Western Times News

Gujarati News

લાઇફલાઇન ઉડાનની ફ્લાઇટ્સે 3 લાખ કિમીથી વધુ અંતર કાપીને આવશ્યક તબીબી પૂરવઠો પહોંચાડ્યો

નવી દિલ્હી, કોવિડ-19ના કારણે લૉકડાઉન દરમિયાન દેશના વિવિધ ભાગોમાં તબીબી અને આવશ્યક ચીજવસ્તુઓના પૂરવઠા માટે શરૂ કરવામાં આવેલી લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સ દ્વારા અત્યાર સુધીમાં 3 લાખ કિલોમીટરથી વધુ હવાઇ અંતર કાપીને અંદાજે 507.85 ટન તબીબી માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે.

એર ઇન્ડિયા, અલાયન્સ એર, ભારતીય વાયુ સેના અને ખાનગી કેરિઅર્સ દ્વારા કુલ 301 ફ્લાઇટ્સ ચલાવવામાં આવી છે. આમાંથી 184 ફ્લાઇટ્સનું પરિચાલન એર ઇન્ડિયા અને અલાયન્સ એર દ્વારા કરવામાં આવ્યું છે. કોવિડ-19 મહામારી સામે ભારતની લડાઇમાં દેશના અંતરિયાળ અને સરહદી વિસ્તારો સુધી આવશ્યક તબીબી પૂરવઠો પહોંચાડવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ‘લાઇફલાઇન ઉડાન’ અંતર્ગત ફ્લાઇટ્સ ચલાવવામાં આવે છે.

જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ટાપુઓ અને પૂર્વોત્તરના પ્રદેશોમાં મહત્વપૂર્ણ તબીબી સામાનની હેરફેર અને દર્દીઓને લઇ જવા માટે પવન હંસ લિમિટેડ સહિત હેલિકોપ્ટર સેવાની મદદ લેવામાં આવે છે. પવન હંસ હેલિકોપ્ટર્સમાં 19 એપ્રિલ 2020 સુધીમાં 6537 કિમી અંતર કાપીને 1.90 ટન માલસામાનની ડિલિવરી કરવામાં આવી છે. સ્થાનિક લાઇફલાઇન ઉડાન કાર્ગોમાં કોવિડ-19 સંબંધિત રસાયણો, એન્ઝાઇમ, તબીબી ઉપકરણો, પરીક્ષણની કીટ્સ, વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણ (PPE), માસ્ક, હાથમોજાં અને HLL અને ICMRની અન્ય સામગ્રી તેમજ રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોની જરૂરિયાત અનુસાર સામાન અને પોસ્ટલ પેકેટ્સ સમાવવામાં આવે છે.

પૂર્વોત્તરના પ્રદેશો, ટાપુ વિસ્તારો અને પર્વતીય વિસ્તારો માં વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એર ઇન્ડિયા અને ભારતીય વાયુ સેનાએ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પૂર્વોત્તર અને અન્ય ટાપુ વિસ્તારો માટે શરૂઆતથી જોડાણ કર્યું છે. માલસામાનના જથ્થામાં હળવા વજનની જથ્થાબંધ ચીજો જેમકે માસ્ક, હાથમોજાં અને અન્ય વપરાશ યોગ્ય ચીજો કે જે એરક્રાફ્ટમાં વધુ જગ્યા રોકે છે તેનો સમાવેશ થાય છે. મુસાફરોને બેસવાની જગ્યા અને ઓવરહેડમાં પણ પૂરતી સાવચેતી સાથે સામાન મૂકવા માટે વિશેષ મંજૂરી લેવામાં આવી છે.

લાઇફલાઇન ઉડાન ફ્લાઇટ્સના સંકલન માટે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા એક પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે જેથી વિવિધ હિતધારકો વચ્ચે અવિરત સંકલન કરી શકાય. લાઇફલાઇન ઉડાન સંબંધિત સાર્વજનિક માહિતી દરરોજ https://esahaj.gov.in/lifeline_udan/public_info પોર્ટલ પર અપડેટ કરવામાં આવે છે.
સ્થાનિક કાર્ગો ઓપરેટર્સ સ્પાઇસજેટ, બ્લુ ડાર્ટ અને ઇન્ડિગો વ્યાપારી ધોરણે કાર્ગો વિમાનોનું પરિચાલન કરી રહ્યા છે.

સ્પાઇસજેટ દ્વારા 24 માર્ચથી 19 એપ્રિલ 2020 દરમિયાન 427 કાર્ગો વિમાનો ઉડાડીને 6,29,325 કિમીનું અંતર કાપવામાં આવ્યું છે અને 3414 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. આમાંથી 135 આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું હતું. બ્લુ ડાર્ટ દ્વારા 25 માર્ચથી 19 એપ્રિલ 2020 દરમિયાન 141 સ્થાનિક ઉડાન દ્વારા 1,39,179 કિમી અંતર કાપવામાં આવ્યું છે અને 2241 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. ઇન્ડિગો દ્વારા 3થી 19 એપ્રિલ દરમિયાન 33 કાર્ગો ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 37,160 કિમીનું અંતર કાપીને 66 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું હતું. આમાં સરકાર માટે વિનામૂલ્યે તબીબી માલસામાન લઇ જવામાં આવે છે તે પણ સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.