વારા વિવિધ નિયંત્રણો અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ની રૂએ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એન.ડી.પરમાર દ્વારા ભારત સરકારના તા.૨૪/૦૩/૨૦૨૦ના આદેશથી જાહેર કરવામાં આવેલા લોકડાઉનની અમલવારી તથા કોરોના વાયરસ અન્વયે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા ટુ વ્હિલર વાહન પર એકથી વધુ મુસાફર તથા ફોર વ્હિલર વાહનમાં બેથી વધુ મુસાફરોને મુસાફરી કરવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ફોર વ્હિલર વાહનમાં મુસાફરી દરમ્યાન વાહન ચાલક તેમજ મુસાફર વચ્ચે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાનું રહેશે.

વધુમાં જાહેરનામા મુજબ તમામ જાહેર કરેલ આવશ્યક સેવાઓ પ્રદાન કરતાં વેપારીઓ તથા સેવા પુરી પાડનાર એકમો દ્વારા આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરવાના સમયે ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય તે જોવાનું રહેશે. એ જ રીતે સેવાઓ મેળવનાર ગ્રાહકો અને વ્યક્તિઓએ પણ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાનું રહેશે.

આ જાહેરનામું પાટણ જિલ્લાના સમગ્ર જાહેર વિસ્તારમાં તા.૧૨/૦૪/૨૦૨૦ના ૨૪.૦૦ કલાક સુધી અમલમાં રહેશે. આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ ભારતીય ફોજદારી અધિનિયમ, ૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. જે અંગે જિલ્લામાં ફરજ પરના હાજર એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રી તેમજ પોલીસ સબ ઈન્સપેક્ટરશ્રી કે તેથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીશ્રીઓ લેખિત ફરિયાદ નોંધી શકશે.

આ હુકમ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી કે અર્ધસરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેમને, ગંભીર અકસ્માત કે જીવલેણ બિમારીના દર્દીના વાહનોને તથા સ્મશાન યાત્રાને લાગુ પડશે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.