Western Times News

Gujarati News

ખેડૂત કલ્યાણથી જ ભારત કલ્યાણ; ખેડૂત સશક્ત હશે તો દેશ આત્મનિર્ભર બનશે: અમિત શાહ

વિપરિત પરિસ્થિતિઓમાં પણ ખેડૂતો પ્રત્યે પ્રધાનમંત્રી મોદીની સંવેદનશીલતા સમગ્ર દુનિયા માટે અનુકરણીય છે: ગૃહમંત્રી

PIB Ahmedabadકેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કૃષિ અને ખેડૂતો સંબંધિત અન્ય ક્ષેત્રો પર આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. આ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રીને અભિનંદન પાઠવતા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, “મોદી સરકારને વિશ્વાસ છે કે ખેડૂતોનું કલ્યાણ થશે તો તેમાં ભારતનું કલ્યાણ સમાયેલું છે. આજે ખેડૂતોને આપવામાં આવેલી અભૂતપૂર્વ સહાય મોદીજીની ખેડૂતોને સશક્ત બનાવીને દેશને આત્મનિર્ભર કરવાની દૂરંદેશી બતાવે છે.”

લૉકડાઉનના કારણે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને સહાયતા માટે લેવામાં આવેલા કેટલાંક મહત્વપૂર્ણ પગલાંના વિષયમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, “મોદી સરકારે લૉકડાઉનમાં ખેડૂતોને ઘણી મોટી રાહતો આપતા, રૂપિયા 74,300 કરોડનો પાક લઘુતમ ટેકાના ભાવ (MSP)થી ખરીદ્યો છે; PM KISAN અંતર્ગત રૂપિયા 18,700 કરોડ રૂપિયા તેમના ખાતાંમાં જમા કરાવ્યા છે; પાક વીમા અંતર્ગત રૂપિયા 6,400 કરોડ આપવામાં આવ્યા છે.” શ્રી શાહે જણાવ્યા અનુસાર વિપરિત પરિસ્થિતિઓમાં પણ ખેડૂતો પ્રત્યે પ્રધાનમંત્રી મોદીએ દાખવેલી આ સંવેદનશીલતા સમગ્ર દુનિયા માટે અનુકરણીય છે.

પશુપાલન ક્ષેત્ર સાથે સંબંધિત પેકેજ અંગે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં દુધનો વપરાશ 20-25% સુધી ઘટી ગયો છે પરંતુ મોદી સરકારે 111 કરોડ લીટરથી વધારે દુધ ખરીદીને ખેડૂતોને રૂપિયા 4,100 કરોડની ચુકવણી કરી છે. આજે પશુપાલન ક્ષેત્રના બે કરોડ જેટલા ખેડૂતોને આપવામાં આવેલી રૂપિયા 5,000 કરોડની સહાયતા બદલ પણ શ્રી અમિત શાહે પ્રધાનમંત્રી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

1 લાખ કરોડ રૂપિયાના ‘કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ’ની જાહેરાત અંગે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, “મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, આજે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂપિયા 1 લાખ કરોડનું ‘કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ’ રચવાનો નિર્ણય ભારતના કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોના કલ્યાણને એક નવી દિશા આપશે.”

માઇક્રો ફુડ એન્ટરપ્રાઇઝિસ માટે રૂપિયા 10,000 કરોડ આપવાના નિર્ણયની સાથે ક્લસ્ટર આધારિત અભિગમ અપનાવીને વિવિધ ક્ષેત્રોમાં કેરી, કેસર, મરચા અને વાંસ જેવા નાના નાના ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોને એક અભૂતપૂર્વ બળ પૂરું પાડ્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, તેનાથી તેમની આવકમાં વધારો તો થશે જ સાથે સાથે તેમને બહેતર બજાર પણ ઉપલબ્ધ થશે.

મત્સ્ય પાલન ક્ષેત્ર સાથે સંબંધિત પેકેજ અંગે પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, “મોદી સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના’ના માધ્યમથી મત્સ્ય પાલન ક્ષેત્રને રૂપિયા 20,000 કરોડ આપવાનો નિર્ણય લેવાથી આ ક્ષેત્રના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આધુનિકિકરણ, ઉત્પાદકતા અને ગુણવત્તાને નવી શક્તિ મળશે અને નવી રોજગારીનું સર્જન પણ થશે.”

શ્રી શાહે જણાવ્યું હતું કે, પશુપાલન ક્ષેત્ર માટે રૂપિયા 15,000 કરોડના એનિમલ હસ્બન્ડરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ડ ફંડ, ઔષધીય ખેતીને પ્રોત્સાહન આપવા માટે રૂપિયા 4,000 કરોડ અને મધમાખી પાલન માટે રૂપિયા 500 કરોડ આપવાના નિર્ણયોથી આ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસ થશે અને તેનાથી આ ક્ષેત્રમાં લોકોની આવક વધશે તેમજ રોજગારીનું સર્જન થશે.

કૃષિ માર્કેટિંગમાં સુધારો લાવવા માટે ઐતિહાસિક નિર્ણય અંગે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, મોદી સરકાર એક કેન્દ્રીય કાયદો લાવશે જેનાથી ખેડૂતોને બહેતર ભાવે પોતાની ઉપજ વેચવા માટે પૂરતા પ્રમાણમાં વિકલ્પો મળશે. આ પછી તેઓ બેરિયર મુક્ત આંતર-રાજ્ય વેપાર કરી શકશે અને ઇ-ટ્રેડિંગથી તેમની ઉપજ દેશના ખૂણે ખૂણા સુધી પહોંચી શકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.