Western Times News

Gujarati News

ખારોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ખારોલ ગામે રક્તદાન કેમ્પ યોજાયો

લુણાવાડા: કોરોનાવાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે જિલ્લામાં કોઈ પણ બીમારીના દર્દી તેમજ થેલેસેમિયાના દર્દીને લોહીના અભાવે નિરોગી થવામાં અવરોધ ઉભો ન થાય તે માટે ખારોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરા પંચમહાલ ના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેકટર શ્રી આર.બી બારડ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડા. એસ.બી.શાહની રાહબરીમાં ખારોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના શ્રી ડા. ધનેશ બરોલીયા, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગોધરાનાં ડા. ચૌહાણ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી જે કે પટેલ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૮ જેટલા રકતદાતાઓએ પોતાના રક્તનું દાન કરીને કોરોના સામેની લડતમાં અદકેરૂ યોગદાન આપી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું.

આ રક્તદાન કેમ્પમાં કોરોનાવાયરસનાં સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટેના સરકારના વખતો વખતના દિશાનિર્દેશોનું પાલન અને ફરજિયાત માસ્કનો ઉપયોગ તેમજ સામાજિક અંતર જાળવવાનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં ખૂબ જ કાળજીપૂર્વક અમલીકરણ કરવામાં આવ્યું હતું. કોઈપણ રક્તદાતા ને કોરોનાનો ચેપ ન લાગે તે માટે દરેક ડોનરને નવી બેડ સીટ પાથરીને જ રક્તદાન કરાવવામાં આવ્યું હતું.

આ રક્તદાન કેમ્પમાં દાતાઓ જ્યારે કેમ્પના સ્થળે આવ્યા ત્યારે તેમને થર્મલ ગનથી આરોગ્ય તપાસ કરી તેમના હાથ સાફ કરવા માટે હેન્ડવોશ તેમજ સેનેટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે સિનિયર મેડિકલ ઓફિસર શ્રી ડા. બિરેન્દ્રસિંહે રક્તદાન કેમ્પમાં કોરોનાને ધ્યાને લઈ સાવચેતીના તમામ પગલાઓ સુનિશ્ચિત કરવાની સાથે રક્તદાતાઓની બેડશીટ બદલવાની અને તમામ સામગ્રી જંતુ રહિત રહે તેનું સુચારૂ આયોજન કર્યું હતું.

રક્તદાન એ શ્રેષ્ઠ મહાદાન છે. જે કોરોના દર્દી અને થેલેસીમિયાના દર્દીઓને પણ જરૂર પડે તો આ સંગ્રહ કરેલા રક્તનો પ્રવાહ પહોંચાડી શકાય તે માટે આ મહામારી ના સમય વચ્ચે રક્તદાન કેમ્પ જન ઉપયોગી બની રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.