Western Times News

Gujarati News

સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાંથી દરરોજ ૮૦૦ કિલો ઘન કચરો પણ ડિસઇન્ફેક્ટ (જંતુમૂક્ત) કરી નિકાલ કરાય છે

૩ શિફ્ટમાં ૨૨૫ કામદારોનુ કાબિલ-એ-તારીફ કથીર વ્યવસ્થાપન (વેસ્ટ મેનેજમેન્ટ)

કોરોના સંક્રમણે વિશ્વ આખામાં ભરડો લીધો છે આ મહામારીને નાથવા રાજ્યનો સમગ્ર પ્રશાસન પડકારરૂપ કામગીરી કરી રહ્યું છે આ રોગને અટકાવવા જેટલી જરૂરિયાત સોશિયલ ડિસ્ટન્સ સેનિટેશન અને સ્વચ્છતાની છે એટલી જરૂરિયાત હોસ્પિટલ માંથી નીકળતા વેસ્ટને જંતુરહિત બનાવવાની પણ છે.

એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલમાં રાજ્ય સરકારે ૧૨૦૦ બેડની હોસ્પિટલને ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ જાહેર કરી છે ત્યારે આ હોસ્પિટલમાંથી નીકળતા વેસ્ટને જંતુરહિત બનાવવાની કામગીરી પણ એક પડકારરૂપ છે. અહીંથી રોજ ૮૦૦ કિલો ઘન કચરાને જંતુરહિત બનાવી તેનો નિકાલ કરવામાં આવે છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ દ્વારા વપરાયેલી વસ્તુઓથી સંક્રમણ ફેલાય નહીં તે માટે તેને સોડીયમ હાઇપોક્લોરાઇડ દ્રાવણથી જંતુમુક્ત કરી નિકાલ કરવામાં આવે છે. કોરોના વોર્ડમાં દર્દીઓના સંસર્ગમાં આવતી મોટાભાગની વસ્તુઓનો નિકાલ કરવામાં આવતો હોવાથી દરરોજ અંદાજે ૮૦૦ કિલો ઘન કચરાનો નિકાલ થઈ રહ્યો છે.

સિવિલ હોસ્પિટલમાં વપરાશમાં લેવાતી રોજની ૨૫૦૦ પી.પી.ઇ. કીટ અને ૧૫૦૦ N99 માસ્કનો નિકાલ થાય છે. દર્દીઓને ભોજન અને નાસ્તા સમયે આપવામાં આવતી ડિસ્પોઝેબલ ડિશ, પાણીના ગ્લાસ ઉપરાંત ઇંજેક્શન નિડલ, કોટન અને માનવમળ જેવા બાયોમેડીકલ વેસ્ટનો પણ સમાવેશ થાય છે.

સિવિલમાં કથીર વ્યવસ્થાપન માટે એક વિશિષ્ટ ટુકડી રચવામાં આવી છે. ૩ શિફ્ટમાં તબીબી અધિકારી, પેરામેડીક્સ, સફાઇકર્તા બધા મળી કુલ ૨૨૫ લોકો અહીં સેવારત છે. કોરોના વોર્ડમાં ૮ કલાકની એક શિફ્ટમાં સરેરાશ ૨૫૦ કિલો કચરો એકઠો થાય છે.અહીં ૧૨ ક્રિટિકલ વોર્ડ અને ૧૮ સ્ટેબલ પેશન્ટ વોર્ડ કાર્યરત છે.

સિવિલના તબીબી અધિકારી શ્રી સંજય કાપડિયાના જણાવ્યા મુજબ કોરોનાગ્રસ્ત દર્દીઓ દ્વારા ઉત્પન્ન થયેલા ઘન અને જૈવિક કચરા થકી પણ વાયરસ ફેલાવાની શક્યતા રહેલી છે. આથી આ કચરાના યોગ્ય નિકાલ માટે સિવિલ હોસ્પિટલ દ્વારા નક્કર આયોજન કરવામાં આવ્યું છે.

સોડિયમ હાઇપોક્લોરાઇડ દ્રાવણથી ભરેલા પ્લાસ્ટિક થેલામાં કચરો ઠાલવવામાં આવે છે. આ દ્રાવણ અડધા કલાકમાં ઘન કચરાને જંતુમુક્ત બનાવે છે. કચરાના નિકાલ માટે કાર્યરત કામદારોને પણ પૂરતા રક્ષણાત્મક સાધનો પુરા પાડવામાં આવ્યા હોવાનું તેઓ કહે છે.         આમ સિવિલ હોસ્પિટલમાં કચરા ને પણ જંતુ રહિત બનાવી તેનો નિકાલ કરવાનું કામ ખૂબ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.